Abtak Media Google News

બાળ આરોપી સહિત આઠ શખ્સોએ સરાજાહેર છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું: એક શખ્સ ફરાર

રાજકોટ શહેરમાં ફરી એકવાર સામાન્ય બાબતે એક યુવાનની સરાજાહેર છરીના ઘા ઝીંકી બાળ આરોપી સહિત આઠ શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યોની ઘટનામાં પોલીસે સાત હત્યારાઓની ધરપકડ કરી છે. જ્યારે હજુ એક આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ૮૦ ફૂટ રોડ આંબેડકરનગરમાં બુધવારે રાતે નવા થોરાળા મેઇન રોડ, સ્વામિનારાયણ સ્કૂલની સામે -૧માં રહેતા અને મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીમાં નોકરી કરતા સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઇ મકવાણા નામના યુવાનની સરાજાહેર હત્યા થઇ હતી. બે મહિના પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી તેમજ શેરીમાંથી નીકળવાની ના પાડી તો પણ કેમ નીકળે છે તેમ કહી કાર અને બાઇકમાં ધસી આવેલા ૮ શખ્સોએ છરીના ઘા ઝીંકી તેમજ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

આ ઘટનાના પગલે થોરાળા પોલીસ મથકના પીઆઇ ડો.એલ.કે.જેઠવા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક સિદ્ધાર્થના બનેવી સુનિલભાઇ નાથાભાઇ ચાવડાની ફરિયાદ પરથી નામ જોગ આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ આરોપીઓને સકંજામાં લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જેમાં થોરાળા પોલીસ મથકના સ્ટાફે ગણતરીની કલાકોમાં આંબેડકરનગર-૧૧માં રહેતો મોહિત ઉર્ફે બન્ની સુરેશ પરમાર, આંબેડકરનગર-૧૩માં રહેતો ધર્મેશ ઉર્ફે ધમો કાના ગોહેલ, નવી ઘાંચીવાડના આનંદ ઉર્ફે કાળુ રવજી મૂછડિયા, નવા થોરાળાના ગોપાલ ઘેલા ગોહેલ, રામનાથપરા ભવાનીનગરના જગદીશ ઉર્ફે ભમો પુંજા ગોહેલ, મયૂર ઉર્ફે એમ.ડી. વિનોદ દાફડા તેમજ એક બાળ આરોપીનો સમાવેશ થાય છે. પૂર્વયોજિત મંડળી રચી યુવાનની સરાજાહેર ઘાતક હથિયારો સાથે હુમલો કરી નિર્મમ હત્યા કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને વિશેષ પૂછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.