Abtak Media Google News

હેલ્પલાઈન નં.0281-2220600 ઉપર ફોન કરો કોર્પોરેશન ઘરે આવી વેક્સિન આપી જશે: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાની સત્તાવાર જાહેરાત

શહેરમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી કરવા માટે મહાપાલિકા દ્વારા નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. આવતીકાલથી બીમાર, પથારીવશ, દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત, 60 વર્ષથી મોટી ઉંમરના લોકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ માટે ડોર ટુ ડોર વેક્સિનેશનની કામગીરીનો આરંભ કરવામાં આવશે તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેશન કામગીરી અંતર્ગત શહેરને 100% વેકસીનેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં નિયત કરેલ કોરોના વેકસીન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેકસીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે આવતીકાલથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બીમાર, પથારીવશ, દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત, 60 વર્ષથી મોટી ઉમરના લોકો, સગર્ભા માતા અને ધાત્રી માતાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ વાન મારફત ઘર બેઠા કોરોના વેકસીન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના બીમાર, પથારીવશ, દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત, સગર્ભા માતા અને ધાત્રી માતાને વેક્સીન લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર 0281-2220600 શરૂ કરાયેલ છે અને તેમાં ફોન કરવાથી ઘરે આવીને કોરોના વેકસીન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

લાભાર્થીએ હેલ્પલાઇન નંબર પર સવારના 09:00 થી સાંજના 05:00 વાગ્યા સુધી જ ફોનમાં વેકસીન લેનારની વિગત નોંધાવવાની રહેશે.

હેલ્પલાઇન કંટ્રોલ રૂમમાંથી જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓને જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા વેકસીનની સેવા લાભાર્થીને ઘરે પુરી પાડવામાં આવશે.

વેકસીનના સ્ટોકની ઉપલબ્ધી, વેકસીન સેસનના સમય, જે-તે આરોગ્ય કેન્દ્રના લાભાર્થીની સંખ્યા વિગેરે બાબતો તથા વેકસીન ગાઈડલાઈનને અનુસરીને હેલ્પલાઇનમાં મળેલ માહિતી બાદ 24 થી 48 કલાકમાં લાભાર્થીને ઘરે વેકસીન આપવાની વ્યવસ્થા ગોઠવેલ છે. હેલ્પલાઇનમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાંકનું પૂરું સરનામું, વેકસીનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી અચૂક લખાવવાની રહેશે.

જ્યારે પણ કોર્પોરેશનની વેકસીનેશન ટીમ ઘરે રસી આપવા માટે આવે ત્યારે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર તથા લીધેલ વેકસીનની વિગત સ્થળ પર અચૂકપણે રાખવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ અભિગમમાં શહેરના બીમાર, પથારીવશ, દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત, 60 વર્ષથી મોટી ઉમરના લોકો, સગર્ભા માતા અને ધાત્રી માતાને ઘર બેઠા નિ:શુલ્ક વેકસીનેશન સેવાનો લાભ લેવા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોર અપીલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.