Abtak Media Google News

તાત્કાલીક ધોરણે કોલકી ગામે સબયાર્ડ ઉભું કરાવી કપાસની ખરીદી ચાલુ કરાવી: પ્રથમ ખેડૂતને કપાસના ભાવ એક મણના રૂ ૧૧૦૦ મળ્યાં

કપાસ ખરીદી કેન્દ્ર માર્કેટીંગ યાર્ડ હેઠળ રહી કામ કરશે

ખેડૂતોને જાતે જઇને સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

પાણીના ભાવે વેચાતો કપાસ હવે સીસીઆઇ દ્વારા પુરા ભાવે ખરીદ કરાતા ખેડૂતોમાં આનંદ

ઉપલેટા વિસ્તારના ખેડૂતો માટે સાંસદ દ્વારા સીસીઆઇ પાસે કપાસ ખરીદ કેન્દ્ર મંજુર કરાવ્યા બાદ બે દિવસમાં કપાસની ખરીદીનો પ્રારંભ કરાવતા પાણીના ભાવે વેચાઇ રહેલા ખેડૂતોના કપાસના યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે. ગઇકાલે સાંસદના હસ્તે કપાસ ખરીદીનો પ્રારંભ કરતા પ્રથમ ખેડૂતનો કપાસ મણ લેખે રૂ  ૧૧૦૦ માં ખરીદાયો હતો. ચાલુ સાલ સારા વરસાદને કારણે ઉપલેટા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે.

V 5 1

ખેડૂતોનો કપાસ તૈયાર થયો હતો પણ લોકડાઉનના કારણે ખેડૂત પોતાનો માલ વહેચી શકતા ન્હોતા. હાલમાં ખેડૂતોને પણ પૈસાની જરૂરીયાત હોવાથી કપાસનું વેચાણ કરે તો કપાસના ભાવ ૭૦૦ થી ૭૫૦ મળતા હતા ત્યારે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઉ૫લેટાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા અને યાર્ડના પ્રમુખ માધવજીભાઇ પટેલ દ્વારા ખેડૂતોની કપાસની વેદના સાંસદ રમેશભાઇ ધડુક સમક્ષ કરતા સાંસદ રમેશભાઇ ધડુકે તાત્કાલીક ધોરણે કેન્દ્રના કોટન મંત્રી તેમજ સીસીઆઇના અધિકારીઓને ઉગ્ર રજુઆત કરેલ હતી બે દિવસ પહેલા સીસીઆઇ દ્વારા ખરીદ કેન્દ્રની મંજુરી અપાયા બાદ તેજ દિવસે ખેડૂતો પાસેથી કપાસની ખરીદીનો પ્રારંભ કરાવી દીધો હતો.

ગઇકાલે કોલકી ગામે સબ યાર્ડ ખાતે કપાસ ખરીદીનો પ્રારંભ કરાવતા સાંસદ રમેશભાઇ ધડુકે જણાવેલ કે દેશનો ધરતી પુત્ર પોતાનો માલ બજારમાં વેચવા જાય અને તેનો પુરતો ભાવ ન મળે જેને કારણે ખેડૂતોનું શોષણ થાય આ વાત સાંસદને ખેતી આગેવાનો દ્વારા કરવામાં આવતા સાંસદે દિલ્હી સુધી રજુઆત કરી આ વિસ્તારમાં કપાસ ખરીદી કેમ  ચાલુ થાય પણ તાત્કાલીક ધોરણે ચાલુ થાય તો ખેડૂતોનું શોષણ થતું અટકે માટે તાત્કાલીક ધોરણે કોલકી સબ યાર્ડ ખાતે કેન્દ્ર શરૂ  કરાવી ઉ૫લેટાના પ્રથમ ખેડૂત સંજય પરબતભાઇ માકડીયાનો કપાસ ખરીદી કરાવી એક મણ કપાસના રૂ ૧૦૦ મળતા ખેડૂતોમાં રાજીપો જોવા મળ્યો હતો.

V 6 1

આ તકે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, યાર્ડના ચેરમેન માધવજીભાઇ પટેલ, વાઇસ ચેરમેન રાજાભાઇ સુવા, નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, આરડીસી બેન્કના ડિરેકટર હરિભાઇ ઠુમર, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, ધોરાજી તાલુકા સંઘના પ્રમુખ આર.સી. ભુત, જીલ્લા કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઇ સોજીત્રા, તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઇ માકડીયા, પૃથ્વીસિંહ ચુડાસમા, બાલુભાઇ દુંબલ, અજયભાઇ જાગાણી, રાજશીભાઇ હુબલ, મેહુલભાઇ ચંદ્રવાડીયા, જયેશભાઇ ત્રિવેદી સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ તકે યાર્ડના સેક્રેટરી રાજુભાઇ ઘોડાસરાએ જણાવેલ કે જે ખેડૂત સીસીઆઇ મારફત કપાસનું વેચાણ કરવા માંગતા હોય તેને ૭/૧૨, ૮-અ ખાતેદારના દાખલા, આધાર કાર્ડ, બે ફોટા, બેન્કની પાસ બુક, કપાસના વાવેતરનો દાખલો સાથે લઇ કોલકી મુકામે આવી ઓમ કોટન કેન્દ્રમાં રૂબરૂ જઇ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.