Abtak Media Google News

ગુજરાતમાં દિવાળીના તહેવારમાં રેશનિંગનું અનાજ નહી મળવાની શક્યતા છે. કારણ કે રાજ્યના 17 હજાર રેશનિંગ દુકાનદારોની હડતાલ યથાવત છે. તેમાં દિવાળી નજીક છતા સરકારે માંગ સ્વીકારી નથી. બુધવારે એક પણ પરમીટ દુકાનદારો દ્વારા ઈશ્યુ કરાઈ નથી. તથા કમિશનમાં વધારા સહિતની વિવિધ પડતર માંગને લઈ હડતાલ યથાવત છે.

સસ્તા અનાજ દુકાનધારક એસો. અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ,  સસ્તા અનાજની દુકાનદારોની હડતાલનો મુદ્દો વિકરતા સરકાર વૈકલ્પિક વ્યવસ્થા પર શરૂ કરે તેવી શક્યતા

બેઠકમાં કોઈ પણ નક્કર પરિણામ ન આવતા હડતાલ યથાવત છે. જેમાં 17 હજાર પૈકી 9 હજાર દુકાનદારોને 20 હજાર કરતા ઓછુ કમિશન મળે છે. તેમજ સપ્ટેમ્બર માસમાં માત્ર 2800 દુકાનદારોને જ કમિશન મળ્યુ છે. સસ્તા અનાજ દુકાનધારક એસો. અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ જતા હડતાલ યથાવત છે. સરકાર અને દુકાનદારોની લડાઈ વચ્ચે જનતાને હાલાકી પડી રહી છે. દિવાળી ટાણે જ અનાજ ન મળતા પડતા પર પાટુ જેવી સ્થિતિ છે. સસ્તા અનાજની દુકાનદારોની હડતાલનો મુદ્દો વિકરતા સરકાર વૈકલ્પિક વ્યવસ્થા પર શરુ કરે તેવી શક્યતા છે. એનજીઓ, સહકારી દૂધ મંડળી થકી અનાજ વિતરણ થાય તેવી સંભાવના છે. તથા મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાઈ શકે છે.

ચાલૂ મહિનામાં રેશનકાર્ડ ધારકોને અનાજ મળશે નહીં. કમિશન વધારાની માંગણીનો અમલ ન થતાં સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મળતી જાણકારી અનુસાર, રેશનિંગ દુકાનદારોના કમિશન વધારાના માંગણીનો ઉકેલ ના આવતા સપ્ટેમ્બર મહિનામાં રાશન કાર્ડ ધારકોને અનાજ મળશે નહીં. આગામી દિવસોમાં તહેવારોની શરૂઆત થઇ રહી છે ત્યારે સરકારને કરેલી રજૂઆતોનું નિરાકરણ ન આવતા રેશનિંગના દુકાનદારોએ સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ, ખાંડ અને તેલનું વિતરણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રેશનકાર્ડધારકો મુશ્કેલી પડી શકે છે.

ફેર પ્રાઈઝ શોપ વેપારી અસોસિએશનના પ્રમુખે કહ્યુ હતું કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે સસ્તા અનાજની દુકાનના તમામ 17 હજાર વેપારીઓને કમિશનની ઘટ અંતર્ગત રૂપિયા 20 હજાર સુધીની રકમ ભરપાઇ કરી આપવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ તેનો હજી સુધી અમલ કર્યો નથી. આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનો પર તપાસ કરવામાં આવે તો પુરવઠાની ઘટ હોય તો તેમાં એક ટકા સુધી રાહત અપાય છે. એક ટકાથી વધુ હોય તો જ લીગલ કાર્યવાહી કરવામાં આવે છે. સાથો સાથ હાલ અનાજના વિતરણમાં એક કિલોએ 1.43 રૂપિયા કમિશન અપાય છે તેના બદલે હરિયાણા સરકારની જેમ અનાજના કિલોએ રૂપિયા બે કમિશન આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી, પરંતુ તેમાં વાટાઘાટો પડી ભાંગતા વેપારીઓએ પુરવઠો સ્વીકારવા ઇનકાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.