Abtak Media Google News

યે દોસ્તી હમ નહીં તોડેંગે

રાજકોટથી પરત જતી વેળાએ બંને મિત્રોને કાળ ભેટ્યો: પરિવારમાં કલ્પાંત

પોલીસે ઘટનાની નોંધ કરી બંને મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

શોલે ફિલ્મના ગીતના શબ્દો ’યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે’ શબ્દો સાર્થક કરતો કિસ્સો કુવાડવા પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં તરઘડિયા અને શુકલ પીપળીયા ગામના બે જુવાનજોધ મિત્રના મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. રાજકોટ થી ઘરે જતી વેળાએ બે કાબુ બનેલા ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા બંને મિત્રોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. પોલીસે બંને મૃતદેને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ તરઘડીયા ગામે રહેતા બહાદુર છગનભાઈ સાડમિયા નામનો 25 વર્ષીય યુવાન શુક્લ પીપળીયા ગામના તેમના મિત્ર ઘુઘા વિનાભાઈ જખાણીયા નામના 24 વર્ષીય યુવાન સાથે બાઈક પર જતા હતા ત્યારે માલિયાસણ પાસે માતેલા સાંઢની જેમ ધસી આવેલા રાજકોટ પાસિંગના ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકસાથે બંને મિત્રોએ અનંતની વાટ પકડતા શોકનો માહોલ છવાયો છે.

આ અંગે ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને મિત્રોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટના અંગે બંને યુવાનોના પરિવારજનોએ જાણ કરતા ગમગીની છવાઈ ગઈ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક બહાદુર સાડમીયા માલધારી હોય અને ઢોર ચરાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક યુવાન બહાદુર સાડમિયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોય અને પોતે ત્રણ ભાઈમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. બહાદુર સળમિયાના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

તો બીજી તરફ તેના મિત્ર ઘૂઘા જખાણીયા પણ માલ ઢોરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો આ સાથે પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે છૂટક મજૂરી પણ કરતો હતો. મૃતક ઘુઘા જખાણીયાની સગાઈ તૂટી ગયો હોવાનું અને તે મામલે અગાઉ પોલીસ કેસ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે.તરઘડીયા ગામેથી બહાદુર સાડમિયા શુકલ પીપડીયા ગામના પોતાના મિત્ર ઘુઘા જખાણીયા સાથે બાઈક પર રાજકોટ આવ્યા હતા ત્યાંથી પરત તરઘડીયા જતી વેળાએ માલ્યાસણ નજીક કાળ બનીને ત્રાટકેલા ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. જેથી ગંભીર રીતે ઘવાયેલા બંને મિત્રો એકસાથે કાળનો કોળિયો બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

માલિયાસણ હાઈવે અકસ્માતનું એપી સેન્ટર

ગઈકાલે રાત્રિના માલાસણ પાસે થયેલા ડમ કાર અકસ્માતમાં એક સાથે બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ભૂતકાળમાં પણ માલ્યાસણ હાઇવે રક્તરંજીત રહ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે નિવૃત્ત પોલીસ કર્મી સહિત ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. ડાકોરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રાજકોટ નજીક માલિયાસણ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં નિવૃત પોલીસકર્મી પૃથ્વીસિંહ જાડેજા, જ્યેન્દ્રસિંહ ઝાલા અને પોલીસ પુત્ર ઇન્દ્રજીતસિંહ જાડેજાના મોત થયા હતા. જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આવી જ રીતે માલીયાસણ પાસે અને અકસ્માતોમાં લોકોના જીવ ગુમાવ્યા હોવાની અનેક ઘટના ઘટી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.