Abtak Media Google News

પાટડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિકાસ કામોનાં આ લોકાર્પણ અને ખાતમુર્હૂત થકી સ્થાનિક લોકોની જનસુખાકારીમાં વધારો થશે:  હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીનાં વરદહસ્તે   પાટડી ખાતે રૂ.1214.50 લાખનાં કામોનું ખાતમુર્હુત અને રૂ.158 લાખનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી એ જણાવ્યું હતું કે, પાટડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિકાસ કામોના આ લોકાર્પણ અને ખાતમુર્હૂત થકી સ્થાનિક લોકોની જનસુખાકારીમાં વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે લીધેલા દૂરંદેશીભર્યા નિર્ણયોનાં કારણે અને તેમનાં માર્ગદર્શન હેઠળ સરકારની અસરકારક કામગીરીનાં પગલે આજે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વીર સાવરકર ત્યાગ, બલિદાન,  દેશ ભક્તિના રંગે રંગાયેલા હતા. આજે પાટડી નગરપાલિકા કચેરીનું નામ “વીર સાવરકર નગરપાલિકા” રાખવામાં આવ્યું છે, એ આનંદની અને ગૌરવની વાત છે. નગરપાલિકા કચેરીનું મકાનમાં ઉપલબ્ધ કરાવાયેલી નવી સવલતો થકી મુલાકાતે અર્થે આવનાર લોકોની સુવિધામાં વધારો થશે અને કામગીરી ઝડપી બનશે. રૂ.818 લાખનાં ખર્ચે તૈયાર થનાર તળાવ પાટડીની એકતાનું પ્રતીક બનવા સાથે લોકો માટે હરવા-ફરવાનાં સ્થળનો એક વિકલ્પ બની રહેશે. આજે થયેલા વિવિધ વિકાસ કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત પાટડી વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો કરશે.

ગૃહ રાજ્યમંત્રી તેમની મુલાકાત દરમિયાન પાટડી ખાતે વીર સાવરકર સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની  પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા.પાટડી દસાડા ધારાસભ્ય પી.કે.પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને ગામડાથી લઈને શહેરી વિસ્તારના વિકાસ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે. પાટડી નગરપાલિકા વિસ્તારમાં પણ પાણી, રોડ – રસ્તા સહિતના વિકાસ કામો થયા છે અને પ્રજાલક્ષી પાયાની સવલતોમાં વધારો થયો છે.

આ ઉપરાંત, નગરપાલિકા પ્રમુખ મૌલેશભાઈ પરીખ દ્વારા સ્વાગત પ્રવચન અને કારોબારી ચેરમેન ચેતનભાઈ શેઠ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

રૂ.1214.50 લાખનાં કામોનું ખાતમુર્હુત અને રૂ.158 લાખનાં કામોનું લોકાર્પણ

અત્રે  ઉલ્લેખનીય છે કે ગૃહરાજ્યમંત્રીશ્રીનાં વરદ હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાટડી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું. આ કામો પર એક નજર નાંખીએ તો,  રૂ.105 લાખના ખર્ચે પાટડી નગરપાલિકા કચેરીનું રીનોવેશન, નગરપાલિકા કચેરીનું “વીર સાવરકર નગરપાલિકા” નામકરણ ઉપરાંત વીર સાવરકર સ્ટેચ્યુ અનાવરણ સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રૂ. 53 લાખના ખર્ચે દલિતવાસ પાસે વોટર વર્કસ ખાતે 3.50 લાખ લીટર ક્ષમતાની ઊંચી ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રૂ.135 લાખના ખર્ચે સુરજમલજી હાઈસ્કૂલની બાજુમાં આવેલ મેઈન વોટર વર્કસમાં 9.00 લાખ લીટર ક્ષમતાની અને 24 મીટર ઊંચી ટાંકીનું ખાતમુહૂર્ત, રૂ.818 લાખના ખર્ચે  ગામ તળાવ ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ.261.50 લાખના ખર્ચે શક્તિ માતાના મંદિર પાસે હેરીટેજ અને પ્રવાસન માટે ડેવલપ કરવામાં આવનાર સ્થળનું ખાતમુહૂર્ત સહિતનાં કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂ.99.90 લાખના ખર્ચે  કલાડા દરવાજાથી દરબારી ચોક સુધીના રોડનું “અટલ બિહારી બાજપાઈ માર્ગ” નામકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશ વરમોરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધવલ પટેલ, અગ્રણીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ,  દિલીપભાઈ પટેલ સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.