Abtak Media Google News

ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને હરાવવાનો પ્રયાસ કરનારના નામજોગ યાદી આપવા સૂચના: ઐતિહાસિક પરિણામ છતાં સમિક્ષા માટે 19મીએ ‘કમલમ્’માં બેઠક: પક્ષમાં રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે આકરી કાર્યવાહીનો તખ્તો તૈયાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ભાજપ માટે ધાર્યા કરતા સવાયું રહ્યું છે. ભાજપના ઉમેદવારોને હરાવવાનો પ્રયાસ કરનાર અને પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર નેતાઓ અને આગેવાનો સામે હવે કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. ગદ્દારોના નામની યાદી બનાવી જિલ્લા અને મહાનગરોના પ્રમુખને સોંપી દેવા માટે હાઇકમાન્ડ દ્વારા ભાજપના તમામ ઉમેદવારને આદેશ આપવામાં આવ્યો છે. પરિણામ ઐતિહાસિક છે.

છતાં સમિક્ષા કરવા માટે આગામી 19મી ડિસેમ્બરના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા એક સમિક્ષા બેઠક બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 38 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખી હતી. આટલું જ નહિં મજબૂત દાવેદાર હોવા છતાં કેટલાંકને ટિકિટ આપવામાં આવી ન હતી. અલગ-અલગ 19 બેઠકો પર ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ નેતાઓએ ઉમેદવારી નોંધાવી હતી. જેને મતદાન પૂર્વે જ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં. દરમિયાન હવે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા ભાજપના તમામ 182 ઉમેદવારોને વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓના વિરોધમાં કામગીરી કરનાર ભાજપના આગેવાનો, હોદ્ેદારો અને કાર્યકરોનું લીસ્ટ બનાવી જિલ્લા કે મહાનગરના પ્રમુખને આપી દેવા સૂચના આપવામાં આવી છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે પ્રદેશમાંથી સૂચના મળતાં રાજકોટ શહેરની ચારેય બેઠકો પર ચૂંટણી લડનાર ઉમેદવારોને ત્રણ દિવસ પહેલા એવી જાણ કરી દેવામાં આવી છે કે પ્રચાર દરમિયાન ભાજપના જો કોઇ નેતા, હોદ્ેદાર, આગેવાન કે કાર્યકરે તમારા વિરોધ પ્રચાર સહિતની કોઇપણ કામગીરી કરી હોય તો તેનું લીસ્ટ બનાવી મોકલી દેવું. હજુ સુધી એકપણ ઉમેદવારે આવું લીસ્ટ આપ્યું નથી. આટલું નહિં શહેર અધ્યક્ષ તરીકે મેં પણ ગદ્દારોનું કોઇ લીસ્ટ બનાવ્યું નથી. કારણ કે પ્રદેશ હાઇકમાન્ડે ઉમેદવારો પાસેથી આવું લીસ્ટ મંગાવ્યું છે.

વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ભાજપ માટે ઐતિહાસિક રહ્યું છે. કારણ કે બેઠક, મત અને લીડની દ્રષ્ટિએ રેકોર્ડ સર્જતું પરિણામ હોવા છતાં તેની સમિક્ષા કરવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આગામી 19મી ડિસેમ્બરના રોજ ‘કમલમ્’ ખાતે એક સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તમામ 33 જિલ્લાના પ્રમુખો અને આઠેય મહાનગરોના અધ્યક્ષ સહિત સંગઠનના હોદ્ેદારો અને પ્રભારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. પરિણામ બાદ એક પખવાડિયું તદ્ન શાંત રહેનાર પ્રદેશ અધ્યક્ષે હવે અસંતુષ્ઠો સામે આકરી કાર્યવાહી કરવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. આવતા સપ્તાહે કોઇપણ ઘડીએ અસંતુષ્ઠો, નારાજ કે પક્ષમાં રહી પક્ષને નુકશાન પહોંચાડનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.