Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ. જે. કુંડલીયા મહિલા કોમર્સ કોલેજના અધ્યાપક ડોક્ટર જ્યોતીન્દ્ર જાની વિરુદ્ધ સાત દિવસમાં પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો છે. યુવતીની ઈચ્છા વિરુદ્ધ ડોક્ટર જ્યોતિન્દ્ર જાની દ્વારા પોતાની ગાઈડશીપ હેઠળ કોમર્સ વિભાગમાં સંશોધન કરતી વિદ્યાર્થીની સાથે પણ અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. યુવતીની ઈચ્છા વિરુદ્ધ તેણી સાથે સ્પર્શ કરવામાં આવ્યો હતો. તેમજ યુવતીને નોકરી અંગેના આર્થિક પ્રલોભનો આપી તેની સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું.

Advertisement

ત્યારે સમગ્ર મામલે યુવતી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને ગત 25 ઓગસ્ટ 2023ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી. જે અનુસંધાને 15 સપ્ટેમ્બર 2023 શુક્રવારના રોજ કમિટીની મિટિંગ મળી હતી. જે કમિટીની મિટિંગમાં સંબંધિત વિદ્યાર્થીનીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. કમિટીના રિપોર્ટના આધારે કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે દિવસ 7માં પગલાં લેવા એસ.ડી.આર.બી. હોમ સાયન્સ એન્ડ સ્વ. એમ. જે. કુંડલિયા અંગ્રેજી માધ્યમ મહિલા કોમર્સ કોલેજના સંચાલકોને આદેશ કર્યો છે.

પીએચ.ડી કરતી વિદ્યાર્થિનીએ ગતમહિને પ્રો.જાની દ્વારા આર્થિક પ્રલોભનો આપી અણછાજતું વર્તન કરવા મામલે કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી: જ્યોતિન્દ્ર જાનીની ગાઈડશિપ હેઠળ પીએચ.ડી. કરતા તમામ વિદ્યાર્થીઓને પરત

પીએચડીની વિદ્યાર્થિનીએ કરેલી અરજી બાદ પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીની યોન શોષણમાં પ્રાથમિક સંડોવણી બહાર આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ્યોતિન્દ્ર જાનીની ગાઈડશીપ હેઠળ પીએચડી કરતા તમામ વિદ્યાર્થીઓને પરત લઈ લીધા છે.

પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની સામે સમગ્ર કાર્યવાહી અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. તેમજ તમામ પુરાવાઓ તેમજ વિદ્યાર્થિનીનું વીડિયો રેકોર્ડિંગ કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએસડીની વિદ્યાર્થિનીના શોષણ મામલે અત્યારે સુધીમાં બાયો સાયન્સ ભવનના અધ્યક્ષ નિલેશ પંચાલ, અર્થશાસ્ત્ર ભવનના અધ્યાપક રાકેશ જોશી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.