Abtak Media Google News

કોલેજમાં રેગિંગ મામલે 15 વિદ્યાર્થી દોષિત:જામનગરની ફિજિયોથેરાપી કોલેજના 6 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી, 6 સ્ટૂડન્ટ એક વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે

જામનગરની સરકારી ફીજિયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવી રહ્યુ હોવાની કોલેજના આચાર્યને ફરિયાદ મળી હતી. જેને આધારે રેંગિંગ કમિટીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં હોસ્ટેલના 15 છાત્રોએ જૂનિયર વિદ્યાર્થિઓની હેરાનગતી કરી રેગીંગ કર્યું હોવાનો તપાસ કમિટીના રીપોર્ટમાં ખુલાસો થયો છે. જેને લઈને કોલેજના પ્રિન્સીપાલે 15 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. 6 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે 6 વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવાની મનાઈ ફરવામાં આવી છે. તેમજ ત્રણ વિદ્યાર્થીઓને હજુ સુધી સજા કરવામાં આવી નથી.

3 વિદ્યાર્થીઓને હજુ સુધી સજા કરવામાં આવી નથી, વિદ્યાર્થીઓની વર્તણુક બાબતે તપાસ સમિતિને સંતોષ ન થાય ત્યાં સુધી 15 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત રખાશે

કુલ 45 છાત્રોના નિવેદનો લેવાયા હતા

સરકારી ફીજીઓથેરાપી કોલેજમાં સોમવારે સાંજે બીજા વર્ષના 28 વિદ્યાર્થીઓએ લેખિતમાં રેગિંગની ફરિયાદ આપી હતી. જેને લઈને પ્રિન્સીપાલ દ્વારા આ ફરિયાદ એન્ટી રેગિંગ કમીટીને સોંપી દેવામાં આવી હતી. જેને લઈ 3 સભ્યોની એન્ટી રેગિંગ કમિટીએ ભોગગ્રસ્ત અને આક્ષેપિત વિદ્યાર્થીઓ મળી કુલ 45 છાત્રોના નિવેદનો નોંધ્યા હતા. તપાસ કમિટીએ બે દિવસ સુધી તપાસ ચલાવી ગઈ કાલે સાંજે રીપોર્ટ તૈયાર કર્યો હતો. તપાસ સમિતિના રીપોર્ટની ભલામણ મુજબ આજે કોલેજના પ્રિન્સીપાલ સોરાણીએ સજાની જાહેરાત કરી હતી

દોષિતો સામે કડક પગલા ભરાયા

સરકારી કોલેજના પ્રિન્સિપાલે 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાયમી કાઢી નાખ્યા છે. જયારે 6 વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવા પર મનાવી ફરમાવવામાં આવી છે. 14 વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા જે કોઈ કાર્યક્રમ યોજવામાં આવે અથવા સ્થાનિક સ્પર્ધાત્મક કે નેશનલ લેવલની કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જયારે વિદ્યાર્થીઓની વર્તણુક બાબતે તપાસ સમિતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમામ 15 વિદ્યાર્થીઓના રિજલ્ટ સ્થગિત રાખવામાં આવશે.

ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સખ્ત કાર્યવાહી કરાઈ

Screenshot 5 17

ઉલ્લેખનિય છે કે, હોસ્ટેલમાં જૂનિયર અને સીનિયર વચ્ચે ભેદ ઉભો કરવામાં આવતો હતો. સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર પર અવારનવાર દબાણ ઉભું કરાતું હતું. સીનિયર વિદ્યાર્થીમાં જે 6 વિદ્યાર્થીઓને વધુ સજા કરવામાં આવી તે વિદ્યાર્થીઓએ આગેવાની લઈ અન્ય વિદ્યાર્થીઓને પોતાની સાથે જોડ્યા હતા. જેને લઈને આ 6 વિદ્યાર્થીઓને એક વર્ષ પરીક્ષા આપવા નહી દેવાનો નિર્ણય લેવાયો છે. ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ રેગિંગની આગેવાની ન લે તે માટે તેની પર અન્ય કરતા સખ્ત પગલા ભરવામાં આવ્યા છે એમ સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દિનેશ સોરાણીએ જણાવ્યું છે. જોકે, આ મામલે ફોજદારી ફરિયાદ દાખલ કરવા અંગે કોલેજ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એ આશ્ચર્યની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.