Abtak Media Google News

કોલસાની અછત અને હિટવેવની અસર તળે દેશભરમાં વીજ અછતની સ્થિતિ સર્જાઈ!!

ભીષણ ગરમી વચ્ચે દેશમાં કોલસાનું સંકટ વધી રહ્યું છે. કોલસાનું સંકટ એલું વિકરાળ બની ચુક્યુ છે કે ટ્રેન પરિચાલન પર પણ તેની ખરાબ અસર પડી રહી છે. કોલસા સંકટની સ્થિતિ એવી છે કે કેલવેએ કોલસાનીની કમીને કારણે 753 ટ્રેનો રદ્દ કરી દીધી છે. રેલવેએ ઓર્ડર જાહેર કરતા કહ્યું કે, દેશમાં પ્રાથમિક રીતે કોલસાની આપૂર્તિ કરવા માટે યાત્રી ટ્રેન રદ્દ કરવામાં આવી રહી છે.

મહત્વપૂર્ણ બાબત છે કે, જે રૂટ પર ટ્રેનો રદ્દ કરવામાં આવી છે તે રૂટ પર હવે કોલસાનું પરિવહન કરવામાં આવશે અને ઝડપી પરિવહન થઈ શકે તે હેતુથી જ આ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. અગાઉ પણ જ્યારે કોલસાની અછત સર્જાઈ હતી ત્યારે રેલવેએ 28મી માર્ચથી 24 મેં સુધી 670 રૂટ પરની ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. રેલવેએ જણાવ્યું કે સાઉથ-ઈસ્ટ સેન્ટ્રલ રેલવેની 11 જોડી મિડિયમ એક્સપ્રેસ ટ્રેન અને 6 જોડી પેસેન્જર ટ્રેનોને રદ્દ કરવામાં આવી રહી છે. આ સિવાય ઉત્તર રેલવેથી 2 જોડી મિડિયમ એક્સપ્રેસ ટ્રેન અને 2 જોડી પેસેન્જર ટ્રેનોને રદ કરવામાં આવી રહી છે.

કુલ મળીને 13 જોડી એક્સપ્રેસ ટ્રેન અને 8 જોડી પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે. રેલવેએ આગળ કહ્યું કે, આ દરમિયાન સાઉથ-ઈસ્ટ સેન્ટ્રલ રેલવેની મિડિયમ એક્સપ્રેસ ટ્રેનોના 343 અને પેસેન્જર ટ્રેનોના 370 ચક્કર રદ્દ થશે તો ઉત્તર રેલવેના 20 મીડિયમ એક્સપ્રેસ અને પેસેન્જરના 20 ચક્કર લાગશે નહીં. કુલ મળીને દેશમાં કોલસાની કમીને કારણે 753 ટ્રેન રદ્દ રહેશે.

એક તરફ ગરમી વધી રહી છે જેના લીધે સતત વીજળીનજ માંગમાં વધારો થઈ રહ્યો છે. ત્યાં હાલ દરરોજ ભારતને 207 ગીગાવોટ વીજળીની જરૂર છે ત્યારે ભારતે દરરોજનું 210 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવું જ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વીજળીના ઝડપી ઉત્પાદન માટે કોલસાની માંગ પણ મોટી રહેશે  ત્યારે કોલસાનો જથ્થો પાવર સ્ટેશન સુધી કોઈ પણ અવરોધ વિના અવિરતપણે પહોંચે તે હેતુથી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભીષણ ગરમીને કારણે દેશના લગભગ દરેક રાજ્યમાં વીજળીની માંગ વધી ગઈ છે. બીજી તરફ કોલસાની કમીને કારણે વીજળી પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે. વીજળીની કમીને કારણે દેશના ઘણા રાજ્યોમાં પાવર કટ મુકવામાં આવ્યો છે. વીજળીની અછતની સમસ્યાને લઈને શુક્રવારે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતું કે સરકારે બુલડોઝર રોકીને વીજળી પ્લાન્ટ ચલાવવા પર ધ્યાન લગાવવું જોઈએ.

રેલવેએ પોતાના નિવેદનમાં કહ્યું કે, બિન પ્રાથમિક ક્ષેત્રો અને ઓછા ભીડવાળા રૂટની ટ્રેનોને રોકવામાં આવી છે, જેથી કોલસાની અવરજવરમાં તેજી લાવી શકાય. રેલવેએ તે પણ જણાવ્યું કે કુલ 533 ટ્રેનોને કોલસાની હેરફેર માટે લગાવવામાં આવી છે. રેલવેએ તે પણ કહ્યું કે, ટ્રેનોને અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે અને રેલવે સ્થિતિનું દરરોજ નિરીક્ષણ કરી રહ્યું છે.

હાલના દિવસોમાં દેશમાં કોલસાની અછતને કારણે રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યો વીજસંકટનો સામનો કરી રહ્યા છે. ક્યાંક રાજ્યોમાં 2 કલાક વીજળી ગુલ થાય છે તો ક્યાંક 5 થી 8 કલાક. લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દેશમાં વીજળીની કુલ અછત 623 મિલિયન યુનિટ પર પહોંચી ગઈ છે. આ આંકડો માર્ચમાં વીજળીની કુલ અછત કરતાં વધુ છે.

પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો ભંડાર નવ વર્ષમાં સૌથી નીચો!!

આ સંકટના કેન્દ્રમાં કોલસાની અછત છે. દેશમાં 70 ટકા વીજળીનું ઉત્પાદન કોલસાથી થાય છે. સરકાર દાવો કરી રહી છે કે માંગને પહોંચી વળવા પૂરતો કોલસો ઉપલબ્ધ છે, પરંતુ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો ભંડાર નવ વર્ષમાં સૌથી નીચો છે. દેશમાં 70 ટકા વીજળીનું ઉત્પાદન કોલસાથી થાય છે. જો કે આ સમયે કોલસાની તીવ્ર અછતના કારણે સામાન્ય જનતા વીજ કટોકટીનો સામનો કરી રહી છે.

ક્યાં કેટલી વીજળીની અછત?

દેશમાં વીજળીની કુલ અછત 623 મિલિયન યુનિટ પર પહોંચી ગઈ છે. જેમાંથી અનેક રાજ્યોમાં વીજળીની  અછત ઉભી થઇ છે. યુપીમાં 3000 મેગાવોટ, પંજાબમાં 1550 મેગાવોટ, તમિલનાડુમાં 750 મેગાવોટ, જમ્મુ અને કાશ્મીરમાં 500 મેગાવોટ, હરિયાણામાં 300 મેગાવોટ વીજળીની અછત સર્જાઈ છે જેના લીધે વીજ કાપ મુકવાનો વારો આવ્યો છે.

વીજ કટોકટી સર્જાવા પાછળ કારણ શું છે?

ભારત લગભગ 200 ગીગાવોટ વીજળીનું દૈનિક ધોરણે ઉત્પન્ન કરે છે જેમાંથી લગભગ 70% કોલસા આધારિત પ્લાન્ટ્સમાંથી ઉત્પાદન થાય છે. દેશના મોટા ભાગના વીજ ઉત્પાદન પ્લાન્ટ કોલસા પર ચાલે છે, પરંતુ હાલમાં વીજળીની વધતી જતી માંગ અને કોલસાની અછતને કારણે મોટાભાગના પ્લાન્ટ પાવર સપ્લાય કરવામાં ઓછા સક્ષમ છે. દેશના કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં છેલ્લા નવ વર્ષમાં સૌથી ઓછો કોલસાનો ભંડાર બચ્યો છે. એટલે કે વીજળીની માંગ વધારે છે, પરંતુ કોલસાના અભાવે પ્લાન્ટ્સ જરૂરિયાત મુજબ વીજળી ઉત્પન્ન કરી શકતા નથી. કોલ ઈન્ડિયા પાવર પ્લાન્ટ્સ માટે દરરોજ 16 4 લાખ ટન કોલસાનો સપ્લાય કરી રહી છે, જ્યારે કોલસાની માંગ પ્રતિદિન 22 લાખ ટન સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે કોલસાના વપરાશમાં 8%નો વધારો થયો છે, પરંતુ કોલ ઈન્ડિયાએ કોલસાના ઉત્પાદનમાં વધારો કર્યો નથી. કોલ ઈન્ડિયા જ દેશમાં 80% કોલસાનું ઉત્પાદન કરે છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, એપ્રિલના પ્રથમ 27 દિવસમાં વીજળીનો પુરવઠો માંગ કરતાં 1.88 અબજ યુનિટ અથવા 1.6% ઘટી ગયો હતો. છેલ્લા 6 વર્ષમાં એક

મહિનામાં વીજળીની આ સૌથી મોટી અછત છે. ગત અઠવાડિયે ભારતમાં 62.3 કરોડ યુનિટ પાવરની અછત હતી. આ સમગ્ર માર્ચ મહિનામાં વીજળીની અછત કરતાં વધુ છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી અનુસાર દેશના 150 કોલસા આધારિત પાવર પ્લાન્ટમાંથી 86 પાસે કોલસાનો સ્ટોક ખાલી થઈ ગયો છે. આ તેમની સામાન્ય જરૂરિયાતોના માત્ર 25% સ્ટોક સાથે બચે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.