Abtak Media Google News

સબસીડી પાછી ખેંચવી, વ્યાજદર વધારવા, કર વધારવો સહિતની દેશવાસીઓ ઉપર ભારણ ઉભું કરતી અનેક શરતો માની પાકિસ્તાન સહાય મેળવશે

પાકિસ્તાન આઈએમએફની સહાય મેળવવા તેના ઘૂંટણીયે પડી ગયું છે. આ શરતોમાં સબસીડી પાછી ખેંચવી, વ્યાજદર વધારવા, કર વધારવાનો સમાવેશ થાય છે. આ શરતો કપરી હોવાથી દેશવાસીઓની સાચી મુશ્કેલી હવે શરૂ થશે.

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આઈએમએફ સાથેની ડીલને મંજૂરી આપી દીધી છે.  આ સાથે જ બેલઆઉટ પેકેજને લગતી તમામ બાબતોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.  રોકડની અછતગ્રસ્ત પાકિસ્તાન બેલઆઉટ પેકેજ માટે આઈએમએફ સાથે છેલ્લા તબક્કાની વાતચીત કરી રહ્યું હતું.  વાટાઘાટો 6.5 બિલિયન ડોલરનું બેલઆઉટ પેકેજ બહાર પાડવા અંગે હતી.  આર્થિક મંદીથી પીડિત પાકિસ્તાનને આ ફંડમાંથી મદદ મળશે.

આઈએમએફનું એક પ્રતિનિધિમંડળ ગયા અઠવાડિયે ઈસ્લામાબાદ આવ્યું હતું.  આઈએમએફએ આ પેકેજ માટે ઘણી શરતો મૂકી હતી.  પાક પીએમ શાહબાઝે આ સ્થિતિઓને કલ્પના બહારની ગણાવી હતી.  જો કે પાકિસ્તાન પાસે આ શરતો સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.  પેમેન્ટ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આ સમયે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.  આ દેશ પર ઘણું મોટું દેવું છે.  આ સિવાય રાજકીય અરાજકતાને કારણે સ્થિતિ વધુ વણસી છે.

આઈએમએફ વર્તમાનમાં ખૂબ જ ઓછો ટેક્સ વધારવા માંગે છે.  તે નિકાસ ક્ષેત્ર માટે કર મુક્તિ સમાપ્ત કરવા માંગે છે.  સાથે જ તે ગરીબ પરિવારો માટે પેટ્રોલ, વીજળી અને ગેસના ભાવમાં કરાયેલો ઘટાડો પાછો ખેંચવા માંગે છે.  તે પાકિસ્તાનને મિત્ર દેશો સાઉદી અરેબિયા, ચીન અને યુનાઈટેડ આરબ અમીરાતની બાંયધરી તેમજ વિશ્વ બેંકના વધુ સમર્થન દ્વારા બેંકમાં યુએસ ડોલરની ટકાઉ રકમ રાખવા દબાણ કરી રહ્યું છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે તાજેતરમાં કહ્યું હતું કે, “આઈએમએફની શરતોને પહોંચી વળવા માટે પાકિસ્તાન જે પડકારોનો સામનો કરી રહ્યું છે તે અકલ્પનીય છે.”  તેમણે કહ્યું હતું કે દેશના નાણામંત્રી ઈશાક ડાર અને તેમની ટીમ જે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી.

આર્થિક રીતે પડી ભાંગેલા પાકિસ્તાનમાં લોકો ભયના ઓથાર હેઠળ

પાકિસ્તાન અભૂતપૂર્વ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે લોટના ભાવને પણ ફુગાવો નડી જતા તે સામાન્ય લોકોની પહોંચની બહાર થઇ ગયું છે. નાગરિકોને સબસિડીવાળા ઘઉં પૂરા પાડતા સરકારી ડેપોને તાળા મારી દેવામાં આવ્યા છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને આંબી રહ્યા છે. આ ઉપરાંત વીજ સંકટ પણ મોટાપાયે છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ છવાયો છે. પાકિસ્તાનનું આર્થિક સંકટ એ હદે વધી રહ્યું છે કે દેશ નાદારી તરફ સતત આગેકૂચ કરી રહ્યો છે. તેવામાં દેશવાસીઓ ઉપર ભયના ઓથાર નીચે જીવવા માટે મજબૂર બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.