Abtak Media Google News

રાજકોટના આજીડેમ ચોકડીગોંડલ તરફ જતા હાઈવે પર બ્રિજની દિવાલ ધસી પડતા બે લોકોના મૃત્યુ થવાના કિસ્સામાં નોંધાયેલ સાપરાધ મનુષ્ય વધના ગુનામાં ના મુખ્ય કન્સલ્ટન્ટના આગોતરા જામીન સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલા છે.

Advertisement

આ કેસની હકીકત એવી છે કે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના પ્રોજેકટ ડિરેકટર પંકજકુમાર રોયે આજીડેમ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદમાં જણાવેલ હતું કે, રાજકોટ આજીડેમ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી  તરફ જતા સર્વિસ રોડની દિવાલની ડિઝાઈન અસુરક્ષીત અને ખામીયુકત રીતે તૈયાર કરી દિવાલના બાંધકામમાં નબળી ગુણવતાના મટિરિયલનો ઉપયોગ કરી યોગ્ય રીતે બાંધકામ નહી કરી તેમજ સમયાંતરે દિવાલનું યોગ્ય રીતે સમારકામ પણ નહી કરતા ઓવરબ્રિજની દિવાલનું નબળા પ્રકારનુ હલ્કી ગુણવતાના બાંધકામ અને ડીઝાઈનને કારણે દિવાલ પડી જવાના બે કારણે યુવાનો  વિજયભાઈ કરણભાઈ વિરડા અને ભુપતભાઈ નાથાભાઈ મીયાત્રાના મૃત્યુ નિપજ્યાની ફરિયાદના કામે તપાસ દરમ્યાન એન.એચ.એ.આઈ. વતી બાંધકામ કરનાર સાંઈ કન્સલ્ટન્ટ કંપનીમાં એન.એચ.એ.આઈ. દ્વારા મુકવામાં આવેલ સ્વતંત્ર એકસપર્ટ કન્સલ્ટન્ટ કરણી નારાયણ માથુર (રહે. જયપુર, રાજસ્થાન) કે જેણે સમગ્ર પ્રોજેકટ અને બાંધકામ પૂર્ણ થયાનું ફાઈનલ કમ્પલીશન સર્ટિફિકેટ આપેલ હોય અને આવું સર્ટિફિકેટ આપતા પહેલા કોઈપણ પ્રકારની યોગ્ય ચકાસણી કે ડિઝાઈન ચેક કરેલ ન હોવાથી દિવાલ પડી ગયેલ હોવા બાબતે પોલીસ દ્વારા આરોપીની અટક કરવાની તજવીજ કરાતા આરોપી કન્સલ્ટન્ટ કે. એન.માથુરે તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરેલ હતી.

આરોપી માથુર વતી કરવામાં આગોતરા જામીન અરજી સુનાવણી પર આવતા એવી રજૂઆત કરવામાં આવેલ કે ફરિયાદીએ ફરીયાદ દાખલ કરતા અગાઉ સરકાર દ્વારા નિમાયેલ કમિટીનો રિપોર્ટ જોવામાં આવે તો સદર બનાવવાળી દિવાલ તે 85 કિ.મી.ના પ્રોજેકટનો એક નાનકડો ભાગ છે અને સમગ્ર પ્રોજેકટમાંથી પ્રોજેકટ બન્યાના 12-13 વર્ષ બાદ કુદરતના સામાન્ય ક્રમમાં થતા ઘસારા અને અપુરતા મેઈનટેનન્સને કારણે ક્ષતિગ્રસ્ત થયેલ દિવાલ પડી જવાના બનાવમાં 12/13 વર્ષ પહેલા કન્સલ્ટન્ટ તરીકે આપેલ અભિપ્રાય કે સર્ટિફિકેટના આધારે અરજદારને આરોપી બનાવી શકાય નહીં, તેમજ સદર હાઈવે આજની તારીખે સંપૂર્ણપણે તમામ પ્રકારના વાહનો માટે કાર્યરત છે. અને કોઈ જ અજૂગતો બનાવ બનેલ નથી. જેથી આરોપીને આગોતરા જામીનનું રક્ષણ આપવા વિસ્તૃત દલીલો કરેલ હતી.બંન્ને પક્ષકારોની રજૂઆતો, દલીલોના અંતે આરોપી તરફે થયેલ દલીલો સાથે સહમતી દર્શાવી આરોપીના આગોતરા જામીન મંજુર કરેલ હતા.આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ  તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ, વિરમ ધરાંગીયા રોકાયા છે.

આજી ડેમ ચોકડીના કામમાં હાલમાં પણ બેદરકારીની હાઇકોર્ટની ટકોર

ગુજરાત હાઇકોર્ટે આગોતરા જામીનના હુકમમાં એન.એચ.એ.આઈ. દ્વારા આજની તારીખે પણ બ્રિજ તથા ક્ષતિગ્રસ્ત ભાગ સંપૂર્ણપણે રિપેર કરાવ્યા વિના હાઈવે ચાલુ રાખેલ હોવાની ગંભીર નોંધ લઈ દિવાલ ધસી પડવાના કારણે બે નિર્દોષ વ્યકિતઓના મૃત્યુ થયેલ હોવા છતાં આજદિન સુધી એન.એચ.એ.આઈ. એ સરકાર દ્વારા ક્ષતિગ્રસ્ત દિવાલની કોઈ યોગ્ય મરામત કરવામાં આવેલ ન હોય ત્યાંથી પસાર થતા વાહનો અને જાહેર જનતા માટે ક્ષતિગ્રસ્ત ભાગ ખુબ જ ગંભીર હોય અને ફરી વખત અકસ્માત સર્જાવાની શકયતા હોવાનું જણાવી સામાન્ય જનતાની સલામતી તે સરકારની મુખ્ય જવાબદારી છે તેમ ઠરાવી એન.એચ.એ.આઈ. તથા કલેકટરને ઉપરોકત ક્ષતિગ્રસ્ત ભાગ તાત્કાલીક ક્ષતિગ્રસ્ત હોઇ રિપેર કરવા ટકોર કરેલ છે. અને હુકમની નકલ એન.એચ.એ.આઈ.ના ડિરેકટર તથા રાજકોટના કલેકટરને યોગ્ય કાર્યવાહી કરવા મોકલવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.