Abtak Media Google News

વૈશાખ સુદ ત્રીજ-અખા ત્રીજના દિને, ભૂદેવોના અધિષ્ઠાતા દેવ વિદ્વાનોએ જેમને ભગવાન વાસુદેવના અંશરૂપ ગણ્યા
છે તેવા ભૃગુકુલભૂષણ, કાલાગ્નિ સમાં દુ:સહ, કૈલાસ સમ દુર્ઘર્ષ, વેદજ્ઞ પરશુરામની જન્મોત્સવ છે
બ્રહ્મતેજથી દૈદિપ્યમાન, ભભૂકતા અગ્નિ થઈ રોમેરોમ… નસેનસમાં વીરત્વભરી, એકલે હાથે સ્વપરાક્રમે અનીતિ – અન્યાય – અધર્મ, દુષ્ટતા આચરનાર તત્ત્વોનો ધ્વંસ કરનાર પરશુરામને, આધુનિક યુગમાં નવી પેઢી યાદ કરે છે. સાત ચિરંજીવીઓમાં પણ તેમને સ્થાન આપતા કહ્યું છે કે,

પરશુરામના પિતા જમદગ્નિ, માતા રેણુકા. પરશુરામ સૌથી નાના પુત્ર હતા.

પરશુરામનું દર્શન, તેજોમય છે.-બ્રહ્મત્વના તેજથી ઝળહળ, વીરત્વ અને પરાક્રમભર્યા તેજકિરણોથી શોભતું, ધર્મ-જ્ઞાન-કર્મથી સુગ્રથિત વિરલ દિવ્ય ધન્ય પ્રસંગોથી ધબકતું કૃતવીર્ય બનવું પણ હતવીર્ય નહિ એવો સંદેશ આપતું, દૃઢતાથી ધારણ કરેલ પરશુ તથા ધનુષ્યબાણથી શોભતું તેમનું દર્શન આપણને તપ, ત્યાગ, બલિદાન તથા શારીરિક શક્તિથી દિવ્ય બનવા પ્રેરણા આપે છે.

વૈશાખ સુદ ત્રીજની પાવન તિથિએ વિષ્ણુ આવ્યા. ’ભગવાનના છઠ્ઠા અંશાવતાર ગણાતા ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેમના પ્રચંડ અને વિરાટ વ્યક્તિત્વનો પરિચય ભગવદ્ ગોમંડળમાંથી મળે છે તદ્અનુસાર વિશ્વામિત્રના જુહુ કુળના ઋષિ જમદગ્નિ અને ઇક્વાકુ વંશની રાજક્ધયા રેણુકાના પુત્રોમાં સૌથી નાના પુત્ર રામ ( પરશુરામ ) હતા.
એક દિવસ રેણુકા સ્નાન કરવા નદીએ ગઈ હતી. ત્યાં તેણે રાજા ચિત્રરથને પોતાની સ્ત્રી સાથે જલક્રીડા કરતો જોયો અને કામવાસનાથી ઉદ્વિગ્ન થઈ ઘેર આવી.

તેની આ દશા જોઈને જમદગ્નિ બહુ જ ગુસ્સે થયા અને પોતાના પુત્રોને રેણુકાનો વધ કરવા આજ્ઞા કરી, પરંતુ સ્નેહવશને લીધે કોઈનાથી તેમ થઈ શક્યું નહીં. એવામાં પરશુરામ આવ્યા. પરશુરામે આજ્ઞા મળતાં જ માતાનું મસ્તક કાપી નાખ્યું તેથી જમદગ્નિએ પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું. પરશુરામે કહ્યું કે, પહેલાં તો મારી માતાને સજીવન કરો, પછી એ વરદાનો આપો કે, હું પરમાયુ પ્રાપ્ત કરું અને યુદ્ધમાં મારી સામે કોઈ ટકી શકે નહીં. જમદગ્નિએ તેમ જ કર્યું.

બાળપણમાં રેણુકા માતાના હાથ નીચે તેણે શિક્ષણ લીધું હતું. ભીષ્મ અને દ્રોણાચાર્ય અને સૂર્યપુત્ર કર્ણએ પણ પરશુરામ પાસેથી ધનુર્વિદ્યાનું શિક્ષણ લીધું હતું. ભગવાન શિવે પરશુરામને પોતાનું ત્રયંબક નામનું ધનુષ આપીને કહ્યું હતું કે, જયારે એ ધનુષ ભાંગશે ત્યારે તારું તેજ જશે અને રામાવતાર થશે. આ શિવવાણી ત્રેતાયુગને અંતે સિદ્ધ થઇ હતી. પરશુરામ પશુપતિ નાથના પરમ શિષ્ય, ભગવાન મહેશને પોતાના શિષ્યોની મનોભૂમિનો માપ કાઢવા એક અક્ષમ્ય ભૂલ કરી.

પોતાના શિષ્યોની પરીક્ષા કરી. પોતાના ગુરૂનો મહિમા ઝંખવાય કે, નંદવાય નહિ એ માટે ગુરૂની અક્ષમ્ય ભૂલ હોવા છતાં અન્ય શિષ્યો ચૂપ રહ્યા, પરંતુ સ્પષ્ટ વાદી અને સત્યાદી પરશુરામથી રહેવાયું નહી. તેઓ ઉકળી ઉક્યાં અત્યાચાર સામે આક્રોશ વ્યક્ત કરી, પરશુ ઉપાડી, શિવજીના મસ્તકે ફટકાર્યું, ભગવાન શંકર ઝખમી થયાં, પરંતુ અંદરથી પ્રસન્ન થયા અને કહ્યું , “તમારી પરીક્ષા અર્થે મે આ અન્યાયકારી પ્રયોગ કર્યો હતો. તમે આ કાર્ય ખોટુ હોવા છતાં સહી લીધું વાસ્તવમાં અધર્મ આચરનાર ગમે તેટલા ઉચ્ચ પદે હોય પણ તેની સામે અવાજ ન ઉઠાવનાર અધર્મી છે” આ રીતે પરશુરામે પોતાની ઓજસ્વીતા-તેજસ્વીતા તથા અધ્યાત્મિક્તા ખરા અર્થમાં પ્રગટ કરી છે, એનો આનંદ છે. અને આ અવસરની અમર યાદ રૂપે ભગવાન આશુતોષે ‘ખડગ પરશુ’ નામ ધારણ કરી પરાક્રમી, સત્યવાદી, પરશુરામને સન્માનિત કર્યા.

વાલ્મીકી રામાયણનાં બાલકાંડમાં ભગવાન શ્રીરામ પોતાના શ્રીમુખે કહે છે “હે ભૃગુનન્દના આપ પિતાના ઋણમાંથી મુક્ત થવા ક્ષત્રિય સંહારની જે કામના કરી, અને અમો સર્વે અનુમોદન આપીએ છીએ” . આમ ભગવાન પરશુરામે અનિતિવાન ક્ષત્રિયો આતતાયીઓને મારી સાચા અર્થમાં ધર્મ શાંતિની સ્થાપના કરી. અને પોતાના પિતૃ અને મહર્ષિ કશ્યપના આદેશ અનુસાર અસ્ત્ર, શસ્ત્ર છોડી મહેન્દ્રગીરી પર્વત પર તપસ્યા કરવા ચાલ્યા ગયા, અને પોતાની પાસેના અંતીમ ત્રણ શસ્ત્રો દ્રોણાચાર્યને આપી દીધા તથા જીતેલા એક્વીસ રાજયો પોતાના ગુરૂ કશ્યપને અર્પણ કરી દીધા.આવા પરમ પાવક પ્રચંડ પ્રભાવક, સત્ય પ્રચારક પિતૃભક્ત, કર્મવીર, ધર્મવીર, અજેય, અનુપમ, અનાસકત, અપરિગ્રહી, શરણાગત, વત્સલ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, રામ અને શ્રીકૃષ્ણ પણ જેમના શિષ્ય છે. એવા ભગવાન પરશુરામને આજના મંગલમય દિને શતશત વંદના.

સંકલન: વિરલ ભટ્ટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.