Abtak Media Google News

મેયર ડો.પ્રદીપ ડવના ડ્રિમ પ્રોજેક્ટ અને રાજકોટવાસીઓના સપના સમાન આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ હવે સાકાર થાય તેવા સુખદ આસાર મળી રહ્યા છે.આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું આજે એજન્સી દ્રારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ. જેમાં જરૂરી સુધારા કરવા માટે પદાધિકારીઓ દ્રારા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ઝડપભેર આગળ ધપાવવા મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો.

આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાકાર કરવા ખર્ચાશે ૧૧૮૧ કરોડ

કોર્પોરેશનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ એજન્સી દ્રારા રજૂ કરાયું પ્રેઝન્ટેશન

Img 20210612 Wa0259 રાજ્ય સરકાર સમક્ષ પ્રોજેક્ટ મંજૂરી અર્થે મુકાયો:લીલીઝંડી મળતા જ કોર્પોરેશન શરૂ કરશે ટેન્ડર પ્રકિયા

દેશ વિદેશમાં રાજકોટની પ્રતિષ્ઠા વધે તેવા અનેક પ્રોજેક્ટની ભેટ આપી ચુકેલા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરની ખુબસુરતીમાં વધારો કરે અને નાગરિકોને હરવા ફરવા માટે વધુ શાનદાર સ્થળ પ્રાપ્ત થાય તેવા હેતુથી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ભેટ આપેલી છે. જે અંતર્ગત આજી નદીનો ૧૧ કિ.મી. નો બેલ્ટ મહાપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે. આજી નદીમાં ઠલવાતા સુએઝ વોટરને ઇન્ટરસેપ્ટર લાઈન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવા માટેની કામગીરી હાલ ચાલુ છે. આ પ્રોજક્ટ ઝડપથી આગળ ધપાવવા માટે કેન્દ્રના પર્યાવરણ વિભાગનું ક્લીયરન્સ અને રેલ્વે, કલેકટર તંત્ર, વન વિભાગ પાસેથી જરૂરી મંજૂરી તેમજ અન્ય વિભાગોના ક્લીયરન્સ મેળવવાની પ્રક્રિયા ત્વરિત આગળ ધપાવવા માટેના પ્રયાસ તેજ બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૬ ચેકડેમ અને ૩ બેરેજ બનાવવામાં આવશે તેમજ આજી – ૧ ડેમનો ઓવરફ્લો ન હોય ત્યારે પાણી ફરતું રહે તેવા યાંત્રિક સાધનો મુકવામાં આવશે સાથોસાથ પાર્ક્સ એન્ડ ગાર્ડન, ફૂડ ઝોન પણ બનાવવામાં આવશે.

Img 20210612 Wa0278

રાજકોટ શહેર એ આજી નદીનાં કિનારે વસેલું સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે. રાજકોટ શહેરનાં ઝડપી વિકાસનાં કારણે શહેર આજીનદીનાં બન્ને કાંઠા એટલે કે પુર્વ અને પશ્ચિમ દિશામાં ઝડપભેર વિકસેલ છે. જેને કારણે આજી નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે. વર્ષો પહેલા આજી નદી બારે માસ વહેતી હતી, પરંતુ વાતાવરણમાં થયેલ ફેરફારો તથા આજી નદી ઉપર બાંધવામાં આવેલ જુદા– જુદા ચેક ડેમોનાં કારણે હાલ માત્ર ચોમાસામાં જ પાણી રહે છે અને વર્ષનાં બાકીનાં સમયમાં પાણી રહેતું નથી.

Img 20210612 Wa0257

શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા વિકાસનાં આયોજન અન્વયે મહાપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કૂલ ખર્ચ આશરે રૂ.૧૧૮૧ કરોડ થનાર છે. વિશેષમાં આજી નદીનાં પુન:વિકાસ માટેનું આયોજન કરી ઝડપથી અમલમાં મુકીને તેને મોનિટરીંગ કરી શકાય તે માટે તત્કાલીન પ્રભારી મંત્રીનાં અધ્યક્ષતા હેઠળ ગવર્નીંગ કાઉન્સીલની રચના કરવામાં આવી છે. આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લીમીટેડ, અમદાવાદની નિમુણક કરાય છે.

આજી રીવરફ્રન્ટ પ્રોજેક્ટમાં આજી નદીની લંબાઈ આજી-૧ ડેમથી રાજકોટ શહેરની ઉત્તર દિશામાં પસાર થતી રીંગરોડ સુધી આશરે ૧૧ કિમી લેવામાં આવેલ છે અને તેમાં દક્ષિણ દિશાની રીંગ રોડથી આજી નદીમાં મળે ત્યાં સુધી ખોખડદડ નદીનાં વિકાસ કામનો સમાવેશ પણ કરવામાં આવેલ છે. આજી નદીની પહોળાઈ ૮૦ મીટરથી ૧૫૦ મીટર સુધીની રહે છે. આજી નદીમાં રીવરફ્રન્ટ માટેના તૈયાર કરાયેલ માસ્ટર પ્લાનમાં જરૂરી ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવર, આજી નદીની બંને બાજુ દિવાલ અને એન્ટ્રીનુ કામ, વોટર રીપ્લેનિશ્મેન્ટ માટેનુ નેટવર્ક તથા આજી નદીની બંને બાજુ નવા રસ્તાનું નેટવર્ક સહિતના પ્રોજેક્ટોનું આયોજન હાથ ધરાયા છે.

Img 20210612 Wa0255

આ મુખ્ય કામો માટેની અંદાજીત ખર્ચ રૂ. ૪૮૦ કરોડ જેટલું થશે. તથા આજી નદીમાં રીવરફ્રંટ માટે તૈયાર થયેલ માસ્ટર પ્લાનમાં વધારાના વ્યાપક અમલીકરણના પ્રોજેક્ટો બનાવવાનું પણ આયોજન છે, જુના રેલ્વે બ્રીજ માટે રીનોવેશન તથા ઉપરોક્ત વધારાના માળખાકીય બાંધકામોનું અંદાજીત ખર્ચ રૂ. ૭૦૧ કરોડ જેટલું થશે.આમ, સમગ્ર પ્રોજેક્ટનું કૂલ ખર્ચ આશરે ૧૧૮૧ કરોડ જેટલું થવા અંદાજ છે.

હાલ રાજ્ય સરકારના હસ્તકની એસઈએસએ સમક્ષ મંજુરી અર્થે રજુ કરવામાં આવેલ છે. તથા રાજ્ય સરકાર તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર ટેન્ડર પ્રક્રીયા હાથ ધરી આ પ્રોજેક્ટને અમલમાં મુકવામાં આવશે.

Img 20210612 Wa02582J

આ મીટીંગમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનર બી. જી. પ્રજાપતિ અને એ.આર.સિંઘ, સિટી એન્જી. એમ. આર. કામલીયા, વાય. કે. ગૌસ્વામી તેમજ મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કન્સલ્ટિંગ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ તબક્કામાં આજી રીવરફ્રન્ટ પ્રોજેક્ટમાં આ કામો થશે

  1. આજી નદીની બંને તરફ આર.સી.સી રિટેઈનીંગ વોલનું કામ
  2. આજી નદીની બંને તરફ ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર સીવરનું કામ
  3. આનુસંગિક જરૂરી રોડ નેટવર્કનું કામ

આ કામો હાલ છે પ્રગતિમાં

  1. હાલમાં રામનાથપરા મંદિરના સામેના ભાગે આવેલ મનહરપરા વિસ્તારમાં નદીમાં થયેલા દબાણો દુર કરી નદીની પહોળાઇ પ્રમાણે દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. જેનું ખર્ચ રૂ.૧૬.૨૮ લાખ થયેલ છે. દીવાલમાં કોલમ વચ્ચેના ખાલી ભાગમાં મેશનરીનું કામ હાલ ચાલુ છે જેનું અંદાજીત ખર્ચ રૂ. ૧૭.૯૫ લાખથશે. જે કામ પૂર્ણ થયેલ છે.
  2. ચુનારાવાડ પાસે દુધસાગર રોડ પરનો હયાત બ્રીજની બાજુમાં નવા હાઇ-લેવલ બ્રીજનું કામ પૂર્ણ થયેલ છે.
  3. નદીની પૂર્વ તથા પશ્ચિમ બંને કિનારાની ઈન્ટરસેપ્ટર સીવર લાઈનનું કામ ચાલુ છે.

Dsc 0323

રાજકોટ શહેરની વિકાસ દિન-પ્રતિદિન થઇ રહ્યો છે ત્યારે રંગીલા રાજકોટીયન્સ માટે હરવા ફરવા અને શહેરની ખુબસુરતીમાં વધારો કરવા આજી રીવરફન્ટ પ્રોજેકટની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરીજનોને ભેટ આપી છે ત્યારે આજરોજ આ મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે એજન્સી દ્વારા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ ઉ5સ્થિત રહ્યા હતા. અને આજી રિવરફ્રન્ટ પ્રોજેકટમાં અંગત રસ લઇ ચર્ચાઓ કરી હતી. તથા એજન્સીને પ્રોજેકટ બાબતે પોતાના પ્રતિસાદ રજુ કર્યા હતો. પ્રોજેકટ બાબતે ચાલતા પ્રેઝન્ટેશનને નિહાળી પોતાના સજેસન રજુ કરી થોડા ઘણા ફેરફાર કરવા અંગે સુચન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.