Abtak Media Google News

સાબરકાઠા, હિતેશ રાવલ

વિશ્વ આખામાં કૃષિ ટેક્નોલૉજીમાં ઈઝરાયલ મોખરે છે. આથી જ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખેતી ક્ષેત્રે ઈઝરાઈલ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મુકાઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રૂપાલ કંપા ગામના ખેડૂતે ઈઝરાયલ ટેકનોલોજીની મદદથી નવી સિદ્ધિ હાંસલ કરી છે. ૧૦૦ એકર જમીન ઉપર જેટલું ઉત્પાદન લઈ શકાય તેટલું ઉત્પાદન માત્ર એક એકર જમીનમાં લઈ નવી પહેલ શરૂ કરી છે. જેના પગલે સમગ્ર વિસ્તારના ખેડૂતો પણ હવે ઈઝરાઈલ ટેકનોલોજી તરફ વળી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ ઈઝરાયેલ ટેકનોલોજી અંતર્ગત હળદરની ખેતી સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રૂપાલ કંપા ગામે શરૂ કરી છે. જેના પગલે ખેડૂતની આવક કરોડો રૂપિયાએ પહોંચી છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો હળદરની ખેતી માટે પ્રકાશની જરૂરિયાત રહેતી હોય છે. ગાંભોઈ વિસ્તારના રૂપાલ કંપા ગામે ખેડૂતે હળદરની ખેતી માટે ગ્રીનહાઉસનો ઉપયોગ કર્યો છે. જેમાં અલગ અલગ છ જેટલા લેયર બનાવી તમામમાં હળદર વાવી છે. સામાન્ય સંજોગો એક એકરમાં જેટલી હળદરનું ઉત્પાદન થાય તેના કરતા ખૂબ વધુ ઉત્પાદન ઇઝરાયેલ ટેકનોલોજી અંતર્ગત મળી શકે છે આ ટેકનોલોજી થકી તમામ હાઉસમાં ટપક પદ્ધતિ એટલે કે ડ્રિપ એરીગેશનનો ઉપીયોગ કરવામાં આવ્યો છે. જેથી ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

આ ટેક્નોલોજીથી પાણી, મજુરી, વીજળી તેમજ જમીનનો પણ બચાવ થાય છે. આ ઉપરાંત પાક પણ વિશિષ્ટ સ્વરૂપે પ્રાપ્ત થઇ શકે છે. અને બજાર કિંમત પણ અન્ય પાક કરતા સવિશેષ મળી શકે છે. સામાન્ય રીતે એક એકર જમીનમાંથી વધુમાં વધુ 50 થી 60 ટન હળદરનું ઉત્પાદન થાય છે. જ્યારે ઈઝરાયેલ ટેકનોલોજીને પગલે 600 ટનથી વધારેનું ઉત્પાદન મેળવી શકાય છે. જેના પગલે એક એકર જમીનમાંથી ત્રણ કરોડથી વધારેની આવક ખેડૂત મેળવી શકે છે. આસપાસના ખેડૂતો પણ હવે રૂપાલ કંપાના ગ્રીન હાઉસની મુલાકાત લઇ ખેતીની આવક વધારવા કામે લાગ્યા છે.

Screenshot 10 2

ઈઝરાયેલ ટેકનોલોજીની મદદથી ખેતી કરનાર ખેડૂત ચંદ્રકાંતભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેંદ્રમોદીના વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને ઈઝરાયેલની ટેકનોલોજી થકી પૂર્ણ કરી શકાય તેમ છે. અન્ય એક ખેડૂતે આ બાબતે જણાવ્યુ કે એક તરફ દિન-પ્રતિદિન ખેડ ખાતરને પાણી મોંઘા થઈ રહ્યા છે ત્યારે ઈઝરાયેલ ટેકનોલોજી ખેતી કરવા માટે ગ્રીનહાઉસ તેમજ નેટ હાઉસ બનાવવા ખેડૂત માટે શક્ય નથી ત્યારે આ મામલે ખેડૂતો ગાંભોઈના રૂપાલ કંપા ના ગ્રીનહાઉસની મુલાકાત લઇ ખેતી કરવા માટે પ્રોત્સાહિત બન્યા છે. હજુ સરકાર દ્વારા વિશેષ સહાય આપવામાં આવે તો પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરી શકાય તેમ છે.

Screenshot 8 2

અન્ય એક ખેડૂત નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ કે જોકે સૌથી મહત્વની બાબત એ છે કે એક તરફ કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાક સમયથી હળદરનું વાવેતર તેમજ વેચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ઓર્ગનિક ગુણધર્મો ધરાવતી હળદર રોજબરોજના જીવનમાં સહિત સૌંદર્ય પ્રસાધનોમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે જેના પગલે આગામી સમયમાં પણ તેનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે. જો કે રૂપાલ કંપા ના ખેડૂતે કરેલી ક્રાંતિ હાલના તબક્કે સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે પણ એક અદ્ભુત ઉદાહરણ છે જે આગામી સમયમાં સ્થાનિક ખેડૂતો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત બની રહે તેમ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.