Abtak Media Google News

પત્ની પર આડા સંબંધની શંકાના કારણે ચાલતા ઝઘડામાં અગાઉ પતિ પર પોલીસ ફરિયાદ થઈ’તી

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા બુધ નગર સોસાયટીમાં રહેતા યુવાને પોતાની જાતે ગળાના ભાગે બ્લેડ વડે છરકા કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પત્ની પર આડા સંબંધની શંકા કરતા દંપતી વચ્ચે છેલ્લા ત્રણ માસથી ઝઘડો ચાલતો હતો. જેમાં અગાઉ પતિ પર પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્વરમાં બુધ્ધનગર શેરી -37માં રહેતા અને કડિયા કં કરી પરિવારનું ગુજરાન ચલાવતા મહમદ ઉર્ફે લાલો અમિનભાઈ વૈદ્ય નામના 39 વર્ષીય યુવાને આજે બપોરે પોતાના ઘરે પોતાની જાતે ગળાના ભાગે બ્લેડના છરકા મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મહમદ ઉર્ફે લાલો તેમના પત્ની અંજુમબેન પર શંકા કરતા હોય જેના કારણે દંપતી વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેના કારણે અગાઉ પણ મહમદ ઉર્ફે લાલા સામે પોલીસ ફરિયાદ કરી હતી. ગઇ કાલે અંજુમબેન પોતાના માવતર સુરેન્દ્રનગર જતા રહ્યા હતા. જેથી મહંમદ ઉર્ફે લાલાએ પોતાના ઘરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.