Abtak Media Google News

બી-ડિવિઝન ડી સ્ટાફના હિતેશ ચાવડા અને  વનરાજ ખવડને પાણીચુ આપતા એસ.પી. પ્રેમસુખ ડેલુ

જામનગરના સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓને, એક સગીરને માર મારવાના પ્રકરણમાં જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરી દેતાં શહેરના પોલીસબેડામાં ચકચાર જાગી છે.પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી જણાવે છે કે, શુક્રવારે બપોર પછીના સમયે એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતો હુકમ છોડતાં શહેર તથા જિલ્લાના પોલીસ બેડામાં આ વાત વાયુવેગે ફેલાઇ જતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર જાગી છે, જાણવા મળી રહ્યું છે કે, આ બંને પોલીસકર્મીઓએ અનુસુચિત જાતિના એક સગીરને કોઇ કેસના અનુસંધાને માર માર્યાની ખબર જિલ્લા પોલીસવડા સુધી પહોંચી હતી, કેમ કે આ સગીરના પરિવાર દ્વારા આ મામલાને ગંભીર ગણી એસ.પી. સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસવડાએ આ સમગ્ર મામલાને સંવેદનશીલ મુદ્દો ગણીને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓ હિતેષ ચાવડા અને વનરાજ ખવડને સસ્પેન્ડ કરતો હુકમ જાહેર કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, કાયદાની જોગવાઇઓ મુજબ સગીર આરોપીઓના નામ પણ જાહેર નથી કરી શકાતા, અને તેઓની ઓળખ પણ કાયદા મુજબ છુપાવવાની હોય છે, આ પ્રકારની પરિસ્થિતિમાં પોલીસ સ્ટેશન જેવા સ્થળે સગીરને માર મારવો એ આખી ઘટના ખૂબજ ગંભીર લેખાય અને આ ગંભીરતાને ધ્યાનમાં લઇ એસ.પી. દ્વારા આ ઘટનાના અનુસંધાને સસ્પેન્શનના આ હુકમ છોડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.