Abtak Media Google News
  • સાળંગપુરમાં રંગે ચંગે ઉજવાયો ફૂલછોડ ઉત્સવ
  • 8000 થી વધુ સ્વયંસેવક – સેવિધાઓએ ખડેપગે રહી આપી: સેવા સમગ્ર પરિષદમાં આનંદ, ઉત્સાહ અને ભકિતભાવના તરંગો ઝીલાયા

ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સારંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોલના સમૈયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપીને ગુજરાતની ધરાને ભક્તિભીની કરી હતી. તેની કાયમી સ્મૃતિ માટે આ સમૈયો દર વર્ષે સારંગપુર ખાતે ઉજવાતો આવ્યો છે. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ દર વર્ષે ફૂલદોલનો ઉત્સવ સારંગપુર ધામધૂમપૂર્વક ઉજવાતા જેની સ્મૃતિઓના આજે પણ સૌ કોઈ સાક્ષી છે. તેઓ આશીર્વાદ આપતાં કહેતા કે, દુનિયાના રંગે તો બધા રંગાઈ છે પણ આપણે ભગવાનના રંગે રંગાવવાનું છે. એજ પરંપરામાં પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વર્ષે આજના દિવસે આ ફૂલદોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાયો હતો જેમાં દેશ-પરદેશથી 75000 હરિભક્તો આ પ્રસંગે લાભ લેવા પધાર્યા હતા.

વહેલી સવારથી જ સમગ્ર સારંગપુર ગામ હિલોળે ચડ્યું હતું. હરિભક્તોના વિશાળ પ્રવાહથી સારંગપુર મંદિર પરિસર ઊભરાતું હતું. પરદેશથી અને ભારતના વિવિધ પ્રાંતોમાંથી પણ હરિભક્તો રંગોત્સવ નિમિત્તે સારંગપુરમાં ઉમટ્યા હતા.

આટલી મોટી સંખ્યામાં આવનાર હરિભક્તોની વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી હતી. 30 જેટલા સેવાવિભાગોમાં 8000 સ્વયંસેવક-સેવિકાઓ ખડેપગે ઊભા રહીને સેવા કરી રહ્યા હતા. હરિભક્તોની સુવિધા માટે થોડા થોડા અંતરે પૂછપરછ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સેવા વિભાગોમાં સંતો-ભક્તોએ ઉપવાસ-વ્રત કરતાં કરતાં તનતોડ સેવા કરી હતી.

હરિભક્તો મંદિર પરિસરમાં દર્શન કરી બી.એ.પી.એસ. વિદ્યામંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરી રહ્યા હતા. ત્યાં 10 લાખ ચોરસફૂટ ભૂમિને સ્વચ્છ અને સમથળ કરીને સભામંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. સાંજે 5:45 વાગે જ્યારે ફૂલદોલ ઉત્સવની મુખ્ય સભાની શરૂઆત થઈ ત્યારે સભાસ્થળ હરિભક્તો-ભાવિકોથી ઉભરાતું હતું. સભામાં પ્રવેશ પ્રાપ્ત કરતા જ તમામ હરિભક્તોને આનંદની અનુભૂતિ થતી હતી. વિશાળ મંચ પર પ.પૂ.મહંતસ્વામી મહારાજે કરેલ યુગકાર્યો રોબીન્સ્વીલ અક્ષરધામ તથા અબુધાબીમાં નિર્મિત ભવ્ય હિન્દુ મંદિરની પ્રતિકૃતિઓ મંચની પીછવાઈમાં શોભી રહી હતી. આ સાથે જ સંસ્થાની વિવિધ સામાજિક સેવાઓમાં અગ્રેસર રહી કાર્ય બજાવતાં કાર્યકરોની સ્મૃતિઓ મંચ પર કંડારવામાં આવી હતી. આ સંદેશને અનુરૂપ સંસ્થાના સદગુરુવર્ય સંતો પૂ. વિવેકસાગર સ્વામીએ બી.એ.પી.એસ. સંસ્થાના પાયામાં રહેલા કાર્યકરોના સમર્પણ અને બલિદાનને કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષે બિરદાવ્યું હતું. બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ક્ધવીનર પૂ. ઈશ્વરચરણ સ્વામીએ આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને રાષ્ટ્રનો ઉત્કર્ષ અને વિકાસ માટે દરેક નાગરિકની ફરજ રૂપે મતદાન કરવા અનુરોધ કર્યો હતો.  અને પૂ. ડોક્ટર સ્વામીએ આજના ફૂલદોલ ઉત્સવના મધ્યવર્તી વિચાર ‘અંતર અક્ષરધામ’ વિષયક હૃદયસ્પર્શી અને મનનીય પ્રસંગો કહ્યા હતા.

પ.પૂ. મહંતસ્વામી મહારાજે રંગોત્સવ પર્વે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, ‘આપણે સૌ દિવ્ય અને અંતરના રંગે રંગાવા માટે અહીં આવ્યા છીએ. બહારના રંગ એક વાર ચડે ને પછી ઉતરી જાય પરંતુ આ રંગ એક વાર ચડે પછી ઉતરે જ નહિ. અંતરના રંગે રંગાવા ભગવાનની પ્રાપ્તિનો વિચાર કરવો.’

ત્યારબાદ ઉત્સવની ચરમસીમા આવી, જેમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજે અક્ષરપુરુષોત્તમ મહારાજનું પૂજન કરી, તેમને પિચકારીથી રંગે રંગ્યા હતાં. ત્યારબાદ ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ આરતી અર્ધ્ય અર્પણ કર્યું હતું. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પ્રસાદીના રંગથી સૌ પ્રથમ વડીલ સદગુરુ સંતોને રંગ્યા હતા અને સંતોએ કલાત્મક હારતોરાથી તેઓને વધાવ્યા હતા.

ત્યારબાદ શરૂઆત થઈ અવિસ્મરણીય રંગોત્સવની જેમાં હરિભક્તો પંક્તિબદ્ધ થઈ આનંદમાં ઝૂમતાં ઝૂમતાં સ્વામીની સન્મુખ આવતા હતા. સ્વામી તેમને મંચની સમીપ પધારી વિવિધ 6 આધુનિક પિચકારી દ્વારા રંગમાં તરબોળ કરતા હતા. આ રીતે ઉપસ્થિત તમામ હરિભક્તોને પ.પૂ.મહંતસ્વામી મહારાજે પિચકારીથી કેસુડાના રંગે અને અધ્યાત્મના રંગે રસ તરબોળ કર્યા હતા. સૌના મુખ પર રંગે રંગાયાની પ્રસન્નતા દેખાતી હતી.

સમગ્ર પરિસરમાં આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવનાં તરંગો ઝિલાઈ રહ્યાં હતાં.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.