Abtak Media Google News

સગીર પ્રેમીકાની લાશ જોવા પ્રેમી ગયોને હત્યાનો ભેદ ઉકેલાયો

પ્રેમીએ દુષ્કર્મ આચર્યા બાદ ભાંડો ફુટશે તેવા ભયથી મિત્ર સાથે મળી સગીરાનું ગળુ દબાવી હત્યા નિપજાવી લાશને ભાયાવદર જંગલમાં દાટી દીધી’તી

તા.૧૮ ઓગસ્ટ ૨૦૧૬  ના રક્ષાબંધનના દિવસે ધારીના પ્રેમપરા વિસ્તારમાં રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ થઇ હતી જે તે વખતે પોલીસે આકાશ પાતાળ એક કરવા છતા સગીરા કે તેને ભગાડી જનારનો પતો લાગેલ નહી પણ ચાર વર્ષે એસપી શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સગીરાને ભગાડી ગયેલ તેના પ્રેમીએ મિત્રોની મદદથી આ સગીરાની ગળુ દાબી હત્યા કરી લાશને દાટી દીધી હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પોલીસની તપાસમાં સમાજની આંખ ઉઘાડનાર ગંભીર બનાવનો પર્દાફાશ થયો હતો.

આ સમગ્ર વિગત આપતા સાવરકુંડલાના ડીવાયએસપી અને આ બનાવનું સુપરવીઝન કરી રહેલ શ્રી કે.જે.ચૌધરીએ જણાવેલ કે આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ગત તા. ૧૮ ઓગસ્ટ ૨૦૧૬  ના ધારીના પ્રેમપરા વિસ્તારમાં રહેતી ૧૪  વર્ષની સગીરા ઘેરથી ગુમ થઇ હતી અને ૧૯ મી એ પોલીસમાં કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ થઇ હતી દરમિયાન ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક અને રેલ્વેઝ દ્વારા સગીર વયના ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ તે અંતર્ગત અમરેલી જિલ્લામાં એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લાના ગુમ થયેલા સગીર વયના બાળકોની માહિતી એકત્ર કરી પોલીસને શોધી કાઢવા સુચના અપાઇ હતી.

દરમિયાન ધારીના પ્રેમપરામાં ૨૦૧૬  માં અપહરણ કરાયેલ ૧૪  વર્ષની બાળાની આજ દિન સુધી કોઇ ભાળ મળેલ ન હોય અને પરિવારના સભ્યોનો સંપર્ક ન કરેલ હોવાથી અઘટીત બનાવ બન્યો હોવાની શંકા શ્રી નિર્લિપ્ત રાયને જતા તેમણે આ બનાવની તપાસ ઇન્વેસ્ટીગેશન માટે જાણીતા એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી આર.કે. કરમટાને સોંપી અને માર્ગદર્શન આપ્યુ હતુ શ્રી કરમટાની ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલફર્લો સ્કવોર્ડની ટીમના એ.એસ.આઇ. મહેશભાઈ ભુતૈયા, બળરામભાઇ પરમાર, વિજયભાઈ ગોહિલ, મયુરભાઇ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ ચાવડા, જયદિપસિહ ચુડાસમા, જયપાલસિહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રકુમાર ધાધલ, જીજ્ઞેશભાઇ પોપટાણી, મહેશભાઈ મુધવા, જનકભાઈ કુવાડીયા, અજયભાઈ સોલંકીને તેના અંગત બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે આ ગુમ થયેલી બાળા તેના જ વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે વધુ વાતચીત કરતી હતી આથી પોલીસે આ યુવકની શોધખોળ શરૂ કરી હતી તે હાલ વિસાવદરના શોભાવડલા ગામમાં રહેતો હોય જેને ઉઠાવી પુછપરછ કરતા તેમણે પોતાના બે મિત્ર સાથે મળી આ બાળાનું અપહરણ કરીને ગળુ દબાવી ખુન કરીને લાશને દાટી દીધી હોવાની ચોંકાવનારી કબુલાત આપી હતી.

પોલીસની તપાસ દરમિયાન એવી વિગત ખુલી હતી કે ધારીના પ્રેમપરાનો વતની અને હાલ શોભાવડલા વિમલ વિનુ ભારોલાએ માત્ર ૧૪  વર્ષની આ બાળાની અપરિપકવતાનો લાભ લઇ તેની સાથે અવાર નવાર શરીર સબંધ બાંધેલ અને ૧૮ મી એ ધારીમાં જ રહેતા પોતાના મિત્ર જયરાજ મંગા બતાડા સાથે આ બાળાને લલચાવી ફોસલાવી મોટરસાયકલ ઉપર લઇ જતા હતા ત્યારે આ બાળાએ વિમલ સાથે જવાની ના પાડતા તેને સમજાવવાને બહાને ધારીના ભાયાવદરથી આગળ જંગલ વિસ્તારમાં લઇ જઇ પોતાની સાથે ભાગી જવા સમજાવેલ પણ તેણી ન માનતા તે ઘરના સભ્યોને પોતાનું નામ દઇ દેશે અને પોતાના પાપનો ઘડો ફુટશે તેવી બીક લાગતા વિમલે તેણીને મોઢે ડુચો દઇ હાથ પકડી રાખેલ અને જયરાજે તેમનું ગળુ દબાવી ખુન કર્યુ હતુ ખુન કરી લાશને બાવળીયામાં સંતાડી બંને પોતાના ઘરે ચાલ્યા ગયેલ રાત્રે વિમલ અને જયરાજે પોતાના ત્રીજા મિત્ર હિતેશ ભનુ પાટડીયાને બોલાવી ત્રીકમ પાવડા સાથે ખુનની જગ્યા જઇ જમીનમાં ખાડો કરી લાશને દાટી ત્રીકમ પાવડો શેત્રુજી નદીમાં ઘુનામાં નાખી દીધેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.