Abtak Media Google News

વન વિભાગ દ્વારા પક્ષીઓને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ, પક્ષીઓએ કોઈક સુરક્ષિત સ્થળે આશરો લીધો હોવાનું અનુમાન

કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાથી જે માત્ર ચાર ઘોરડ પક્ષી બચ્યા છે તે પણ ગુમ થઈ ગયા છે. હાલ વન વિભાગે તેની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષીઓ, જે ગુજરાતમાં ગંભીર રીતે લુપ્ત થતી પ્રજાતિ છે. કચ્છમાં માત્ર ચાર પક્ષી જ હયાત છે. આ પક્ષી અબડાસા ખાતે લાલા ગામ નજીક રહે છે. કચ્છ વિભાગના મુખ્ય વન સંરક્ષક વી.એસ. રાણાએ જણાવ્યું હતું કે, “ગુમ થયેલા ધોરડો પક્ષીને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે કારણ કે શુક્રવાર સાંજ સુધી પણ પક્ષીઓ મળ્યા ન હતા.  આ મુખ્યત્વે ભૂમિ પક્ષીઓ છે અને અમને આશા છે કે તેઓએ ક્યાંક આશ્રય લીધો હશે.

ચક્રવાત બિપરજોયના પ્રકોપથી માત્ર માનવ અને ભૌતિક માળખાને જ નહીં પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને પણ અસર થઈ છે.  ચક્રવાતમાં 450 જેટલા પક્ષીઓ – કૂટ, એગ્રેટ અને કોર્મોરન્ટ્સ – મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.  અધિકારીઓનું કહેવું છે કે વન્યજીવો પર સંપૂર્ણ અસર આગામી થોડા દિવસોમાં જ જાણી શકાશે.

ભારતમાં 100 થી ઓછા ઘોરડ છે જેમાંથી પાંચથી સાત કર્ણાટક અને તેલંગાણામાં, ચાર ગુજરાતમાં અને ત્રણ મહારાષ્ટ્રમાં છે જ્યારે બાકીની વસ્તી રાજસ્થાનમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.