Abtak Media Google News

ભાજપને ૩.૩૩ કલાક અને કોંગ્રેસને ૩૯ મિનિટ બોલવાની તક: ભાજપ તરફથી ૫ દિગ્ગજ નેતા અને મંત્રી જયારે કોંગ્રેસ તરફી રાહુલ ગાંધીને પક્ષ મુકવાનો મોકો મળ્યો

મોદી સરકાર ચાર વર્ષના શાસનમાં પ્રથમ વખત લોકસભામાં આજે અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરી રહી છે. લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા બાદ મતદાન થશે. આ સમગ્ર પ્રક્રિયા નો કોન્ફીડન્સ નહીં પરંતુ લોકોનો વિશ્વાસ કેળવવા થઈ રહી હોવાનો દાવો બન્ને પક્ષો કરી રહ્યાં છે. ચર્ચાના અંતે વડાપ્રધાન સરકાર વતી ગૃહને જવાબ આપવાના છે. લોકસભામાં નિયમ ૧૯૮ મુજબ પ્રક્રિયા થઈ રહી છે.

અહીં નોંધનીય છે કે, અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયાને કારણે કેન્દ્ર સરકાર પર કોઈ જોખમ નથી. સત્તાવારી એનડીએના ૩૧૨ સભ્યો છે. જયારે સરકારને બહુમતી માટે ૨૬૬ મતની જરૂરી છે. જેથી આજે મોદી સરકાર અવિશ્વાસના પ્રસ્તાવની વેંતરણી સરળતાથી પાર કરશે. જો કે આ પ્રસ્તાવના કારણે વિપક્ષની એકતા તુટશે તેવું પણ માનવામાં આવે છે.

લોકસભામાં કુલ ૭ કલાક સુધી ચર્ચા ચાલશે. જેમાંથી ૩ કલાક અને ૩૩ મિનિટ ભાજપને ફાળવવામાં આવી છે. જયારે કોંગ્રેસને ૩૮, અન્ના ડીએમકેને ૨૯, તૃણમુલ કોંગ્રેસના ૨૭, બીજેડીને ૧૫, શિવસેનાને ૧૪, ટીઆરએસને ૯, ટીડીપીને ૧૩, સીપીએમને ૭, એનસીપીને ૬, સપાને ૬, એલજેએસપીને ૫, અકાલી દળને ૧૨ અને અન્યને ૨૬ મિનિટ આપવામાં આવી છે.

અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયા હાથ ધરાઈ તે પહેલા જ પ્રસ્તાવ લાવનાર તેલગુ દેશમ પાર્ટીના ૧ સાંસદે બળવો કર્યો છે. તામિલનાડુમાં સત્તાધારી અન્ના ડીએમકેએ સ્પષ્ટ કહ્યું છે કે, અમે અવિશ્વાસ પ્રસ્તાવની વિરુધ્ધમાં મતદાન કરીશું. ઓરીસ્સાના નવીન પટનાયકના જનતાદળ તેમજ તેલંગણાના ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્ર સમીતી પણ સરકારની તરફેણમાં મતદાન કરશે. આ ત્રણેય પક્ષના કુલ ૬૮ સાંસદો છે. જયારે અવિશ્વાસ પ્રસ્તાવને સર્મથન આપનાર કોંગ્રેસ અને અન્ય પક્ષના ૧૨૮ સાંસદ છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા જ વિપક્ષોમાં ફાટા પડી ગયા છે.

ભાજપ વતી ૫ મોટા નેતા અને મંત્રી સરકારનો પક્ષ મુકી રહ્યાં છે. જયારે કોંગ્રેસ વતી રાહુલ ગાંધીને બોલવાની તક મળી છે. ભાજપના સુત્રોએ દાવો કર્યો છે કે, ૩૧૪ સાંસદોનું સર્મન છે. સંખ્યાબળના હિસાબે ભાજપ નિશ્ચીત છે કે અવિશ્વાસ પ્રસ્તાવ ચાલશે નહીં. જો કે, તેને સાથી પક્ષોના સહકારની થોડી ઘણી ચિંતા છે.

મોદી સરકાર આજે પ્રથમ વખત લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરી રહી છે. સાંજે ૬ કલાક સુધી ચર્ચા ચાલશે. ત્યારબાદ મતદાન થશે. આ દરમિયાન ગૃહમાં પ્રશ્નકાળ કે લંચ બ્રેક પણ નહીં હોય. ભાજપને પોતાનો પક્ષ મુકવા માટે સૌથી વધુ ૩.૩૩ કલાકનો સમય મળ્યો છે. જયારે કોંગ્રેસને ૩૮ મિનિટ બોલવા મળશે. કોંગ્રેસ તરફી રાહુલ ગાંધી બોલશે જયારે ભાજપ તરફી ભાજપના ૫ દિગ્ગજ નેતા અને મંત્રી નિવેદન આપશે.

શું શિવસેના બાજી બગાડશે?

મોદી સરકારને સર્મથન મામલે શિવસેનાનું સસ્પેન્સ કોની બાજી બગાડશે તે સાંજ સુધીમાં નકકી થઈ જશે. ગઈકાલે અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે ટેલીફોનીક વાતચીત થઈ હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ શિવસેનાએ સર્મનનું વિહીપ આપ્યું હોવાના અહેવાલ હતા. અલબત આ વિહીપ ભુલથી અપાયું હોવાનું કહી પરત ખેંચી લેવાયું હતું. શિવસેનામાં આ પ્રકારની ગતિવિધિથી કેટલાક સાંસદોને શંકા ઉપજી રહી છે. શિવસેના પાસે લોકસભામાં ૧૮ સાંસદોનું સંખ્યાબળ છે. શિવસેના ટેકો નહીં આપે તો ભાજપને કોઈ ફર્ક પડશે નહીં. અલબત સાથીદળ હોવાથી એકતાને અસર થશે તેવું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.