Abtak Media Google News

નલ સે યોજના અંતર્ગત 82 ટકા કામગીરી પૂર્ણ થઇ: મુખ્યમંત્રી: ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં ‘નલ સે જલ’ નેટવર્ક ઉભું કરવા લીફટ ઇરીગેશનની યોજના કાર્યરત

રાજયના ઝુંપડપટ્ટી વિસ્તારોને પણ નલ સે જલ યોજના હેઠળ આવરી લેવાશે તેમ વિધાન ગૃહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે નલ સે જલ યોજના વર્ષ 2022ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે રાજય સરકારના લક્ષ્યાંક પણ તેમણે જાહેર કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ઝૂંપડપટ્ટી વિસ્તારોને પણ નલ સે જલ અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.

Advertisement

*મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં આદિવાસી પરિવારોને સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં સહભાગી થતાં આ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી સમગ્ર દેશમાં નલ સે જલ યોજના હેઠળ ઘરે-ઘરે નળથી પાણી આપવાની યોજના અંગે જાહેરાત કરી, સમગ્ર દેશને પાણીજન્ય રોગોથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે.

વર્ષ 2024 સુધીમાં સમગ્ર દેશમાં નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે પાણી પહોંચે તેવો લક્ષ્યાંક અપાયો છે ત્યારે ગુજરાતમાં આ યોજના વર્ષ 2022ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે એમ તેમણે ઉમેર્યું હતું. એટલું જ નહી આ યોજના હેઠળ રાજ્યના ઝુંપડપટ્ટી વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર પંથકમાં ક્ષારયુક્ત પાણીને કારણે પથરી, ઉત્તર ગુજરાત વિસ્તારમાં ક્લોરાઈડયુક્ત પાણીને કારણે હાથીપગો કે દાંત પીળા પડી જવા સહિતના રોગોનો સતત સામનો કરવો પડ્યો છે. સમગ્ર રાજ્યને 100 ટકા ફિલ્ટર્ડ પાણી મળી રહે તે દિશામાં અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત નલ સે જલ યોજનાની ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. આજ દિન સુધીમાં રાજ્યમાં 82 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે બાકીના 18 બાકી રહેલ વિસ્તારોમાં ડુંગરાળ વિસ્તારોનો સમાવેશ થાય છે. ડુંગરાળ આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ ઈરીગેશન થકી નલ સે જલ યોજના નેટવર્ક પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે જે આગામી 17 મહિનામાં પૂર્ણ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે. એટલે કે વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યનું એક પણ ઘર નલ સે જલ યોજના અંતર્ગત બાકી રહેશે નહીં. એવો નિર્ધાર તેમણે દર્શાવ્યો હતો.

પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઇ બાવળીઆએ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર આપતા ઉમેર્યું કે, રાજ્યનું એક પણ ગામ પીવાના શુદ્ધ પાણીથી વંચિત ન રહે તે માટે સરકારે પહેલ કરી છે. સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી પરિવારોને સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અંતર્ગત ખેડબ્રહ્માના 18 ગામો, વિજયનગરના 5 ગામો, હિંમતનગરના 7 ગામો અને ઈડરના 3 ગામોમાં 100 ટકા ઘર સુધી નળથી પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. જયારે અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 38 ગામો તથા મેઘરજના 29 ગામોમાં 100 ટકા ઘર સુધી નળથી પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. એટલુ જ નહીં પરંતુ વર્ષ 2022 સુધી તબક્કાવાર રાજ્યના તમામ ગામોને નળથી પાણી પુરું પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.