Abtak Media Google News
  • વેલકમ પ્રાઈમ મિનિસ્ટર
  • આજે રાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૌરાષ્ટ્રમાં આગમન: કાલે અબજો રૂપીયાના વિકાસ કામોની અપાશે સોગાદ: એઈમ્સ, સિગ્નેચર બ્રિજ સહિતના મહત્વકાંક્ષી પ્રોજેકટનું લોકાર્પણ
  • રાજકોટમાં જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી 800 મીટરના રોડ-શોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પીએમને આવકારાશે
  • રાજકોટમાં 48 હજાર કરોડના વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમૂહુર્ત: જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાને 4 હજાર કરોડના 11 વિકાસ પ્રોજેક્ટ ભેટ અપાશે

Gujarat News
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસ માટે સૌરાષ્ટ્રની મુલાકાતે  આવી રહ્યા છે. આજે રાત્રે પીએમનું જામનગર ખાતે આગમન થશે આજે રાત્રે જામનગર ખાતે અને આવતીકાલે  રાજકોટ ખાતે પીએમનો ભવ્યાતિભવ્ય રોડ શો યોજાશે. વિકાસ પુરૂષ-વૈશ્ર્વિક લીડરને હોંશભેર આવકારવા માટે  સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપવા રાજકોટ પધારી રહ્યા છે, ત્યારે જૂના એરપોર્ટથી રેસકોર્સ સભાસ્થળ સુધીના 800 મીટરના રૂટ પર વડાપ્રધાનને સત્કારવા ભવ્ય રોડ શો યોજાશે

આ રોડ શોના રૂટ પર અંદાજિત 21 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે અન્વયે રોડ શો દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત ગુજરાતની ઓળખ સમા રાસ-ગરબા, રામાયણના પાત્રોની રજૂઆત કરાશે તથા નાસિક ઢોલના નાદ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરાશે. કર્ણાવતી શાળા અને સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવશે. તેમજ ભૂષણ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ થીમ સ્ટેજ તથા ચંદ્રયાન અને સ્પોર્ટસ થીમ પર ગીત રજૂ કરાશે. સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા ઋષિકુમારોના વસ્ત્રોમાં મંત્રોચ્ચાર થકી વૈદિક વાતાવરણ ઉભું કરવામાં આવશે. પ્રયાસ સંસ્થાના દિવ્યાંગ બાળકો વિશિષ્ટ કૃતિ રજૂ કરીને આત્મવિશ્વાસ દર્શાવીને વડાપ્રધાનને આવકારશે. સિફા ફિટનેસ સેન્ટર દ્વારા એરોબીક્સ અને ડિવાઈન યોગ સંસ્થા દ્વારા લાઇવ યોગ રજૂ કરાશે.

વધુમાં, વિવિધ સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આદિજાતિ, રાવળદેવ, તુરી બારોટ, મરાઠી, પંજાબી, સિંધી, બંગાળી, દાઉદી વ્હોરા અને કર્મકાંડી બ્રાહ્મણ ગ્રુપ દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પ્રધાનમંત્રીને આવકારવામાં આવશે. ક્ષત્રિય બહેનો દ્વારા મારવાડી પહેરવેશ થકી સમાજની પરંપરાને ઉજાગર કરાશે. સાથેસાથે બ્રહ્માકુમારીઝ સંસ્થાના બહેનો, ગ્રામીણ રોજગાર તાલીમ કેન્દ્ર સહીત નિવૃત સૈનિકો વડાપ્રધાનનું અદકેરું અભિવાદન કરવામાં જોડાશે. આમ, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સહીત રાજકોટવાસીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે થનગની રહ્યા છે.

વડાપ્રધાન  નરેન્દ્રમોદી રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. 48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

ગુજરાતને રૂ. 35,700 કરોડથી વધુની રકમના વિવિધ પ્રકલ્પોની ભેટ મળશે. કેન્દ્રીય અને ગુજરાત આરોગ્ય વિભાગના અંદાજીત કુલ રૂ.13,000 કરોડથી વધુના આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. રૂ.6300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ એઈમ્સ સહિત 5 નવી એઈમ્સનું લોકાર્પણ,કચ્છ ખાતે રૂ.16,200 કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે.કચ્છમાં રૂ.9000 કરોડથી વધુના ખર્ચે નવા મુંદ્રા પાણીપત ક્રૂડ-ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રૂ.3800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત તથા કચ્છ અને સુરેન્દ્રનગરના રૂ.2100 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે.

વડાપ્રધાન દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)નું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ એઇમ્સનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એઇમ્સનું નિર્માણ અંદાજિત રૂ.1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ એઇમ્સના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સનું ઉદ્ઘાટન થશે, જેમાં ટાવર એ એન્ડ બી હોસ્પિટલ બ્લોકમાં 250 બેડ્સની ક્ષમતાવાળી આઇપીડી સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ, 66 કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં રાજકોટ એઇમ્સમાં 1 લાખ 44 હજાર દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો છે.

વડાપ્રધાન કલ્યાણી, મંગલાગિરિ, ભટિંડા અને રાયબરેલી જેવા દેશના વિવિધ ભાગોમાં પણ એઇમ્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભોપાલ ખાતેની એઇમ્સમાં વર્ચ્યુઅલ રીતે રેન બસેરાનું ખાતમુહુર્ત પણ કરશે. આ નવી એઇમ્સ, ખાસ કરીને દેશના ટિયર 2 એટલે કે દ્વિતીય વર્ગના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સુવિધાઓ પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલોનું ઉદ્ઘાટન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રૂ.11,392 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સનો એક ભાગ છે.

વડાપ્રધાન તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં ફેઝ-1 (ખાવડા-ભુજ ટ્રાન્સમિશન લિ.) હેઠળ ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.11,00 કરોડથી પણ વધારે છે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી રૂ.15,000 કરોડથી વધુના અંદાજિત મૂલ્યના રિન્યુએબલ એનર્જી પાર્ક, પૂલિંગ સ્ટેશન, પવન ઊર્જા અને સૌર ઊર્જા સહિતના 10 પાવર પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત કરશે. આ લોકાર્પણો અને ખાતમુહુર્ત રાજ્યના ટકાઉ ઊર્જાના પરિદ્રશ્યમાં ક્રાંતિ લાવશે.

વડાપ્રધાનની કચ્છ મુલાકાત દરમિયાન નવા મુંદ્રાથી પાણીપત ક્રૂડ ઓઈલ પાઈપલાઈન પ્રોજેક્ટનું ખાતમુહુર્ત થવા જઇ રહ્યું છે, જેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ.9000 કરોડથી વધુ છે.

વડાપ્રધાન આગામી 25 ફેબ્રુઆરીના રોજ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ભાગનગરમાં રૂ.2000 કરોડના ખર્ચે નિર્માણ થયેલા બે હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં રૂ.1500 કરોડના ખર્ચે બનનારા નવા છ લેન હાઇવેનું ખાતમુહુર્ત કરશે. આ તમામ હાઇવેના બાંધકામનો કુલ ખર્ચ રૂ.3800 કરોડ કરતા વધારે છે. આ નવા હાઇવે માત્ર સ્થાનિક રહેવાસીઓને જ નહીં પરંતુ રાજ્યમાં અવારનવાર આવતા પ્રવાસીઓ માટે પ્રવાસનની સરળતા પણ સુનિશ્ચિત કરશે. આ  નવી પરિવહન વ્યવસ્થા આ શહેરોમાં સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે ટોચની સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી ગુજરાત મુલાકાત દરમિયાન રૂ.1500 કરોડથી વધુની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

રાજકોટ ખાતે રૂ. 120 કરોડના ખર્ચે પી.ડી.યુ. રાજકોટ કેમ્પસમાં નવનિર્મિત મેટરનલ એન્ડ ચાઇલ્ડ (જનાના) હોસ્પિટલનું લોકાર્પણ થશે.

આ સુવિધાઓમાં વડોદરા ખાતે નવી કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અને મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ; સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવા એપીડી અને આઇપીડી ભવન તેમજ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ 66 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો  અને 6 સામુહિક આરોગ્ય કેન્દ્રોનું નિર્માણનો સમાવેશ થાય છે.

આ સાથે જ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હસ્તકના પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ, 100 બેડના સીસીબી સહિત બે સ્થળોએ ક્રિટિકલ કેર બ્લોક અને બે સ્થળોએ ઇન્ટીગ્રેટેડ પબ્લીક હેલ્થ લેબોરેટરીઝ નિર્માણકાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 116 કિલોમીટર લાંબી સુરેન્દ્રનગર-રાજકોટ રેલ લાઇનના ડબલિંગનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જોડાણ વધારવાનો અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપવાનો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત કુલ ખર્ચ રૂ.1300 કરોડ છે. આ ઉપરાંત, વડાપ્રધાન કચ્છમાં રેલવે વિભાગના અન્ય 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેનો સંયુક્ત ખર્ચ રૂ.700 કરોડથી વધુનો છે.

પીએમના હસ્તે સોમવારેે 554 રેલવે સ્ટેશનોનો પુન: વિકાસના કામનો કરાશે આરંભ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિ

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ તા. 26 ફેબ્રુઆરીના રોજ 554 રેલવે સ્ટેશનોના પુન:વિકાસ તેમજ 1500 રોડ ઓવરબ્રિજ/અંડરપાસના શિલાન્યાસ/ઉદ્ઘાટન દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવનાર છે, જેનો રાજકોટ જિલ્લાનો કાર્યક્રમ કેન્દ્રીય રેલવે, સંચાર તથા ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી  અશ્વિની વૈષ્ણવની ગરિમામયી ઉપસ્થિતિમાં સવારે 10.45 કલાકે સ્ટેશન પરિસર, રાજકોટ રેલવે સ્ટેશન ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં રેલવે, કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવ  પાટીલ દાનવે તેમજ રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ સહિતના મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમ મંડળ રેલ વ્યવસ્થાપક, પશ્ચિમ રેલવે રાજકોટની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.