Abtak Media Google News

અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી: ૬ જુન સુધી કાળઝાળ ગરમીથી રાહત મળે તેવી સંભાવના નહિવત: કંડલા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ સહિતનાં શહેરોમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં છેલ્લાં ૧૦ દિવસથી ફરી કાળઝાળ ગરમીનો દૌર શ‚ થયો છે. આજે પણ રાજયમાં આકાશ આગ ઓકશે. અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં સિવિયર હીટવેવની આગાહી આપવામાં આવી છે. ૬ જુન સુધી ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી રાહત મળે તેવી કોઈ જ સંભાવના હાલ દેખાતી નથી. અમદાવાદ સહિત રાજયનાં ૪ શહેરોમાં બુધવારે તાપમાનનો પાર ૪૪ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો જે રીતે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તેનાથી જનજીવન રીતસર ત્રાહિમામ પોકારી ગયું છે.

Advertisement

ગઈકાલે બુધવારે રાજયભરમાં સુર્યપ્રકોપ જેવા મળ્યો હતો. કંડલા પોર્ટ ૪૪.૭ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે રાજયમાં સૌથી ગરમ રહ્યું હતું. આ ઉપરાંત પાટનગર ગાંધીનગરનું તાપમાન ૪૪.૪ ડિગ્રી, અમદાવાદનું તાપમાન ૪૪.૩ ડિગ્રી, ડિસાનું તાપમાન ૪૩.૪ ડિગ્રી, રાજકોટનું તાપમાન ૪૨.૫ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન ૪૨.૫ ડિગ્રી, અમરેલીનું તાપમાન ૪૨.૧ ડિગ્રી, વડોદરાનું તાપમાન ૪૧.૯ ડિગ્રી અને ભાવનગરનું તાપમાન ૪૧.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આજે પણ રાજયમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છમાં સિવિયર હીટવેવની સંભાવના હોવાનાં કારણે અહીં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને આસપાસ રહેશે તેવી સંભાવના જણાઈ રહી છે. આગામી ૬ જુન સુધી ગુજરાતવાસીઓને ગરમીમાં રાહત મળે તેવી કોઈ જ સંભાવના જણાતી નથી. ચાલુ સાલ ઉનાળો ભારે આકરો રહ્યો છે.

છેલ્લા અઢી માસથી લાગલગાટ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી દિવસોમાં રાજયમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર થઈ જાય તેવી પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. સિવિયર હિટવેવમાં લોકોને સનસ્ટ્રોકથી બચવા માટે બપોરનાં સમયે ઘરની બહાર ન નિકળવા પણ લોકોને તાકીદ કરવામાં આવી છે. શકય તેટલું વધુ માત્રામાં પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં હજી રાજયમાં ગરમીનું જોર વધે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.