Abtak Media Google News

પ્રથમ તબકકામાં ૨૦૦૦ દીકરા-દીકરીઓને સગવડતાયુકત છાત્રાલય આપવાનાં પ્રયાસો હાથ ધરાશે: સમાજ શ્રેષ્ઠીઓ અબતકની શુભેચ્છા મુલાકાતે

સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધવા સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ સરદારધામ કાર્યરત છે. પાટીદાર સમાજનાં યુવાઓને એક તાંતણે જોડી વિવિધ ક્ષેત્રોમાં સમાજનાં નાનામાં નાના જ્ઞાતિજનથી લઈને સમાજનાં શ્રેષ્ઠીઓનાં તાલમેલથી સમાજનાં દરેક લોકોનાં ઉત્થાન માટે કામ કરી રહ્યું છે. સરદારધામની સેવાઓ સમગ્ર ગુજરાતભરની સાથે આગામી ૧૮ ઓગસ્ટ, ૨૦૧૯થી રાજકોટમાં પણ પાટીદાર સમાજનાં ગઢ ગણાતા સૌરાષ્ટ્ર ઝોનનાં કાર્યાલયનાં માધ્યમથી પહોંચાડવા માટે સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલયનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ માટે સમાજ શ્રેષ્ઠીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મિશન ૨૦૨૬ અંતર્ગત સરદારધામ દ્વારા ૨૦૨૦ દરમ્યાન હોસ્ટેલ પ્રોજેકટ, જીપીએસસી અને યુપીએસસી સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન, યુવા તેજ-તેજસ્વીની સંગઠન માટે હાલ પ્રવૃતિઓ કરી રહ્યું છે. યુવા શકિતનાં સર્વાંગી વિકાસ માટે સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ તરફ પગલુ માંડવા માટે સરદારધામ દ્વારા જીપીબીએસ/ જીપીબીઓ/ યુવા તેજ-તેજસ્વીનીનાં આયામો ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વસતા સમસ્ત પાટીદાર સમાજનાં દરેક જ્ઞાતિજનો સુધી સરદારધામનાં વિચારો અને અખંડ ભારતનાં શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનાં આદર્શો થકી જ્ઞાતિની આવનારી પેઢીનાં ઉત્થાન સાથે ઉત્કૃષ્ટ રાષ્ટ્રનિર્માણની હરણફાળ ભરી રહ્યું છે. સરદારધામ દ્વારા નવી પેઢીનાં સ્વપ્નો સાકાર કરવા જુદા-જુદા રચનાત્મક કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્યત્વે ગ્રામ્ય કક્ષાએથી વિશ્ર્વ કક્ષાએ જોડાણ વધારવા માટેનું આયોજન કરાઈ રહ્યું છે. સમાજમાં જરૂરીયાતમંદ પાટીદાર સમાજનાં લોકોને સન્માનભેર સામાજિક અને આર્થિક સભર બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ત્રી સશકિતકરણ, શૈક્ષણિક, સ્વરોજગારી અને ઉધોગ સાહસિકતા માટે ખાસ ભાગીદારી વધારવા માટે પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

સરદારધામ દ્વારા પાટીદાર સમાજનાં યુવાધનમાં વધતી જતી વ્યસનની લતમાંથી તમાકુ, ગુટકા, દારૂ અને નશાકારક પદાર્થોનાં સેવનથી યુવાનોને આર્થિક અને શારીરિક પાયમલ અટકાવી વ્યસનમુકિત થકી નિર્વ્યસની બનાવવાનું પણ આયોજન હાથ ધરાશે. યુવાનોને સાચી દિશા બતાવવા માટે સરકારમાં સેવાઓ આપતા તેમજ સેવાનિવૃત અધિકારીઓ અને કોર્પોરેટ જગતનાં એકિઝકયુટિવ લેવલનાં અગ્રણીઓ દ્વારા પાટીદાર સમાજનાં નવયુવાનોને સમયાંતરે માર્ગદર્શન આપવા માટે વિશિષ્ટ આયોજન પણ હાથ ધરનાર છે. યુવાનોને સમાજનાં વિવિધ ક્ષેત્રનાં શ્રેષ્ઠીઓનાં સહયોગથી દરેક ક્ષેત્રમાં મુંઝવતા પ્રશ્ર્નોનાં નિરાકરણ માટે માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે. યુવાધનને અભ્યાસ દરમિયાન કયા ક્ષેત્રે આગળ વધવું તેના માટે પડતી મુશ્કેલીઓ અને મુંઝવણને લઈને પણ સરદારધામ દ્વારા માર્ગદર્શન અને સહાય કેન્દ્ર થકી કારકિર્દી ઘડતર માટે પણ યુવાનોને યોગ્ય દિશા મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજનાં યુગમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે યુવાનો માટે ખાસ સરકારી, જાહેર ક્ષેત્રો અને ખાનગી ક્ષેત્રોમાં રોજગારી આપવા માટે સરદારધામ દ્વારા વિવિધ ઔધોગિક ગૃહો અને સંસ્થાઓ સાથે સમાજનાં બેરોજગારોને જોડવા માટે મહત્વની કડીરૂપ ભૂમિકા પણ અદા કરવાનું આયોજન કરતું રહે છે.

સરદારધામનાં પ્રથમ તબકકામાં ૨૦૦૦ જેટલા દીકરા-દીકરીઓ માટે સગવડતાયુકત સમયને અનુરૂપ છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે. હા છાત્રાલયમાં આવતા પાટીદાર સમાજનાં યુવાધનને મોંઘવારીમાં પરવડે તે પ્રકારે શિક્ષણ લેવા આવનાર વિદ્યાર્થીને અગવડતા ન પડે તે માટે પ્રાથમિકતાથી છાત્રાલય માટેનું આયોજન હાથ ધરવામાં આવશે. સમગ્ર દેશ અને દુનિયામાંથી ગુજરાત રાજયમાં આવતા પાટીદાર સમાજનાં અતિથિઓ માટે સુવિધાયુકત અદ્યતન અતિથિ ભવન નિર્માણ કરવા માટે પણ સરદારધામ દ્વારા આયોજન પણ ભવિષ્યમાં હાથ ધરાનાર છે. જુદા જુદા લક્ષ્યબિંદુઓ સાથે સરદારધામ એક અનોખી અને આગવી વિચારધારાથી સમસ્ત પાટીદાર સમાજ માટે ગુજરાતમાં કામ કરી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રનાં હાર્દસમા રાજકોટ શહેરમાં આગામી તા.૧૮ ઓગસ્ટ ૨૦૧૯નાં રવિવારે સવારે ૧૧ કલાકે નાનામવા સર્કલ પાસે, મારવાડી એકસચેન્જ સામે, ટ્રીનીટી હોસ્પિટલની બાજુમાં સરદારધામનાં સૌરાષ્ટ્ર ઝોનનાં કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે સરદારધામનાં પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, ખોડલધામ કાગવડનાં ચેરમેન નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સિદસરનાં પ્રમુખ ડાહ્યાભાઈ ઉકાણી સહિતનાં મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે તો સમસ્ત પાટીદાર સમાજનાં જ્ઞાતિજનોને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનનાં કાર્યાલયનાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવા સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનની વિવિધ સમિતિઓ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન રાજકોટનાં યુવા ઉધોગ સાહસિકોનાં અથાગ પ્રયત્નો દ્વારા સંપન્ન થઈ રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.