Abtak Media Google News

સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ મહાન છે: તોડો રાગને દ્વેષ, એ છે પર્યુષણનો ઉપદેશ

મંત્રમાં નવકારમંત્ર મોટો છે. દાનમાં અભયદાન મોટું છે, રત્નમાં ચિંતામણી રત્ન મોટું છે. જ્ઞાનમાં કેવલ જ્ઞાન મોટું છે. સરોવરમાં માનસરોવર મહાન છે. પર્વતમાં મેરૂ પર્વત મોટો છે. નદીમાં ગંગા મહાન છે તેમ સર્વ પર્વોમાં ‘પર્વાધિરાજ પર્યુષણ’ પર્વ મહાન છે.

પર્યુષણ પર્વનો પૈગામએ છે કે (1) સ્વાદ છોડો તો શરીરને ફાયદો (2) વિવાદ છોડો તો સંબંધોને ફાયદો અને (3) ચિંતા છોડો તો આત્માને ફાયદો છે.

આત્માની ઓળખ અને પ્રતીતિ માટે તપધર્મની આરાધના જરૂરી છે. ભોજનમાં સ્વાદને છોડવાનો પ્રયોગ કરવાનો છે. જીભ પાસેથી બે કામ લેવાના છે. ભાવે તેટલું ખાવું નહિ. આવડે તેટલું બોલવું નહિ.

આત્માની પ્રસન્નતા માટે બીજો પૈગામ છે કે વિવાદને છોડતા શીખો. વિવાદોથી શક્તિનો વ્યય થાય છે. શત્રુઓ વધતા જાય છે. સંબંધો બગડે છે. માટે બોલતા પહેલા હજારવાર વિચારો. જેથી સંબંધો બગડે નહિ.

આત્માની આરાધના માટે ચિંતા છોડવાનો ત્રીજો પૈગામ છે. આજનો માનવી ચિંતાતુર છે. સમજના અભાવે દુ:ખી છે. અનુભવીઓ કહે છે ચિંતા નહિ ચિંતન કરતાં શીખો. જેથી આત્માને ફાયદો થાય.

“જબતક સ્વભાવ નહીં સુધરતા તબ તક ધર્મ કા દિવ્ય આનંદ નહીં આતા”

જૈન ધર્મએ તો આત્માનો ધર્મ છે. આત્માની શાંતિ અને પવિત્રતા ઉપર જૈન ધર્મમાં ખૂબ જ ભાર અપાયો છે. માટે પર્યુષણ પર્વએ કોઇ લૌકિક નહિ પરંતુ મહાન આધ્યાત્મિક પર્વ છે. લૌકિક તહેવારોની ઉજવણીમાં લોકો દેહના શણગાર સજે છે. હરવા-ફરવા અને મોજ શોખમાં દિવસો પસાર કરે છે.

જ્યારે આધ્યાત્મિક તહેવારના દિવસોમાં દેહને નહીં પણ આત્માને સુંદર બનાવવાનો હોય છે. તપ-જપ-ભક્તિ અને સમતાભાવથી ઇન્દ્રિયો અને મનને શાંત બનાવવાની – પવિત્ર બનાવવાની સાધના કરવાની હોય છે. પર્યુષણ પર્વ આવું આધ્યાત્મિક પર્વ છે. જૈન ધર્મના દરેક પર્વો પાછળ આવી આધ્યાત્મિક ચેતના છુપાયેલી છે.

“છોડો વેરની ગાંઠ, એ જ છે પર્યુષણનો પાઠ તોડો રાગને દ્વેષ, એ છે પર્યુષણનો ઉપદેશ”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.