Abtak Media Google News

આકાશી ઉત્સવ ઉત્તરાયણના પર્વની સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આનંદ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવપ્રિય પ્રજાએ આખો દિવસ પતંગ ચગાવી હતી. સુર્યાસ્ત બાદ અગાશીઓ પર રાસ-ગરબાની રમઝટ બોલી હતી. ફટાકડાની આતશબાજીથી આકાશ દિપી ઉઠ્યું હતું. પવનદેવે પણ સાથ આપતા પતંગવીરોને મોજ પડી ગઇ હતી. આજે રાજ્યમાં અનેક સ્થળોએ વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. ધાર્મિક મકર સંક્રાંતિ આજે હોય પૂણ્યનું ભાથું બાંધવા લોકો આજે દાન-પૂણ્ય કરી રહ્યા છે.

Screenshot 2 6

આ વર્ષ અગાસીઓ પર સૌથી વધુ “રામ” ગીતો સંભળાયા: નાના ભૂલકાથી માંડી વડીલો સુધીના તમામ મકર સંક્રાંતિના રંગે રંગાયા: આજે વાસી ઉત્તરાયણની ઉજવણી

પવનદેવે પણ સાથ આપતા પતંગવીરોને મોજ પડી ગઇ: સુર્યાસ્ત બાદ રાસ-ગરબાની રમઝટ, આતશબાજીનો આનંદ લુટતી ઉત્સવપ્રિય પ્રજા

ગુજરાતમાં વર્ષ દરમિયાન મુખ્ય ચાર તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.

જેમાં ઉત્તરાયણ, હોળી-ધૂળેટી, સાતમ-આઠમ અને દિવાળીનો સમાવેશ થાય છે.Dsc 5089

રવિવારે ઉત્તરાયણનો તહેવાર આવતા લોકોને રજા કપાયાનો અફસોસ થતો હતો. સામાન્ય રિતે દર વર્ષ પતંગપ્રેમીઓની એવી ફરિયાદ રહેલી હોય છે કે પવનની ગતિ મંદ હોવાના કારણે રંગમાં ભંગ પડ્યો પણ આ વર્ષ સવારથી પવનદેવ સાથે આવતા પતંગવીરોને મોજ પડી ગઇ હતી. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર હોય તેની અસર ઉત્તરાયણના પર્વમાં જોવા મળી હતી. અગાસી પર દિવસભર ભગવાન શ્રી રામના ગીતો વાગ્યા હતા.

સાંજે 7 વાગ્યે લોકોએ હનુમાન ચાલીસા વગાડ્યા હતા.

સુર્યાસ્ત થતાની સાથે જ લોકોએ અગાસી પર જ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ફટાકડા પણ ફોડ્યા હતા. ધાબા પર ઉંધીયુ-પુરી, જલેબી, ચિકી, તાવો, ખિચડો, શેરડી, જીંજરાની મહેફિલો જામી હતી.

અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં આજે વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે.

ધાર્મિક મકર સંક્રાંતિની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. લોકો હોંશભેર દાન-પૂણ્ય કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.