Abtak Media Google News

એમએસ ડબલ્યુની ટીમનો નવતર પ્રયોગ; કોરોના વિચારોથી બહાર આવી
દર્દીઓ પુસ્તક વાંચન પ્રવૃત્તિમાં જોડાયા

કોરોનાના દર્દીઓને ઓક્સિજનની સારવાર સાથોસાથ હકારાત્મક વિચારથી મનોબળ મજબૂત બને તે માટે સમરસ ડેડીકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર ખાતે પુસ્તક પરબ શરુ કરાયું છે. 600 થી વધુ વિવિધ કેટેગરીના પુસ્તકો દર્દીઓમા નવી હકારાત્મક ચોક્કસ ઉર્જા પુરી પાડશે તેમ  પુસ્તક પરબના પ્રણેતા અને સાઈકિયાટ્રીક સોશિયલ વર્કર અને સમરસ ખાતે એમ.એસ. ડબ્લ્યુ ટીમના હેડ નીલધારા રાઠોડ જણાવે છે.

તેઓ વધુમાં   જણાવે છે કે, સમરસ ખાતે દર્દીઓને મનોવજ્ઞાનિક હૂંફ પુરી પાડવા આ પૂર્વે વિડીયો કોલિંગ અને કાઉન્સેલિંગની સુવિધા શરુ કરવામાં આવી હતી. દર્દીઓમાં નિરાશા કે નકરાત્મક ભાવ ન આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમે જિલ્લા કલેકટર રેમ્યા મોહનને પુસ્તકોથી હકારાત્મક વિચારોમા દર્દીઓને ગુંથાયેલા રાખવાની વાત કરી. જેનો કલેક્ટર તેમજ અધિક કલેકટર મેહુલ દવેએ હકારાત્મક પ્રતિભાવ આપતા સમરસ ખાતે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને ડોક્ટર્સ દ્વારા અમારી ટીમે આ કાર્ય શરુ કર્યું છે.

5443 1

 

અમદાવાદની મેન્ટલ હેલ્થ ફોર સિવિલ (પી.એસ.ડબલ્યુ), અર્પણ નાયક તેમજ સંસ્થાઓ અને દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવેલી આ બુક્સ રાજકોટ સિવિલ ખાતે તેમજ સમરસ ખાતે લાવવામાં આવી છે.  આધ્યાત્મિક, ધાર્મિક , પોઝિટિવ થીંકીંગ, નવલકથા અને વાર્તાઓની વિવિધ પુસ્તિકાઓ અમે દર્દીઓની રસરુચિ મુજબ પુરી પાડીએ છીએ, તેમ નીલધારા જણાવે છે.

દર્દીઓ તેમનો સમય અન્ય વિચારોમાં પસાર કરતા હતા તેને બદલે હવે તેઓ પુસ્તક વાંચનની પ્રવૃતિમાં જોડાઈ ગયા છે. પરિણામે તેમનું મન કોરોનાના વિચારોમાંથી બહાર આવી અન્ય દિશામાં વળ્યું છે, જેનાથી તેમની તબિયતમાં ઝડપી સુધારો આવશે તેવો આશાવાદ નીલધારા અને તેમની ટીમે વ્યક્ત કર્યો છે.

કહેવાય છે કે એક સારું પુસ્તક  સો મિત્રની ગરજ સારે છે, ત્યારે અહીં તો 600 થી વધુ પુસ્તકો દર્દીઓના સાચા મિત્ર બનવા જઇ  રહ્યા છે.  હાલ સમરસ ખાતે ડો. મેહુલ પરમાર, ડો. કેતન પીપળીયા, ડો. જયદીપ ભૂંડિયાની અધ્યક્ષતામાં 1000 થી વધુ દર્દીઓ કોરોના સામે લડત આપી રહ્યા છે ત્યારે પુસ્તકો સાથેનો મનોવૈજ્ઞાનિક પ્રયોગ સારવારમાં નવો આયામ પૂરો પાડશે, તેમ ચોક્કસ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.