Abtak Media Google News

આજે ૪૦૦૦ સંતો, ૩૭૦૦ મંદિરો, ૧૬૩ ગુરૂકુલો અને લાખો નિવ્યસની અનુયાયીઓનો વિરાટ સમુદાય: સૌપ્રથમ વખત ફરેણી ગામે ‘સ્વામી નારાયણ’ મંત્રનો ઉદ્ઘોષ થયેલો

બધા મહિનાઓમાં માગશર માસ હું છું-એમ ગીતાજીમાં કહેનારા ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીનો ઉપદેશ માગસર મહિનામાં આપ્યો છે ? એજ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનો અધ્યાત્મ ગ્રંથ વચનામૃતનો પ્રારંભ પણ માગસર મસામાં જ થયેલો છે.

Advertisement

આજથી ૨૧૭ વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયના પ્રવર્તનનો પ્રારંભ થર્ટીફસ્ટ કહેતા ૩૧મી ડિસેમ્બર ૧૮૦૧માં કરેલ. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ધોરાજીની નજીક આવેલ નાનકડા ફરેણી ગામે સદ્ગુરુ રામાનંદ સ્વામીની દિવસ સભા ભરાયેલી. ત્યાં જ સ્વામીનારાયણ મંત્રનું ઉદભવન થયું હતું.

સુરત-વેડ રોડ સ્વામીનારાયણ ગુરુકુલના પ્રભુ સ્વામીના કહ્યાનુસાર આજે સ્વામીનારાયણ સંપ્રદાયના દેશ-વિદેશમાં ૩૭૦૦ ઉપરાંત હરિ મંદિરો છે. જેમાં ૪૦૦૦ જેટલા સંતો અને પાર્ષદો દ્વારા સત્સંગ અને વિવિધ સેવાઓના તેમજ ભક્તિમય આયોજન થઈ રહ્યાં છે. ૧૫૦ ઉપરાંત મોટા શિખરબધ્ધ મંદિરોમાં સંતો-બ્રહ્મ ચરિત્રો અને પાર્ષદો આચાર્ય મહારાજના આદેશાનુસાર સત્સંગ કથાવાર્તા દ્વારા જીવનની નીતિ રીતિના પાઠો શીખવી રહ્યાં છે.

ભગવાન સ્વામીનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીના આદેશાનુસાર બાળકોને ભણવા માટે ૧૬૩ ઉપરાંત સ્વામિનારાયણ ગુરુકુલો દેશ-વિદેશમાં છે ! જેમાં એક લાખ ઉપરાંત બાળકો વિદ્યા સદ્ વિદ્યા અને બ્રહ્મવિદ્યા મેળવી રહ્યાં છે.

પશ્ર્ચિમી સંસ્કૃતિના વાયરાના વંટોળમાં ચઢેલું હિન્દુસ્તાનનું યુવાધન પોતોની ગરીમા અસ્મિતાને છોડી થર્ટી ફસ્ટને નાચગાન સાથે ન કરવાનું કહી રહ્યું છે. ત્યારે સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના લાખો અનુયાયીઓ અને સંપ્રદાયના ગૌરવ વધારતા ભક્તિમય આયોજનો દ્વારા સંપ્રદાયના સ્થાપકના ઉદ્દેશને પાર પાડી રહ્યાં છે.

સ્વામિનારાયણ ધર્મમાં પ્રવેશ સમયે સંતો પાંચ નિયમો પાળવાનું કહે છે. જેમાં દા‚ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, પર સ્ત્રી સામે કુદ્રષ્ટિ ન કરવી જેનાથી પોતાના મનના વિચારો બગડે તેવા સ્થાનમાં તેવા લોકોના હાથનું અન્ન આદિ ન ખાવું. આ પંચ વ્રત પાળે તેને ભગવાન સ્વામિનારાયણ આજે પણ મૃત્યુ સમયે તેડવા માટે પધારેલ છે. પોતાના અક્ષરધામમાં લઈ જાય છે. પછી એ જીવને કયારેય જન્મ મરણના લખ ચોરાશીના ફેરામાં ભટકવું પડતું નથી.

આયોજનબદ્ધ, શિસ્તબધ્ધને નિવ્યસની સમાજના સ્થાપક ભગવાન સ્વામિનારાયણ અને એ સિધ્ધાંતોને વિશાળ ફલક પર પ્રસરાવનારા સંતો તેમજ આચાર્યાઓને સંપ્રદાયના ૨૧૭ વર્ષે નત મસ્તક સાથે કોટી કોટી વંદન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.