Abtak Media Google News

મોરબી તાલુકાના ધરમપુર ગામે જુની અદાવતના કારણે બે યુવાન પર નવ જેટલા શખ્સોએ ધોકા, લાકડી અને પથ્થરથી હુમલો કરી એકની હત્યા કર્યાની અને એક ગંભીર રીતે ઘવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધરમપુર ગામે રહેતા ભરતભાઇ રામજીભાઇ પરમાર અને જગદીશ ધુંધા ઠોકાર નામના યુવાન પર જાદવ ઉર્ફે જાદા, બેચર ભરવાડ, સલીયો ભરવાડ, મઇલો કોળી, સંજય કોળી, બળીયો કોળી, બળીયાના સંબંધી, શિવો કોળી અને તેનો પુત્ર બાબુ નામના શખ્સોએ ધોકા, લાકડી,પાઇપ અને પથ્થરથી હુમલો કરી ભરતભાઇ પરમારની હત્યા કર્યાની અને જગદીશ ઠાકોર પર ખૂની હુમલો કર્યાની મંજુબેન ભરતભાઇ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગત તા.2 જુનના રોજ જાદવ ઉર્ફે જાદા સહિતના શખ્સોને ગામમાં કોઇ સાથે ઝઘડો થયો હતો ત્યારે ભરત પરમાર અને જગદીશ ઠાકોર પારકા ઝઘડામાં કુદી પડયા હતા અને જાદવ ઉર્ફે જાદા સહિતના શખ્સોને ઠપકો દીધો હોવાથી ભરત પરમાર અને જગદીશ ઠાકોરને પાઠ ભણાવવા માટે ગઇરાતે બંને પર હુમલો કરી ભરત પરમારની હત્યા કર્યાની અને જગદીશ ઠાકોર પર ખૂની હૂમલો કર્યાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.મોરબી તાલુકા પોલીસે મંજુબેન ભરતભાઇ પરમારની ફરિયાદ પરથી જાદવ ઉર્ફે જાદા સહિત નવ શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.