Abtak Media Google News

જિલ્લાની એક પણ બોટ દરિયાઈ વિસ્તારમાં નથી : દરિયાકાંઠાના માંગરોળ અને માળીયા તાલુકાના 47 ગામોને એલર્ટ કરાયા

બિપોરજોઈ વાવાઝોડાંના સામના અને રાહત-બચાવની કામગીરી માટે જુનાગઢ તંત્ર સજ્જ છે તેમ જિલ્લા કલેક્ટર જણાવી રહ્યા છે, આ સાથે તા. 14 તથા 15 ના રોજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે અને 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે ત્યારે જિલ્લામાં સ્થળાંતરની સ્થિતિ માટે 25 સેલ્ટર હોમમાં જરૂરી વ્યવસ્થા કરાઈ છે, વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલની 60 ટીમ તૈયાર કરાઈ છે, સિવિલ હોસ્પિટલ-સરકારી દવાખાનામાં વીજ પુરવઠો ન ખોરવાઈ તે માટે જનરેટરની વ્યવસ્થા રાખવામાં આવી છે, માર્ગો પર વૃક્ષો ધરાશાયી થાય તો, વાહન વ્યવહાર ત્વરિત પૂર્વવત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તે સાથે જિલ્લાના  દરિયાકાંઠાના માંગરોળ અને માળીયા તાલુકાના 47 ગામોને એલર્ટ કરાયા છે અને જિલ્લાની એક પણ બોટ દરિયાઈ વિસ્તારમાં નથી તેવું જાણવા મળી રહ્યું છે.

કલેક્ટર રાણાવસિયા એ જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી મુજબ તા. 14 તથા 15 ના રોજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે આ સ્થિતિમાં તંત્ર દ્વારા લોકોને અને તેમના જાનમાલને નુકસાન ન થાય તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ સાથે જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના માંગરોળ અને માળીયા હાટીના તાલુકાના 47 ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તથા દરિયાકાંઠે કોઈ વિડીયો બનાવવા વગેરે કારણોસર ન જાય તે માટે મરીન પોલીસ સહિતની સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. તથા જિલ્લાની એક પણ બોટ દરિયાઈ વિસ્તારમાં નથી તેમ કલેકટર એ જણાવ્યું હતું.

વાવાઝોડાંની સ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની અને વીજ પોલ ધરાશાયી થવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલની 60 જેટલી ટીમો તૈયાર રાખવામાં આવી છે.

ખાસ કરીને સિવિલ હોસ્પિટલ-સરકારી દવાખાનામાં વીજ પુરવઠો ન ખોરવાઈ અને કોઈ સંજોગોમાં વીજ પ્રશ્ન સર્જાય તો દર્દીઓની સારવારને અસર ન થાય તે માટે જનરેટરની વ્યવસ્થા રાખવામાં આવશે. તેમજ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં વન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી, પંચાયત સહિતના વિભાગને ધારાશાયી વૃક્ષ દૂર કરી વાહન વ્યવહાર ત્વરિત પૂર્વવત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમ કલેક્ટર  અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું.

જૂનાગઢ: બીપરજોય વાવાઝોડા માટે 9 કંટ્રોલ રૂમ કાર્યરત

બિપોરજોય વાવાઝોડાના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા 9 જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં જૂનાગઢ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે 0285-2636595, તેવી જ રીતે વંથલી 02872-222046, માણાવદર 02874-221440, મેંદરડા 02872-241329/241329, માળીયા હાટીના 02870-222232, ભેસાણ 02873-253426, વિસાવદર 02873-222056, કેશોદ 02871-236043 અને માંગરોળમાં 02878-222009 પર સંપર્ક કરી નાગરિકો જરૂરી સહાયતા મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.