Abtak Media Google News

કળા, સાહિત્ય અને રમત-ગમત ક્ષેત્રે તેજસ્વી ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા યોજના બનાવો: ભાજપ મંત્રી કેતન મોટલા

રાજય બિન અનામત કક્ષાના લોકોના ઉત્થાન માટે રાજય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવામાં આવેલ છે. આ યોજનાઓ ખરાઅર્થમાં જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે બહોળા પ્રમાણમાં વ્યાપ વધારવા કલ્યાણપુર તાલુકા ભાજપ મંત્રી કેતનભાઈ મોટલા દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય તેમજ બિનઅનામત આયોગના અધ્યક્ષને રજુઆત કરી છે.

જેમાં બિનઅનામત કક્ષાના લોકોને જાતિનું પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી, અખબાર, મીડિયા અને બિનઅનામત કક્ષાના પ્રતિનિધિઓ તેમજ સરકારના જે-તે કર્મચારીઓ મેળા, સંમેલનો યોજી આવી યોજનાઓની જાણકારી આપે, જેમને ઘરનું ઘર ના હોય તેવા બિનઅનામત કક્ષાના પરીવારને રાહત દરે પ્લોટની ફાળવણી કરવી તેમજ મકાન બાંધવા આવશ્યક સહાય અંગેની યોજના કરવી અતિ આવશ્યક છે. રાજયના બિનઅનામત કક્ષાના પરીવારોના જરૂરીયાતમંદ બાળકોને પ્રાથમિક શિક્ષણથી જ શિષ્યવૃતિ મળે તેમજ ક્ધયાઓમાં અભ્યાસનું પ્રમાણ વધે અને દીકરીઓને પ્રોત્સાહિત કરી શકાય તેવી યોજનાઓ બનાવવી જોઈએ.

કળા, સાહિત્ય તેમજ રમત-ગમત ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે તેજસ્વી ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા ઉચિત યોજના બનાવવી જોઈએ. સરકારી નોકરીઓ માટે આવા ઉમેદવારોની વય મર્યાદામાં વધારો કરવા તેમજ ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા કુટુંબના બાળકોની નોકરી માટેની પરીક્ષા ફી માફ કરવા અંગે કલ્યાણપુર તાલુકા ભાજપ મંત્રી કેતનભાઈ મોટલાએ વિસ્તૃત રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.