Abtak Media Google News

મચ્છરોને ખતમ કરો, બીમારીથી બચો

આ વર્ષની થીમ: “મેલેરિયા રોગના બોજને ઘટાડવા અને જીવન બચાવવા માટે નવિનતાનો ઉપયોગ કરો

મેલેરિયા નાબૂદીનો 2030 સુધીનો લક્ષ્યાંક: 2020 થી 2016 સુધીમાં તેના કેસમાં 66 ટકા અને મૃત્યુઆંકમાં 62 ટકાનો ઘટાડો: 2025 સુધીમાં તમામ સગર્ભાંને મેલેરિયા નિવારક ત્રણ ડોઝ અપાશે: ‘એડવાન્સ ઇક્વિટી’ થીમનો ઉપયોગ કરીને વૈશ્ર્વિક સ્તરે ફંડ ઇન્વેસ્ટમેન્ટ મજબૂત કરાશે: વિશ્વના 100થી વધુ દેશોમાં સાડા ત્રણ અબજ લોકો મેલેરિયાથી બિમાર પડે છે

સમગ્ર દુનિયામાં ખતરનાક એવી મેલેરિયા બિમારી જેને આપણી ભાષામાં મચ્છર કરડવાથી આવતો ‘ટાઢિયો’ તાવ કહીએ છીએ. આની સામે જાગૃત્તિ લાવવા દર વર્ષે આજે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવાય છે. આ ખતરનાક બિમારીના આંકડા જોઇએ તો વિશ્વમાં દર ચાર મિનિટે એક બાળકનું મૃત્યુ થાય છે. આપણા દેશમાં 2030 સુધીમાં મેલેરિયા નાબૂદીનું લક્ષ્યાંક રાખેલ છે. વિશ્ર્વના 100થી વધુ દેશોમાં સાડા ત્રણ અબજ લોકો મેલેરિયાથી બિમાર પડે છે. આપણાં દેશમાં દર વર્ષે 8 લાખ જેટલા દર્દીઓ નોંધાય છે. ક્લોરોક્વીન જેવી અમુક અસરકારક દવાઓને કારણે દુનિયાભરમાં મેલેરિયાથી થતા મૃત્યુઆંકમાં 60 ટકા ઘટાડો લાવીને રોગ સામેની લડાઇ મજબૂત કરી છે.

આજથી 25 વર્ષ પહેલા પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી પણ 2000 પછી સારા પરિણામો મળતા તબીબી વિજ્ઞાને સારો વિજય મેળવ્યો છે. આફ્રિકાખંડ અને અમેરિકા જેવા દેશોમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો છે. મેલેરિયા એક પ્રકારના જીવાણુંથી થતો રોગ છે, એમાં તાવ આવે, ઠંડી ચડે, પરસેવો થાય, માથું દુ:ખે, શરીર તૂટે અને ઉબકા-ઉલ્ટી થાય છે. શરીરમાં જીવાણું પ્રવેશ્યા બાદ તેના લક્ષણો 48 થી 72 કલાકમાં ઉથલો પણ મારે છે, એમાં કેવા લક્ષણો દેખાય છે તેની ઉપર આધાર છે.

મેલેરિયા માટે પ્લાઝમોડિયા નામના જીવાણું જવાબદાર છે અને તે માદા એનોફ્લિસ મચ્છર કરડવાથી થાય છે. તેના કરડવાથી જીવાણું લોહીમાં ભળે છે. જીવાણું લિવરમાં પહોંચ્યા બાદ ત્યાં તેનો વધારો થાય છે. કોષો ફાટતા વ્યક્તિના રક્તકણોમાં પ્રવેશી જાય છે. તેનાથી બચવા સ્વચ્છતા રાખવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, જંતુનાશક દવા છાંટવી, શરીર પુરૂ ઢંકાય તેવા કપડા પહેરવા, ભરાયેલા પાણી પાસે જવું નહી જેવી તકેદારી રાખો તો બચી શકાય છે. મેલેરિયાની અસર કે લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. 2019 થી જ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ‘ઝીરો મેલેરિયા સ્ટાર્ટ વીથ મી’ દ્વારા મેલેરિયા નાબૂદીના પ્રયત્નો શરૂ કરી દીધા હતા જેને કારણે આજે સારા પરિણામો મળી રહ્યા છે.

આજના દિવસે ખાસ છાત્રો માટે જનજાગૃત્તિ લાવવા શાળા આયોજન સાથે મેલેરિયા લાઇફ સાયકલનો લાઇવ ડેમો પણ બતાવવો જરૂરી છે. દરેક નાગરીક મેલેરિયા વિશેની સમજ મેળવે અને તે પરત્વે કાળજી રાખશે તો આપણે 2030 સુધીમાં તેને નાબૂદ કરી શકીશું. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે આજનો દિવસ ઉજવે છે તેની શરૂઆત 2008 થી શરૂ થઇ હતી. 2000ની સાલમાં 44 આફ્રિકન દેશોના ‘બદલો મેલેરિયા’ની નાબૂદીનો ઠરાવ કરેલ હતો. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે, 2005થી સમગ્ર વિશ્ર્વ  ઉજવણીમાં સામેલ થયું હતું. આફ્રિકામાં ચાલતા મેલેરિયા નાબૂદી પ્રોજેક્ટના પાયલોટ વર્કમાં સફળતા મળતા તેનો અમલ હવે વૈશ્ર્વિક લેવલે કર્યો છે. મેલેરિયા સામેની નિયંત્રણ રસી છઝજ-જ, અને અજ ની આરોગ્ય સંસ્થાએ મંજૂરી આપી છે.

વિશ્વ મેલેરિયા દિવસએ તેની સામે પ્રજામાં લોકશિક્ષણ સાથે જનજાગૃતિ લાવવા ઉજવાય છે. તેના કંટ્રોલ માટે વિશ્વએક જુટ થઇને લડી રહ્યું છે. આ અગાઉ આફ્રિકન મેલેરિયા દિવસ ઉજવાનો હતો, પણ 2001માં આફ્રિકન સરકારના 60માં આરોગ્ય સંમેલનમાં વૈશ્વિક સ્તરે ઉજવણીનું 2007માં નક્કી કરાયું જેના કારણે 2008 થી સમગ્ર વિશ્ર્વ મેલેરિયા વિરોધી લડાઇમાં જોડાયું હતું.

મેલેરિયા સામે સાવચેત રહેવું જરૂરી છે, લક્ષણો વિશે પણ જાગૃત રહેવું પડે છે. મચ્છર કરડવાથી તેના પરોપજીવીઓના ફેલાવાના કારણે આ સમસ્યા થાય છે. ચાર પ્રકારના મેલેરિયા પરોપજીવીઓ મનુષ્યને સંક્રમિત કરી શકે છે. તેના લક્ષણો 10 દિવસથી ચાર વીકમાં દેખાવા લાગે છે. કેટલાકને તો મહિનાઓ સુધી લક્ષણો ન દેખાય એનો અર્થ પરોપજીવી શરીરમાં છે પણ સુષુપ્ત છે. તેના તમામ લક્ષણો ગંભીર હોય છે. નાના બાળકોમાં તો ખાસ તકેદારી રાખવી એકવાર થયા બાદ તે ફરી ઉથલો મારી શકે છે.

આફ્રિકા મેલેરિયા દિવસમાંથી વિશ્વ મેલેરિયા દિવસ રૂપાંતર કર્યા બાદ એન્ટિ-મેલેરિયલ દવાઓ આવતા ઘણી સારી અસરો જોવા મળી રહી છે. મેલેરિયા પરિવારો, સમુદાયો અને સમાજો પર વિપરીત અસર કરે છે તે રોકી શકાય તેવી તેમજ સારવાર કરી શકાય તેવી બીમારી છે. તેમના નિદાન અને મેલેરિયા સામેની પ્રગતિની ગતીને ઝડપી બનાવવા દરેક દેશના આરોગ્યતંત્રે હવે યુધ્ધના ધોરણે કાર્ય કરવું જરૂરી છે. મેલેરિયા નાબૂદીમાં પ્રજાજનોનો રોલ પણ ખૂબ જ મહત્વનો હોવાથી સૌનો સહિયારો પ્રયાસ જરૂરી છે. આપણા રાજ્યે 2022માં કંટ્રોલ લક્ષ્યાંક રાખ્યો હોવાથી મેલેરીયા મુક્તિ રાજ્યમાં સૌનો સાથ જરૂરી ગણી શકાય.

પાંચ પ્રકારના મેલેરિયામાં દર્દીના શરીરને પીડાથી તોડી નાંખે છે. ડેન્ગ્યૂ, ચિકનગુનિયાની સાથે મેલેરિયાનું જોખમ વધી રહ્યું છે. મેલેરિયાનો તાવ એક પ્રકારનો ચેપી રોગ છે. માદા મચ્છરમાં બેક્ટેરિયાની પાંચ પ્રજાતિઓ છે જે મેલેરિયા ફેલાવે છે. પી.ફાલ્સીપેરમ, પી.વાયવેક્સ, પી.ઓવલે અને પી.મેલેરિયા, પી.નોલેસી જેવા તેના પ્રકારો છે. મચ્છરને ઘરની અંદર કે બહાર પ્રજનન કરતાં અટકાવવા જરૂરી છે, જેમાં ઘરની, શેરીની સ્વચ્છતા સૌથી અગત્યની છે. આજના યુગની ઘણી બધી બિમારીઓ જો આપણે થોડી તકેદારી રાખીએ તો તે આવી જ ન શકે માટે “સાવચેતી એજ સલામતી”

મેલેરિયાના રસીકરણ માટે WHO એ પ્રથમવાર ભલામણ કરી

આફ્રિકાના દેશોમાં ચાલતા મેલેરિયા નિયંત્રણના પાયલોટ પ્રોજેક્ટના અંતે સમીક્ષા કરી મેલેરિયા માટે પ્રથમવાર તેની રસી માટે ભલામણ કરી છે. આફ્રિકાના કેન્યા અને મલાવીમાં 2019 થી ચાલતા આ અભિયાનમાં બે મિલિયનથી વધુ ડોઝ અપાયા બાદ સારા પરિણામો મળતા હવે આ નિર્ણય લેવાયો છે. મેલેરિયા માટે વેક્સિન એક નવી દિશાની આવતીકાલ છે, ઐતિહાસિક ક્ષણ છે. દર વર્ષે તેને કારણે માતા-બાળકોમાં થતા મૃત્યુઆંકને નિવારી શકાશે. વૈશ્ર્વિક લેવલે ચાલતા આ પ્રોજેક્ટમાં યુનિસેફ અને ફાર્મા કંપનીનો સહયોગ મળી રહ્યો છે. છેલ્લા 30 વર્ષથી મેલેરિયા વિરોધી રસી માટે સંશોધન થઇ રહ્યું છે, જો કે સફળતા કેટલી છે તે આવનારો સમય જ કહશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.