Abtak Media Google News

પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી પૂર્વે સરકારે આરંભી કાર્યવાહી

જામનગરમાં કલેકટર બદલાશે: મ્યુનિ. કમિશનરને બઢતી સાથે મળશે નવી નિમણૂંક

રાજ્યના ૬૦થી વધુ આઈએએસ અધિકારીઓની બદલી-બઢતીનો તખ્તો તૈયાર થયો છે. આ તખ્તામાં જામનગરના બે આઈએએસનો સમાવેશ થશે એ લગભગ નક્કી જ છે. ચાલુ વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે જામનગરમાં નિયુક્ત થયેલ કલેકટર રવિ શંકરની સામાન્ય અને ત્યારબાદ જામનગર કમિશનર તરીકે બદલી પામેલ સતીશ પટેલ સહીત રાજ્યના નવ અધિકારીઓની બઢતી સાથે બદલી થવાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. વિધાનસભાની પેટાચૂંટણીનાં પરિણામોને બાદ હવે સરકાર વહીવટી અધિકારીઓના પ્રમોશન મૂળમાં છે. સરકારે બદલી અને બઢતીઓનો ઘાણવો તૈયાર કરી લીધો છે. દિવાળીની વિદાય થતા જ બદલી-બઢતીઓનો દોર શરૂ થવાની  તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં રાજ્યભરના ૬૦ આઈએએસ અધિકારીઓની સામુહિક બદલીઓ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર જુદા જુદા જિલ્લાઓમાં લાંબા સમયથી ફરજ બજાવતા અધિકારીઓને આ તખ્તામાં સમાવી લેવામાં આવશે. જેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ, કલેકટરસ, જિલ્લા વિકાસ અધિકારીઓ, મહાનગર પાલિકાના કમિશનર્સ અને બોર્ડ-કોર્પોરેશન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો  સમાવેશ થાય છે. આ બદલીઓની સાથે રાજ્યના નવ આઈએએસ આધિકારીઓની બઢતીનો પણ સામાવેશ થાય છે.

આ બઢતીની યાદીમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલનું નામ પણ છે. બઢતીની ફાઈલ તો ક્લીયર પણ થઇ અંતિમ મહોર માટે રવાના કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ ૨૦૦૫ની બેંચના આઈએએસની બઢતી માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. જેમાં બે અધિકારીઓ વહીવટી વિભાગમાં ફરજ બજાવે છે. જે અધિકારીઓને પ્રમોશન મળવાનું છે એ સંભવિતની યાદીમાં જામનગર મહાનગર પાલિકાના કમિશનર સતીશ પટેલનો સમાવેશ થાય છે. જયારે અન્ય અધિકારીઓમાં જામનગર મહાનગર પાલિકાના પૂર્વ કમિશનર ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઇઓ અને રાહત કમિશનર હર્ષદ પટેલ, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા વિક્રાંત પાંડે, સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. ભારતીનો સમાવેશ થાય છે.

વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલ, મહેસાણાના જિલ્લા કલેક્ટર એચકે પટેલ અને અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલના ગૃહ વિભાગના અડિશનલ સેક્રેટરી કેકે નિરાલા, માઇક્રો સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝના કમિશનર રણજિત કુમારનો સમાવેશ થાય છે.  જયારે બદલીની યાદીમાં જામનગરના કલેકટરનો સમાવેશ થશે જ, વર્ષ ૨૦૧૭માં ચાલુ વિધાનસભાની ચુંટણી પૂર્વે નિમણુક પામેલ કલેકટર રવી શંકરની ફરજનો સમય ગાળો ત્રણ વર્ષ ઉપરાંત થયો છે. જો કે વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચુંટણી પૂર્વે પણ આ બદલીઓના ભણકારા વાગ્યા હતા પરતું સરકારે નિર્ણય લીધો ન હતો. હવે પંચાયતી સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની તૈયારી શરૂ થઇ જ ચુકી છે ત્યારે આગામી બદલીઓની યાદીમાં જામનગરના કલેક્ટરનો સમાવેશ થાય એ સ્વાભાવિક બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.