Abtak Media Google News

એફિલ ટાવરથી જ યુપીઆઈમાં પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત થશે : સ્ટુડન્ટ વિઝાની મુદત પણ વધશે : વડાપ્રધાન મોદીની જાહેરાત :

વિશ્વના અનેક દેશો રૂપિયો અને યુપીઆઈ અપનાવવા તૈયાર થયા છે. આ યાદીમાં હવે ફ્રાન્સ પણ ઉમેરાયું છે. વડાપ્રધાન મોદીએ એલાન કર્યું છે કે હવે ફ્રાન્સમાં પણ યુપીઆઈથી વ્યવહાર થઈ શકશે. જેની શરૂઆત એફિલ ટાવરથી થવાની છે. આ સાથે ફ્રાન્સ સ્ટુડન્ટ વિઝાની મુદત વધારવા માટે પણ સહમત થયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીયોને સંબોધિત કરતા કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારતીય પ્રવાસીઓ એફિલ ટાવર પર પણ યુપીઆઈ  ચુકવણી કરી શકશે.  તેમણે કહ્યું કે ફ્રાન્સમાં ભારતીય યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવા માટે એક કરાર થયો છે. તે એફિલ ટાવરથી શરૂ થશે અને ભારતીયો અહીં યુપીઆઈ દ્વારા રૂપિયામાં ચૂકવણી કરી શકશે.  પીએમ મોદીએ કહ્યું કે આ કરાર ભારતીય ઈનોવેશન માટે એક વિશાળ નવું બજાર ખોલશે.  તે જ સમયે, પીએમએ ભારતને ઝડપથી વિકાસશીલ દેશ બનાવવા માટે ભારતીયોને દેશમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવાની અપીલ કરી.  તેમણે કહ્યું કે, તમામ રેટિંગ એજન્સીઓ ભારતને ચમકતા સ્ટાર તરીકે વર્ણવી રહી છે.  તમારા માટે રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે.

2022 માં, યુપીઆઈ સેવાઓ પ્રદાન કરતી મુખ્ય સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ  ફ્રાન્સની ઝડપી અને સુરક્ષિત ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ‘લાયરા’ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.  ત્યારબાદ 2023 માં, યુપીઆઈ અને સિંગાપોરના પેનાઉ એ એક કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી બંને દેશોના વપરાશકર્તાઓ ક્રો બોર્ડર વ્યવહારો કરી શકશે. યૂએઇ, ભૂટાન અને નેપાળ પહેલાથી જ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ અપનાવી ચૂક્યા છે. એનપીસીઆઈ ઇન્ટરનેશનલ યુ.એસ., યુરોપીયન દેશો અને પશ્ચિમ એશિયામાં યુપીઆઈ સેવાના વિસ્તરણ માટે વાટાઘાટ કરી રહ્યું છે.

નવી વિશ્વ વ્યવસ્થામાં ભારતની ક્ષમતા અને ભૂમિકા ઝડપથી બદલાઈ રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વ એક નવા વિશ્વ વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે અને તેમાં ભારતની ક્ષમતા અને ભૂમિકા ઝડપથી બદલાઈ રહી છે.  પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પીએમ મોદીએ જી-20ના ભારતના પ્રમુખપદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પ્રથમ વખત કોઈ દેશના પ્રમુખપદમાં દરેક ખૂણે 200થી વધુ બેઠકો થઈ રહી છે.  જી-20 જૂથ ભારતની ક્ષમતા પર નજર રાખી રહ્યું છે.

ભારત ટૂંક સમયમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે

પીએમ મોદીએ કહ્યું કે, ભારતનો હજારો વર્ષનો ઈતિહાસ, અનુભવ અને વિશ્વ કલ્યાણ માટે ભારતના પ્રયાસોનો વિસ્તાર વિશાળ છે.  ભારત લોકશાહીની માતા અને વિવિધતાનું પ્રતીક છે.  આ આપણી મોટી તાકાત છે.  ભારતની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે, ભારત 10 વર્ષમાં વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.  આનો ગર્વ માત્ર ભારતીયોને જ નથી.  આ સિદ્ધિને કારણે સમગ્ર વિશ્વને વિશ્વાસ છે કે ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવામાં વધુ સમય લાગશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.