Abtak Media Google News

નગરજનો માટે મિલકતવેરો વળતર યોજના વધુ એક માસ લંબાવવાનો નિર્ણય

મિલકત વેરાની વળતર યોજના વધુ એક માસ લંબાવવા નિર્ણય કરતા મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકત ધારકોને ૩૧ મે ૨૦૧૮ સુધી ૧૦% તથા ૩૦ જુન ૨૦૧૮ સુધીમાં ભરનારને ૫% ઉપરાંત મહિલા મિલકત ધારકને વિશેષ ૫% વળતર આપવામાં આવે છે.

ચાલુ વર્ષે શહેરમાં કાર્પેટ એરિયા બેઇઝ વેરા આકારણી લાગુ કરવામાં આવેલ હોવાથી કાર્પેટ એરિયા બેઈઝના કારણે ઘણા મિલકત ધારકોને વાંધા અરજીઓ કરવા માટે સમય મળી રહે અને તેના નિકાલની કાર્યવાહી સમયસર થાય તે માટે ચાલુ વર્ષે એડવાન્સ ટેક્ષ ભરનાર મિલકત ધારકોને ૩૧ જુલાઈ ૨૦૧૮ સુધી ૧૦% અને ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ સુધી ૫% અને મહિલા મિલકત ધારકોને વિશેષ ૫% વળતર આપવાનો નિર્ણય કરવામાં આવેલ. આ યોજના વિશેષ સમય માટે ચાલુ રાખવા તેમજ હજુ વાંધા અરજીઓનો નિકાલ કરવાનો બાકી રહી ગયેલ હોઈ શહેરના મિલકત ધારકોને વળતર યોજનાનો લાભ મળી રહે તેવા આશયથી વિશેષ ૧ માસ એટલે કે ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ સુધી ૧૦% અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ટેક્ષ ભરનારને ૫% તેમજ મહિલા મિલકત ધારકને તેમજ દિવ્યાંગોને વિશેષ ૫% વળતર યોજના લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

શહેરના મિલકત ધારકોએ લંબાવવામાં આવેલ આ યોજનાનો લાભ લેવા પદાધિકારીઓએ અપીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.