Abtak Media Google News

શુક્રવારથી ત્રણદિવસ સુધી અમદાવાદમાં ભવ્ય મહિલા સંમેલન: ૨૧મીએ સાંજે કેન્દ્રિયમંત્રી નિર્મલા સીતારામનના હસ્તે ઉદ્ઘાટન: સમાપન પ્રસંગે વડાપ્રધાન હાજરી આપી ઉત્સાહ વધારશે

દેશભરમાંથી ૬ હજાર મહિલાઓ ઉમટી પડશે:મોદી સરકારની કામગીરી, નિર્ણયો, યોજનાઓની ચર્ચા થશે: વિગતવાર માહિતી આપવા પત્રકાર પરિષદયોજાઈ

અમદાવાદમાં ભાજપ મહિલા મોરચાનું રાષ્ટ્રીય મહાસંમેલન આગામી તા.૨૧,૨૨,૨૩ના રોજ યોજાનાર છે. જેમાં દેશના ખુણે-ખુણેથી મહિલાઓ ઉમટી પડશે. મહિલા સંમેલનના બીજા દિવસે સમાપન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજરી આપી ઉત્સાહ વધારશે.

Advertisement

સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનના હસ્તે કરવામાં આવશે. સંમેલનના છેલ્લા દિવસે દેશભરમાંથી આવેલી તમામ મહિલાને સ્ટેચ્યુ ઓફ યુનિટીનીમુલાકાત માટે લઈ જવાશે. અધિવેશનની વિગતવાર માહિતી આપવા યોજાયેલીપત્રકાર પરિષદમાં મહિલા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રહાટકર, વિભાવરીબેન દવે, જશુમતીબેન કોરાટ, અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નયનાબેન પેઢડીયા, કાશ્મીરાબેન નથવાણી, રાજુભાઈ ધ્રુવ વગેરેએ વિગતવાર માહિતી આપી હતી.

ભાજપ મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન તા.૨૧,૨૨,૨૩ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં યોજાનાર છે. એક દશકા પછી યોજાનાર આ સંમેલનના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહી ઉત્સાહ વધારશે.

મહિલા સંમેલનની માહિતી રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રહાટકરે આપતા જણાવ્યું હતું કે, આ અધિવેશનમાં દેશની પ્રમુખ મહિલા નેત્રી સહભાગી બનશે. તેમજ કેન્દ્રીય મંત્રી, ભાજપ શાસીત પ્રદેશોની મહિલા મંત્રી, સાંસદ, વિધાયક સહિત અન્ય જનપ્રતિનિધિ હાજરી આપશે. આ તકે દેશભરની લગભગ છ હજાર પ્રતિનિધિ મહિલાઓ ભાગ લેશે.

૨૧ ડિસેમ્બરના રોજ બપોરે ૪ વાગ્યે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન આ અધિવેશનનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી મંડળના અન્ય સદસ્યો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) રામલાલજી, ભુપેન્દ્ર યાદવ (રાષ્ટ્રીય મહામંત્રી) અને સરોજ પાંડે (રાષ્ટ્રીય મહામંત્રી) વગેરે જેવા મહાનુભાવો ઉદ્ઘાટન સમારોહમાંહાજરી આપશે.

૨૨ ડિસેમ્બરના રોજ સાંજે ૫ વાગ્યે વડાપ્રધાન અધિવેશનનું સમાપન કરશે. મહિલા સત્ર દરેક માટે ખુલ્લુ રહેશે. અંતિમ દિવસે ૨૩ ડિસેમ્બરનારોજ દેશભરમાંથી આવેલી તમામ મહિલાઓ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા જશે.

આ સંમેલનમાં રાજકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા નવા ભારતના નિર્માણ માટે કરાયેલા તમામ મહત્વપૂર્ણ નિર્ણયો તેમજ યોજનાઓ રજૂ થશે. વિરોધીઓની ભ્રમ ફેલાવવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવા, ૨૦૧૯ની ચૂંટણીમાં ફરી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી સરકાર લાવવા વ્યુહરચના ઘડવામાં આવશે જે સંમેલનનો મુખ્ય એજન્ડા છે.આ ઉપરાંત સંગઠનાત્મક કામગીરીઓની પણ સમીક્ષા થશે. છેલ્લે આ પ્રકારનું અધિવેશન ૨૦૦૮માં નવી દિલ્હીમાં મળ્યું હતું. ઘણા લાંબા સમય બાદ આ રાષ્ટ્રીય મહિલા અધિવેશન મહિલા મોરચા માટે ગૌરવની વાતછે. એપ્રિલમાં ગાજીયાબાદમાં રાષ્ટ્રીય પ્રશિક્ષણ, જુલાઈમાં ઓરીસ્સાના પુરીમાં રાષ્ટ્રીય કારોબારી બાદ આ અધિવેશન થવા જઈ રહ્યુંછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.