Abtak Media Google News

યોગ્ય સારસંભાળ રાખવાથી 80 ટકા સ્ટોક ‘ખારી’ શકાય છે

મગજને લોહી પહોંચાડનારી નળીમાં ખામી સર્જાતા શરીરનું કોઈ અંગ કામ કરતું બંધ થઈ જાય તો તેને સ્ટ્રોક કહે છે. જો સમયસર તેનો ઈલાજ ન થાય તો વ્યક્તિ જિંદગીભર વિકલાંગ બની શકે છે. સ્ટ્રોકનો ભોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિ બની શકે છે. આજની વ્યસ્ત અને તણાવગ્રસ્ત જીવનશૈલીના કારણે 30 થી 50 વર્ષની વયના લોકોને વધુ અસર થઈ રહી છે. બ્રેન સ્ટ્રોકને બ્રેન એટેક પણ કહેવામાં આવે છે. આ તકલીફમાં મગજમાં લોહીનો પુરવઠો ખોરવાય છે અથવા મગજમાં રહેલી લોહીની નળીઓ ફાટી જાય છે. આ બંને પરિસ્થિતિઓમાં પૂરતો ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી. પરિણામે મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

મગજમાં ચેતાના નુકસાનથી પીડાતી વ્યક્તિને તે ચોક્કસ અંગમાં લકવો થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો મગજમાં પગનું સંચાલન કરતી ચેતાને નુકસાન થાય છે તો પગ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી જ રીતે હાથ પણ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં સ્ટ્રોકના લક્ષણોને સમજી અને તેની તાત્કાલિક સારવાર કરવાથી જીવન બચાવી શકાય છે. પરંતુ વાસ્તવિકતા તો એ પણ છે કે ૮૦ ટકા સ્ટ્રોકને ખાળી શકાય છે જો યોગ્ય રીતે તબીબી પ્રશિક્ષણ લેવામાં આવે જેમાં સમયાંતરે બીપી રિપોર્ટ બ્લડ સુગર રિપોર્ટ અને ડાયાબિટીસ ચેક કરાય. બીજું સૌથી મોટું કારણ એ પણ છે કે 45 વર્ષ સુધીના પુખ્ત વયના 30 ટકા લોકો તાના શરીરમાં થતા બદલાવોને અવગણે છે જેમાં હાથ પગ નિષ્ક્રિય થવા ,મૂંઝવણ થવી, શરીરનું કાબુ ગુમાવવું તથા બોલવામાં તકલીફ પડવી, અને સતત માથામાં દુખાવો થવો આ લક્ષણને જો અવગણવામાં આવે તો સ્ટ્રોક આવી શકે છે.

સ્ટ્રોક થવાના કારણો કયા છે?

  • બેઠાડું જીવન, શારીરિક કસરતનો અભાવ, ચરબીનો ભરવો, તણાવ
  • હાથ-પગમાં નિષ્ક્રિયતા, બોલવામાં પડતી તકલીફ
  • શરીરનું સંતુલન બગડવું
  • વધુ પડતું લોહીનું દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર
  • ધૂમ્રપાન, તમાકુ અથવા દારૂનું વધુ પડતું સેવન
  • ડાયાબિટીસનું અસંતુલન
  • હૃદયરોગો, વાલ્વના રોગો તથા અનિયમિત નાડી
  • જૂનો લકવો અથવા ટીઆઈએ
  • લોહીમાં ચરબીનું અસંતુલિત પ્રમાણ

સ્ટ્રોકથી બચવા જીવનશૈલી બદલાવી જરૂરી

સ્ટ્રોકથી બચવા માટે લોકોએ જીવનશૈલી બદલાવી જરૂરી છે જેમાં ખોરાક અને શારીરિક શ્રમ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ડાયટમાં શાકભાજી અને સ્વાદે ઓછા ગળ્યા ફળો સામેલ કરો. શાકભાજી અને ફળ ખાવાથી સ્ટ્રોક જ નહિ બલકે હાર્ટ ડિસીઝનું જોખમ પણ ઓછું થાય છે.તમાકુ અને સિગારેટ જેવાં તેનાથી બનતા ઉત્પાદનોથી દૂર રહો. તમાકુની અસર માત્ર બ્રેન સ્ટ્રોક પર નહિ બલકે હૃદય, ફેફસાં અને પેન્ક્રિયાઝ સુધી થાય છે. તે કેન્સરનું કારણ પણ ગણવામાં આવે છે. તેની સાથે આલ્કોહોલથી પણ દૂર રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.