Abtak Media Google News

ભુકંપ દરમિયાન કરવામાં આવતી બચાવ કામગીરીથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરાઇ

કુદરતી કે માનવસર્જીત કોઇ દુર્ઘટનામાં એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવે છે. ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનાર શહેરમાં આવેલી ન્યુ. ગર્લ્સ હાઇસ્કુલમાં આજે ૬.બી.એન. એન.ડી.આર.એફ. બટાલીયન વડોદરાની ટીમ દ્વારા ભુકંપ દરમ્યાન કરવામાં આવતી બચાવ કામગીરીનાં સંદેશા માટે દીલધડક રેસ્કયુ કરી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરાઇ હતી.

સ્કુલનાં પટાંગણમાં એન.ડી.આર.એફ.ની ટીમ, ઇમરજન્સી તબિબિ સેવા ૧૦૮ અને ફાયરબ્રીગેડની ટીમે સંયુક્ત રીતે ભુકંપ દરમ્યાન કરવામાં આવતી બચાવ કામગીરી અંગે દીલધડક રેસ્કયુ કર્યું હતું.  ભુકંપમાં કોઇપણ વ્યક્તિ બિલ્ડીંગ કે એપાર્ટમેન્ટની નીચે દબાઇ ગયેલ હોય અને જીવીત હોય ત્યારે તે વ્યક્તિનો અવાજ ન સંભળાય ત્યારે તેઓએ કોઇપણ વસ્તુ કે અવાજ સંભળાય તે રીતે પાંચ વખત ઠપકારવાથી એન.ડી.આર.એફ. ની ટીમ ને તે અંગેની જાણ થાય છે અને તેના બચાવ માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે. ભુકંપ દરમ્યાન કઇ રીતે બહાર નિકળવું તે માટે સ્કૃલની બાળાઓને તેમના બેગ માથા ઉપર લઇ બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ સ્કુલનાં મુખ્ય દરવાજા પાસે કોઇ ઇલેકટ્રીક પાવર આવે છે કે, કેમ તેની તપાસ એન.ડી.આર.એફ. ના જવાનોએ કરી કટર દ્વારા સ્કુલનો દરવાજો કટીંગ કરી તેની અંદર એન.ડી.આર.એફ.નાં જવાનો તેમની સલામતી સાથે પ્રવેશી બે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢી તબિબિ સારવાર આપવામાં આવી હતી.

આ તકે એન.ડી.આર.એફ. ટીમનાં કમલેશ કરંડે જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ જિલ્લામાં જન જાગૃતિનાં ભાગરૂપે વિવિધ શાળાઓમાં મોકડ્રીલ તેમજ ડેમોસ્ટ્રેશન યોજી લોકોને કોઇ દૂર્ઘટના સમયે કઇરીતે બચાવ કામગીરી કરવી અને પોતાનો બચાવ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.