Abtak Media Google News

ગોંડલ તાલુકાનાં કેશવાળા ગામની પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો અમૂલ્ય જીવ “108 ઈમરજન્સી સેવા”એ બચાવ્યો હતો.

આ પ્રસવ કેઈસ અંગે વધુ માહિતી આપતા રાજકોટ જિલ્લા  સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના ગોંડલ તાલુકાનાં કેશવાળા ગામે ખેતમજૂરી કામ અર્થે આવેલા 25 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતાં જસદણ તાલુકાના સાણથલીનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. 4 કલાક જેવી જહેમતનાં અંતે પ્રસુતિ મુશ્કેલ જણાતાં જસદણની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાનું નક્કી કરાયુ.

સમયબદ્ધ એવી જસદણ 108ની ટીમ કોલ મળતાંની સાથે જ ઈ.એમ ટી. ઈન્દ્રજીતભાઈ ડાંગર અને પાયલોટ દેવાયતભાઈ રાઠોડ ગણતરીની મિનિટોમાં જ સાણથલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. ઈ.એમ ટી. ઈન્દ્રજીતભાઈએ પ્રસુતાની તપાસ કરતાં જણાયું કે પ્રસુતિ સત્વરે ન થાય તો જીવનું જોખમ વધી શકે તેમ હોવાથી, 108 એમ્બ્યુલન્સ રસ્તાની સાઈડમાં જ ઉભી રાખી હેડ ઓફિસનાં ડો. મહેતા મેડમ અને ડો. જે. ડી. પટેલની ટેલીફોનીક મદદ મેળવી એમ્બ્યુલન્સમાં જ સમયસૂચકતા સાથે સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી યોગ્ય સારવાર આપી માતા અને નવજાત શિશુનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો.

પ્રસુતિ બાદ વધુ સારવાર અર્થે આ મહિલાને સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ જસદણ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ મહિલા અને બાળકને બાકીની જરૂરી સારવાર આપી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર 108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી આ મહિલાનો અમૂલ્ય જીવ બચાવતી જીવાદોરી સમાન 108 ટીમની સચોટ કામગીરીની નોંધ લઈ તેણીના પરિવારે 108ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.ગુજરાતમાં બાળ મૃત્યુદર ધટાડવામાં 108ની સેવા મહત્વની સાબિત થઈ છે ત્યારે 108માં આવતાં પ્રસવ કેઈસ વિશે વિગતો આપતાં પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકરએ જણાવ્યું હતું કે, 108 સેવામાં આવતાં કેઇસ પૈકી સૌથી વધુ કેઇસ ગર્ભાવસ્થાને લગતા આવતા હોય છે. જેમાં જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવામાં આવતી હોય છે. સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી માસમાં 830 પ્રસુતાઓ સહિત અત્યાર સુધીમાં કુલ 1,27,784 પ્રસુતાઓની સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી છે. જે પૈકી રાજકોટ જિલ્લામાં 108નાં ઈ.એમ.ટી. દ્વારા ફેબ્રુઆરી માસમાં 40 પ્રસુતા સહિત અત્યાર સુધીમાં 6,679 પ્રસુતાઓની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનું અમૂલ્ય જીવન બચાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.