Abtak Media Google News

માધ્યમિક બોર્ડમાં પ્રિયવદનનો દબદબો યથાવત

શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં આ વખતે મતદારો તો વધ્યા પણ પ્રિયવદન કોરાટની લોકચાહના યથાવત જ રહી

સંચાલક મંડળની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના ડો. પ્રિયવદન કોરાટ પ્રથમ ગણતરીમાં એક મતથી જીતેલ અને પુન: ગણતરીમાં પણ વિજેતા જાહેર થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ સતત પાંચમી વખત સંચાલક મંડળની બેઠક પર ડો.પ્રિયવદન કોરાટ ફરી ચૂંટાઈ આવ્યા છે. આ વર્ષની ચૂંટણીમાં દર વખત કરતા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા અગાઉ ઝોન વાઇઝ ચૂંટણી યોજવામાં આવતી હતી જ્યારે આ વખતની ચૂંટણીમાં મત વિસ્તારમાં સમગ્ર રાજ્યભરના શિક્ષકો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું છતાં પણ પ્રિયવદન કોરાટની જે છબી છે તે પ્રમાણે તેઓ સતત પાંચમી વખત શિક્ષણ બોર્ડના સભ્ય બન્યા છે અને તેમની લોક ચાહના પણ યથાવત જ છે. નક્ષીક, પ્રમાણિક અને લોકોના સાચા સેવકને પક્ષની જરૂરિયાત રહેતી નથી તેમ પ્રિયવદન કોરાટે જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 9 સભ્યો માટે ચૂંટણી યોજાવાની હતી. પરંતુ બીએડના આચાર્ય અને સરકારી શિક્ષકની બેઠક બિનહરીફ થતા બાકી રહેલી 7 બેઠકો માટે શનિવારે મતદાન થયું હતું. આ 7 બેઠકો માટે 24 જેટલા ઉમેદવારો મેદાને હતા. શનિવારે મતદાનની કામગીરી પુર્ણ થતા બાદ મતપેટીઓ સ્ટ્રોંગરૂમ માં મુકવામાં આવી હતી. ત્યારબાદ મંગળવારે રૂપાલ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

Screenshot 2 54

આ ચૂંટણીમાં સૌથી મહત્વની બેઠક પૈકી સંચાલક મંડળની બેઠકમાં શરૂઆતથી જ ભારે રસાકસી થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને તે પ્રમાણેનું જ ચિત્ર જોવા મળ્યું હતું. અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના માન્ય ઉમેદવાર નારણ પટેલ સામે તેમના જ મંડળના ડો. પ્રિયવદન કોરાટે ઉમેદવારી કરી હતી. જ્યારે ગુજરાત શાળા સંચાલક રાજય મંડળના ઉમેદવાર જગદીશ ચાવડા પણ સ્પર્ધામાં હતા. જેમાં નારણ પટેલનો સૌપ્રથમ 7 મતે વિજયી થયો હતો. નારણ પટેલને 1344 મત મળ્યા હતા જ્યારે પ્રિયવદન કોરાટને 1337 મત મળ્યા હતા. જેથી કોરાટે પુન ગણતરીની માંગ કરતા બીજી વખત મત ગણતરી કરાઈ હતી. જેમાં ડો.પ્રિયવદન કોરાટને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

જે રીતે સૌરાષ્ટ્ર ઝોન જ નહીં પરંતુ સમગ્ર રાજ્યભરમાં પ્રિયવદન કોરાટની બોલબાલા છે તે આ ચૂંટણી પરથી સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. છેલ્લા 4 ટર્મથી ચૂંટાઈ આવતા પ્રિયવદન કોરાટ સતત પાંચમી વાર પણ ચૂંટાઈ આવ્યા છે જેનું કારણ છે કે, તેઓ સતત લોક પ્રશ્નનો ને ઉજાગર કરી તમામની રજૂઆત હલ કરે છે અને તેઓની છબી પણ ભ્રષ્ટાચાર મુકત છે. શિક્ષણ સહિતના પ્રશ્ને તેઓ અગ્રેસર રહે છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી હોય તેવામાં પણ પ્રિયવદન કોરાટ ઉણા ઉતર્યા છે જેથી સ્પષ્ટ પણે કહી શકાય કે આજે પણ પ્રિયવદન કોરાટની લોકચાહના યથાવત જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.