Abtak Media Google News

કાયદા પંચ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં 16 થી 18 વર્ષના સગીરોને યૌન સંબંધના કિસ્સામાં સંરક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી છે. જો કે, કાયદા પંચ દ્વારા સંમતિની ઉંમર 18 વર્ષથી ઘટાડી 16 વર્ષ કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી છે. હાલના યુગમાં 16 થી 18 વર્ષના સગીરોમાં યૌન સંબંધ બાબતે જીજ્ઞાશા હોવાથી ઘણીવાર સંમતિ સાથે શારીરિક સંબંધ બંધાતા હોય છે ત્યારે પોક્સો એક્ટ હેઠળ આ સંબંધને ગેરકાયદે ગણી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આ કાર્યવાહીને અટકાવવા સંમતિની ઉંમર ઘટાડવાની જરૂરિયાત ચોક્કસ ઉભી થઇ છે કારણ કે, પોક્સો એક્ટ સગીરોની રક્ષા કરવા માટે ઘડવામાં આવ્યો હતો નહીં કે, તેમને દંડિત કરવા આ કાયદો બનાવવામાં આવ્યો હતો.

Advertisement

કાયદા પંચે યૌન સંબંધોમાં ’સંમતિની ઉંમર’ને વર્તમાન 18 વર્ષથી નહીં ઘટાડવાની સલાહ આપી છે. કાયદા પંચે 16-18 વર્ષના બાળકોની “યૌન સંમતિ”ના કેસોમાં સજા માટે ન્યાયિક વિવેકબુદ્ધિ દાખલ કરવા માટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012 (પોક્સો) માં સુધારાનું પણ સૂચન કર્યું છે.

16 થી 18 વર્ષના સગીર યુગલોને સંરક્ષણ આપવા પોક્સો એક્ટમાં સુધારાની ભલામણ કરતું કાયદા પંચ

કાયદા મંત્રાલયને તેના અહેવાલમાં કર્ણાટક હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીના નેતૃત્વ હેઠળના પંચે જણાવ્યું હતું કે આવા કેસોને પોક્સો એક્ટ હેઠળ સમાન ગંભીતા સાથે ગણવા જોઈએ નહીં.કાયદા પંચના અહેવાલમાં અદાલતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કિશોરવયના પ્રેમને નિયંત્રિત કરી શકાતો નથી અને આવા સહમતિથી બનેલા કૃત્યોમાં ગુનાહિત ઈરાદો હોઈ શકે નહીં. કાયદા પંચે કહ્યું છે કે ’સંમતિની ઉંમરમાં કોઈપણ ઘટાડો બાળલગ્ન વિરોધી અભિયાન પર નકારાત્મક અસર કરશે. લો કમિશનનો રિપોર્ટ કાઉન્સેલિંગ દરમિયાન સગીરોને સંડોવતા સહમતિપૂર્ણ રોમેન્ટિક સંબંધોના જટિલ મુદ્દાને કેવી રીતે હલ કરવો તે હાઇલાઇટ કરે છે.

આ અંગે વ્યાપક મતભેદો હતા પરંતુ પોક્સો એક્ટના આ પાસા પર અભિપ્રાયની સર્વસંમતિ હતી કે હાલ પોક્સો એક્ટ સગીરોને સંરક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યું હતું પણ આવા કિસ્સાઓમાં સગીરોને જેલના સળિયા પાછળ ધકેલવા તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. કાયદા પંચે 16 થી 18 વર્ષની વયના સગીરો તરફથી કાયદામાં યૌન સંમતિ અને સંમતિ ન હોય તેવા કિસ્સાઓમાં સમસ્યાઓના નિવારણ માટે પોક્સો એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં સંબંધિત ફેરફારોની ભલામણ કરી છે. કાયદા પંચનો અભિપ્રાય છે કે જો સ્પેશિયલ કોર્ટની વિવેકાધીન સત્તા અને વિવેકબુદ્ધિનો ઉપયોગ સંમતિની ખાતરી કરવા માટે કરવાનો હોય તો તેનો દુરુપયોગ અટકાવવા માટે તે મર્યાદિત અને નિર્દેશિત હોવો જોઈએ. સજા સંભળાવતી વખતે કોર્ટ જે મુદ્દાઓ પર વિચાર કરી શકે છે તેમાં આરોપી અને ભોગ બનનાર વચ્ચેની ઉંમરનો તફાવત ત્રણ વર્ષથી વધુ ન હોવો જોઈએ. જેમાં આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને આરોપીએ ગુન્હો કર્યા બાદ સારો વ્યવહાર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.