Abtak Media Google News

ચોમાસામાં પુલને 6 ફૂટ ઉપરથી પાણી જતું હોવાથી ભારે હાલાકી, 25થી વધુ ગામના લોકોએ નોંધાવ્યો વિરોધ

પાળ ગામે બેઠો પુલ જોખમી બની રહ્યો હોય 25 જેટલા ગામોના લોકોએ આજે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પુલની કોઈ કામગીરી કરવામાં આવી રહી ન હોય લોકોએ રોષ ઠાલવ્યો હતો.

રાજકોટના પાળ ગામે આજે બેઠા પુલને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાળ, રાવકી, ખાંભા, માખાવડ, લોધિકા, ચીભડાં, હરીપર અને 25થી 30 ગામના લોકોને આ બેઠા પુલને લઈને મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજે ગામલોકોએ રસ્તો ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટના પાળ ગામના લોકોએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. 25થી 30 ગામના લોકોને બેઠા પુલ પરથી જવું પડે છે. જીવના જોખમે અહીંયાથી વાહન અને લોકો પસાર થઈ રહ્યા છે. ખાસ તો ચોમાસામાં અહીંયા 6-6 ફૂટ સુધીના પાણી ભરાય જાય છે.

ઉપરાંત આ ગામોથી રાજકોટ જવા માટે આ એક માત્ર રસ્તો છે. આ તમામ ગામોમાં 500થી 700 ઉદ્યોગોના યુનિટ આવેલા છે. સમસ્યા બાબતે આ પહેલા અનેક રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.