Abtak Media Google News

10 દિવસથી શિક્ષક માર મારતા હોવાનો બાળકની માતાનો આક્ષેપ

શહેરમાં આનંદનગર વિસ્તારમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતાં બાળકને તેની સ્કૂલના શિક્ષકે ફૂટપટ્ટીથી માર મારતા તે ગંભીર રીતે ઘવાતા બાળકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકને 10 દિવસથી ફટકારવામાં આવતો હોવાનો તેની માતાએ આક્ષેપ કર્યો હતો.

વિગતો મુજબ કોઠારિયા રોડ પરના આનંદનગરના અજંતાપાર્કમાં રહેતા ક્રેનિલ કમલેશભાઇ સોમાણી (ઉ.વ.12)ને શનિવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ક્રેનિલની માતા સલમાબેને હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ સમક્ષ કહ્યું હતું કે, ક્રેનિલને શુક્રવારે સવારે તેની સ્કૂલના શિક્ષક જયદીપ ગઢિયાએ ફૂટપટ્ટી મારતા ક્રેનિલને ઇજા થઇ હતી. બનાવની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગઇ હતી. અને પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, ક્રેનિલ સાધના સોસાયટીમાં આવેલી સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે, શુક્રવારે સાંજે સલમાબેન પોતાની નોકરી પૂરી કરીને ઘરે પહોંચ્યા હતા ત્યારે પુત્ર ક્રેનિલ સૂતો હતો, પુત્રના માથા પર સ્નેહથી હાથ મૂકતાં જ ક્રેનિલ ઝબકીને જાગી ગયો હતો .

મને મારતા નહીં તેવું બોલવા લાગ્યો હતો.પુત્રની હરકતથી ગભરાઇ ગયેલા સોમાણી પરિવારે આ અંગે ક્રેનિલના સાથી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં જ શિક્ષકનો ત્રાસ હોવાનું બહાર આવ્યું હતું. સલમાબેને કહ્યું હતું કે, સ્કૂલના શિક્ષક જયદીપ ગઢિયા છેલ્લા દશ દિવસથી ક્રેનિલને બંને હાથ પર ફૂટપટ્ટી ફટકારતા હતા, ડરી ગયેલા ક્રેનિલે આ અંગે કોઇને જાણ કરી નહોતી. શિક્ષક જયદીપ સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓને પણ અવારનવાર મારકૂટ કરતો અને ક્રેનિલને છેલ્લા 10 દિવસથી માર મારતા હોવાના આક્ષેપો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.