Abtak Media Google News

૨૦૧૫માં બ્રિજની જાહેરાત બાદ ગ્રાન્ટની ફાળવણી મોડી, પ્રિલિમનરી વર્ક અને સ્ટ્રક્ચર ડિઝાઈન મંજૂરીનું કામ ચાલુ: વીજપોલ, ટીસી, નડતરરૂપ બાંધકામ હટાવીને મહાપાલિકા સાઈટ ખુલ્લી કરશે એ પછી પણ બ્રિજ બનતા અઢી વર્ષ થશે

જામનગરવાસીઓને અત્યંત ઉપયોગી સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી ઇન્દીરા માર્ગ ઉપર ચાર માર્ગીય .૩.૪ કીલોમીટરના એલીવે ટેડ ફલાય ઓવર બ્રીજ માટે હજુ ચાર વર્ષ રાહ જોવી પડશે. સરકાર દ્રારા વર્ષ-૨૦૧૫માં બ્રીજની જાહેરાત બાદ ગ્રાન્ટની ફાળવણી મોડી કરતા હાલ પ્રીલીમનરી વર્ક અને સ્ટ્રકચર ડીઝાઇન એપ્રુવની કામગીરી ચાલુ છે. બ્રિજના કામમાં નડતરરૂપ વીજપોલ, ટીસી દૂર કરવા વીજતંત્રમાં રૂ.૧.૯૨ કરોડ ભર્યા છે તો બાંધકામ હટાવવા ૩૭ લોકોને નોટિસ પણ અપાઈ છે.

મનપા સાઇટ ખુલ્લી કરી આપશે ત્યારબાદ અઢી વર્ષમાં કોન્ટ્રાકટરને બ્રીજ બનાવાનો રહેશે. શહેરની ટ્રાફીક સમસ્યા હળવી કરનારા અને ચાર મુખ્ય જંકશન નાગનાથ ગેઇટ, નર્મદા સર્કલ, ગુરૂદ્વરા ક્રોસીંગ અને સાત રસ્તા સર્કલને કવર કરતા ફલાય ઓવર બ્રીજને બનતા હજુ ચાર વર્ષ જેટલો સમય લાગશે તેમ મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે.

શહેરમાં સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધીના ફલાયઓવર બ્રીજ માટે સરકારમાંથી અત્યાર સુધીમાં રૂ.૨૦ કરોડની ગ્રાન્ટની આવી છે. બ્રીજમાં નડતરરૂપ પીજીવીસીએલના થાંભલા, ટીસી સહિતના સ્ટ્રકચરો દૂર કરવા વીજતંત્રમાં રૂ.૧.૯૨ કરોડ ભરાયા છે. તદ્ઉપરાંત ડીપીની અમલવારી ચાલુ છે જે અંતર્ગત ૩૭ જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી છે. બ્રીજ માટેની સંપૂર્ણ સાઇટ ખુલ્લી કરી સોંખ્યા બાદ કોન્ટ્રકટરે અઢી વર્ષમાં બ્રીજ બનાવાનો રહેશે. આથી સંભવત: વર્ષ-૨૦૨૪માં બ્રીજ બનશે.

એરફોર્સ નજીકના ઓવરબ્રિજનું કામ ૫૦ ટકાએ પહોંચ્યું, બે ચાર માર્ગીય રોડનું કામ ૬૦ ટકા પૂર્ણ

શહેરમાં આવતા રેલવે ફાટકના અભિયાન અંતર્ગત દિગ્જામ સર્કલ પાસે આવેલા એલસી નં.૧૯૯ એરફોર્સ તરફ જતા રસ્તા પર પુલ અને ઓવરબ્રીજનું કામ ૫૦ ટકા પૂર્ણ થયું છે. શહેરના બેડી બંદર રોડ અને હાપા માર્કેટીંગ યાર્ડ રોડને ટુ-લેન રસ્તામાંથી ચાર માર્ગીય કરવાનું કામ રૂ.૧૦ કરોડના ખર્ચે ચાલી રહ્યું છે. જે ૬૦ ટકા પૂર્ણ થયું છે. અત્રે નોંધનીય છે કે, મહાનગરપાલિકાના છેલ્લા બે વર્ષના બજેટમાં શહેરના મહત્વના પ્રોજેક્ટોનો સમાવેશ કરાયો છે. પરંતુ કોરોનાકાળ તથા ઢીલી કામગીરી તેમજ ગ્રાન્ટની સમયસર ફાળવણી ન થતાં અને મનપાની ડામાડોળ આર્થિક સ્થિતિના કારણે પ્રોજેક્ટની કામગીરી ખૂબજ મંદ ગતિએ ચાલી રહી છે.

ભૂજિયા કોઠાનું રેસ્ટોરેશન કામ ફક્ત ૨૫ ટકા થયું

જામ્યુકોના બે વર્ષના બજેટમાં રક્ષિત સ્મારક ભૂજિયા કોઠાનું રેસ્ટોરેશન કામ રૂ. ૨૩ કરોડના ખર્ચે મંજૂર કરાયું હતું. ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલા ભુજિયા કોઠાનું રેસ્ટોરેશન, ક્ધઝર્વેશન, ક્ધસોલીડેશન અને રી-પ્રોડકશન કામ ચાલુ છે. જે ૨૫ ટકા જેટલું પૂર્ણ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.