Abtak Media Google News

પોરબંદરના બખરલા ગામના વૃદ્ધને પખવાડિયા બાદ પરિવાર સાથે કરાવ્યો ભેટો

સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર છે. આધાર અથવા તો નિરાધાર તમામ દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફક્ત માવજત નહિ પણ સંવેદના પણ દાખવે છે. જેના માટે પી.ડી.યું. સિવિલ હોસ્પિટલમાં “હેલ્પ ડેસ્ક”ની ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે નિરાધાર અને નોધારા દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. સિવિલ હોસ્પિટલ હેલ્પ ડેસ્ક નોંધારા દર્દીઓના આધાર બની માનવીય સંવેદના સાથે સથિયારો બન્યું હોય તેવું ઉદાહરણ આપ્યું છે. જેમાં પોરબંદરના બરખલા ગામના વૃદ્ધને એક પખવાડીયા સુધી સારવાર સાથે માવજત આપી પરિવાર સાથે ભેટો કરાવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલા મહિનાઓથી તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી અને આર.એમ.ઓ. ડો. કાનાણી સહયોગથી એક નવી પહેલ ની શરૂઆત કરવામાં આવી છે જેનું નામ હેલ્પ ડેસ્ક છે. જેમાં વાલીવારસ ન હોય તેવા અને નોંધારા દર્દીઓને આધાર બની માનવીય સંવેદના સાથે સથયારો પણ પૂરો પાડવામાં આવે છે. આવી જ રીતે પોરબંદરના બખરલા ગામના ઢેલીબેન સુમરાભાઈ ખુંટી નામના 80 વર્ષના વૃદ્ધ પોરબંદરથી અત્રે સારવાર માટે આવ્યા હતા.

જેની છેલ્લા 20 દિવસથી સિવિલ હોસ્પિટલના તબીબો તથા હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા તેમની તમામ પ્રકારની માવજતે લેવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ તેમના પરિવારજનોને શોધવા માટે પણ કમર કસી હતી તેના પરિણામે વૃદ્ધા પોરબંદરના બખરલા ગામના હોવાનું જાણવા મળતા ત્યાંના ગ્રામસેવક પરબતભાઈ જાડેજા અને ગામના સરપંચ અરશીભાઈ નો સંપર્ક કરતા ઢેલીબેનના પરિવારજનોની ભાળ મળી હતી. જેમાં જાણવા મળ્યા મુજબ ઢેલીબેનનો પુત્ર પણ હેન્ડીકેપ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તબીબો ઢેલી બેનને રજા આપતા પરિવારજનોની હાજરીમાં વોર્ડમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

આ દર્દીઓની ઘણા સમયથી રખાય છે સાર સંભાળ

વસંતભાઈ રામચંદ્ર બનીયા (ઉં.વ.75) વસંતભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તા.8મી એપ્રિલથી દાખલ છે. તેમજ તેમને અમરેલી સીવીલ હોસ્પિટલથી 108 દ્વારા લાવવામાં આવ્યા છે. તેમજ તેઓ ટ્રોમા સેન્ટરના પાંચમા માળે દાખલ છે. તેઓ મહારાષ્ટ્રના હોવાનું જણાવે છે. અત્યાર સુધી તેમના કોઈ સગા મળી આવ્યા નથી.

રવિપ્રસાદ શંકરભાઈ (ઉંં.વ.45)  આ દર્દી પીએમએસએસવાય બિલ્ડીંગના ચોથા માળે દાખલ છે. તેઓ માધાપર ઇશ્વરિયા ફાટક પાસેથી 108 દ્વારા પગ કપાયેલી હાલતમાં લાવવામાં આવ્યા હતાં.તે પોતે યુપી બિહારના હોવાનું જણાવે છે.તેમજ તે કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમજ અત્રેની હોસ્પિટલમાં 3 માસથી દાખલ છે.તેમજ અત્યાર સુધી તેમના કોઈ સગા મળી આવ્યા નથી.

જ્યાબેન રમણીકભાઇ સોલંકી (ઉં.વ.70) રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વોર્ડ નંબર 11માં દાખલ છે. તેમજ તેમને રેનબસેરા બેડીનાકા 108 દ્વારા લાવવામાં આવ્યા હતાં. તેમજ તેમના સગા કોઈ અત્યાર સુધી આવ્યા નથી. અત્રેની હોસ્પિટલમાં તારીખ 15 દિવસથી દાખલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.