Abtak Media Google News

બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ દલાઈ લામાજી અને જૈન આચાર્ય લોકેશજી વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત

બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ, જૈન ધર્મના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આચાર્ય લોકેશજીની આગેવાની હેઠળ, વિવિધ ધર્મોના ધર્મગુરુઓ ધર્મશાળામાં મુખ્યાલય ખાતે બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ નેતા દલાઈ લામાજીને મળ્યા હતા અને બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દલાઈ લામાજીને શાલ, માળા અને ચિહ્ન આપીને તેમનું સન્માન કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે દલાઈ લામાજીએ કહ્યું કે,‘ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર બંને એક જ માતાના જોડિયા બાળકો છે.’ તેમણે કહ્યું કે ભારતની ધરતી પર જન્મ લઈ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, બુદ્ધ, મહાવીર, નાનક અને અનેક મહાપુરુષોએ વિશ્વને પ્રેમ અને ભાઈચારાનો માર્ગ બતાવ્યો છે. દલાઈ લામાજીએ કહ્યું કે ભગવાન બુદ્ધની કરુણા અને ભગવાન મહાવીરની અહિંસાની ફિલસૂફી દ્વારા બતાવેલા માર્ગ દ્વારા જ વિશ્વમાં શાંતિ અને સદ્ભાવની સ્થાપના થઈ શકે છે.અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પ્રસિદ્ધ જૈન આચાર્ય ડો.લોકેશજીએ જણાવ્યું હતું કે વિશ્વમાં શાંતિ અને સમરસતા માટે બુદ્ધ અને મહાવીરના ઉપદેશોની વધુ જરૂર છે.

તેમણે કહ્યું કે વિશ્વમાં વધતી જતી ધાર્મિક અસહિષ્ણુતાના વાતાવરણમાં બુદ્ધ અને મહાવીરના બતાવેલા માર્ગ પર ચાલીને જ સામાજિક સમરસતા સ્થાપિત કરી શકાય છે.તેમણે કહ્યું કે યુદ્ધ, હિંસા અને આતંક કોઈ સમસ્યાનો ઉકેલ નથી, હિંસા પ્રતિશોધને જન્મ આપે છે. શાંતિપૂર્ણ વાતચીત દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. તેમણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં અમેરિકાના ફ્લોરિડામાં આયોજિત ‘જૈના સંમેલન’ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આચાર્ય લોકેશજીએ દલાઈ લામાજીને અહિંસા વિશ્ર્વ ભારતી સંસ્થા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય આંતરધાર્મિક સંમેલનમાં આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે શીખ ધર્મના જથેદાર ભાઈ રણજીત સિંહ, હિન્દુ ધર્મના મહામંડલેશ્વર મહંત નવલકિશોર દાસ, હિમાલયા કલ્ચરલ સેન્ટરના પ્રમુખ એલ.પી.પોન્ટસંગ, ધર્મ જગતના સ્થાપક શ્રી ભવ્ય શ્રીવાસ્તવ અને સંયોજક વિનીત શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે દલાઈ લામાજીએ જૈન આચાર્ય ડો.લોકેશજી, શીખ ધર્મના જથેદાર ભાઈ રણજીત સિંહ, હિન્દુ ધર્મના મહામંડલેશ્વર મહંત નવલ કિશોર દાસજી સહિત તમામ પ્રતિનિધિઓનું બૌદ્ધ પરંપરાનું ઉત્તરીય આવરણ પહેરાવીને સન્માન કર્યું હતું.આ પ્રસંગે હિમાલય કલ્ચરલ સેન્ટરના પ્રમુખ એલ.પી.પોન્ટસાંગે જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી જૂન મહિનાથી અમેરિકાનો શાંતિ-સદભાવના પ્રવાસ શરૂ કરી રહ્યા છે, જ્યાં તેઓ વિશ્વ ધર્મ સંસદમાં વિશ્વ શાંતિ સ્થાપવાના અભિગમો રજૂ કરશે. શિકાગોમાં યોજવામાં આવી રહી છે. તેમણે અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા ગુરુગ્રામમાં સ્થાપિત ભારતના પ્રથમ “વલ્ડ પીસ સેન્ટર” વિશે પણ માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.