Abtak Media Google News

ભ્રષ્ટાચારને રોકવા રૂપાણી સરકારનો સ્તૃત્ય નિર્ણય

આઈઓઆરએ પોર્ટલ પર વિવિધ મહેસુલી સેવાઓની સાથે જમીન માપણીની અરજી પણ હવે ઓનલાઈન: હદ માપણી, હિસ્સા માપણી અને પૈકી માપણી પ્રકારની અરજી અરજદાર દુનિયાના કોઈપણ ખુણેથી કરી શકશે

સરકારી રેકર્ડ જેવા કે ગામ નમુના ૭ તથા ૮/અ જમા કરાવવામાંથી અરજદારને મુક્તિ માપણીની કાર્યવાહી પૂર્ણ થયે માપણી શીટ અરજદારને ઈ-મેઈલ મારફત મળી જશે

મહેસુલ ક્ષેત્રે ભ્રષ્ટાચારને રોકવા સરકારે સ્તૃત્ય નિર્ણય લીધો છે. જેમાં જમીન ધારકોએ માપણી માટે હવે તંત્રના ખીલ્લા સુંઘવા નહીં પડે. અરજદારોએ જમીન માપણી માટે માત્ર કોઈ પણ સ્થળેથી ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. ત્યારબાદ માપણી શીટ અરજદારને ઈમેઈલ મારફત મળી જશે.

મહેસૂલ વિભાગ અંતર્ગત આવતી જમીન માપણીની વિવિધ સેવાઓને ઓનલાઇન કરતાં મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે માટે મહેસૂલી સેવાઓને સરળ, ઝડપી અને ઓનલાઈન કરવાની કવાયતને આગળ ધપાવતાં ખૂબજ ટુંકા ગાળામાં ૨૧ જેટલી વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે. જે પૈકી મોટાભાગની સેવાઓનું ફેસલેસ પધ્ધતિથી અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે આ પ્રકારની સેવાઓનો સીધો જ લાભ નાગરીકો મેળવી રહ્યાં છે. આવી જ વધુ એક સેવા જમીન માપણીની કામગીરીને ઓનલાઈન કરવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

મંત્રી કૌશિક પટેલે આપતા જણાવ્યું કે, જમીનોની માપણી માટે આ અગાઉ અરજદારએ જિલ્લા જમીન દફતર નિરીક્ષક (ડીઆઈએલઆર) કચેરીમાં અરજી કરવાની રહેતી હતી તેમજ માપણી ફી ચલણથી બેંકમાં ભરી કચેરીમાં રજૂ કરવાની થતી હતી. હવે, મહેસુલ વિભાગના આઈઓઆરએ પોર્ટલ પર જમીન માપણીની કામગીરી ઓનલાઈન કરવાથી અરજદારશ્રી માપણી માટેની અરજી દુનિયાના કોઇપણ ખુણેથી ઓનલાઇન કરી શકશે તેમજ સિસ્ટમ દ્વારા જ માપણી ફીની ગણતરી થશે અને માપણી ફી ઓનલાઇન ભરી શકશે. જેથી, અરજદારને કચેરીમાં રૂબરૂ જવામાંથી મુક્તિ મળશે જેને કારણે સમયની બચત થશે અને ઝડપી કામગીરી થશે. આ ઉપરાંત, સરકારી રેકર્ડ જેવા કે ગામ નમુના ૭ તથા ૮/અ ઓનલાઇન મેળવી લેવામાં આવે છે. આથી, અરજદારને ગામ નમુના ૭ તથા ૮/અ જમા કરાવવામાંથી પણ મુક્તિ મળેલ છે.

માપણીની અરજીની સર્વેયરને ફાળવણી સીસ્ટમ દ્વારા સ્વયંસંચાલિત રીતે કરવામાં આવે છે. માપણીની નિયત કરેલ તારીખ તેમજ તબક્કાવાર કામગીરીની જાણ અરજદારને એસએમએસ/ઈ-મેઈલ દ્વારા સીસ્ટમ દ્વારા કરવામાં આવશે. અરજીની પ્રગતિ અરજદાર આઈઓઆરએ પોર્ટલ પરથી ટ્રેક કરી શકશે. અરજી પરની કાયવાહી પુર્ણ થયે માપણી શીટ પણ ઈ-મેઈલ દ્વારા મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત, હિસ્સા માપણીના કિસ્સાઓમાં તેમની હિસ્સા માપણી મુજબની ફેરફારની નોંધ પણ ઓનલાઈન થશે.

પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયા અભિયાનને આગળ ઘપાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મહેસૂલ વિભાગની કામગીરી સરળ, ઝડપી, નાગરિક કેન્દ્રી બને તે હેતુસર અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.