Abtak Media Google News

યોજના અંતર્ગત ઘર-ઘર નળ કનેકશન, પાણીનો ટાંકો, બોરની કામગીરી કરાઈ; દરેકના ઘરે પુરતા પ્રેસરથી 24 કલાક પાણી મળે છે; ગામમાં પાણી યોજના ચલાવવા પ્રતિ ઘર રૂ.200 પ્રતિ વર્ષ વેરા પેટે વસુલવામાં આવે છે

આજે વાત કરાની છે કચ્છના કાલરવાંઢમાં દરેક ઘરે પીવાનું પાણી સમયસર પહોચાડવાની કામગીરી કરતા કુ. હર્ષાબેન થાવરભાઈ રબારીની  ગામમાં હાલ જે કામગીરી થઈ રહી છે તે ખરેખર દરેક ગામ માટે અને દરેક દિકરી-સ્ત્રી માટે ગર્વની વાત છે. કાલરવાંઢમાં વાસ્મોની કામગીરી જ્યારથી પૂર્ણ કરવામાં આવેલ છે ત્યારથી આ નાની વયની  દીકરી હર્ષા  ઓપરેટર તરીકેની સેવા  કરી ગામના કોઈ પણ ઘરેથી એક પણ રૂપિયો લીધા વગર નિષ્ઠા પૂર્વક કરી રહ્રા છે.

દિકરા સમોવડાં હર્ષાબેન જણાવે છે કે  હું ધોરણ 10 સુધી અભ્યાસ કરીને આગળ અભ્યાસ ન કરી શકી તથા પોતાના ગામ માટે કોઈ સારી કામગીરી ન કરી શકી તો શું થયું પરંતુ હું જ્યાં સુધી આ ગામમાં રહીશ ત્યાં સુધી દરેક લોકોને, પશુ-પક્ષીઓને મારા હાથે પાણી પીવડાવીશ. એ પણ કોઈ જાતનો પગાર લીધા વગર કારણ કે આ કામગીરી કરવાથી હું સંતોષની લાગણી અનુભવું છું. આ કામથી મને અનોખો આનંદ અનુભવાય છે

100 જેટલા ઘર અને આશરે 357 જેટલી વસ્તી (2011 સેન્સસ પ્રમાણે) ધરાવતું કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાનું કાલરવાંઢ ગામ જે ચિયાસર જુથ ગ્રામ પંચાયતનું ગામ છે. તાલુકા મથક થી 60 કી. મી. અંતરે આવેલું છે. આ ગામમાં મુખ્યત્વે રબારી લોકોની વસ્તી છે. ગામ લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. સૌપ્રથમ ગામે પોતાનો કૂવો બનાવી પોતાનો પહેલો સ્વતંત્ર સ્ત્રોત બનાવ્યો હતો અને કુવામાંથી ગામ લોકો સિંચીને પીવાનું પાણી મેળવતા થયા હતા. ત્યાર બાદ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કોટડા જુથ યોજનાનું પાણી ગામ લોકોને મળતું થયું. આ જુથ યોજનાનું પાણી પણ અનિયમિત રીતે આવતું હોવાને કારણે ગામમાં રહેતા માલધારી લોકો માટે મોટી સમસ્યા બની ગઈ હતી. તેનું મુખ્ય કારણ માનવ વસ્તી તો ખરી જ પરંતુ આ સાથે ગામમાં રહેતા 2000 જેટલા ગાય – ભેંસ અને 1500 જેટલા ઘેટાં-બકરા માટે પણ પીવાનું પૂરતું પાણી મળી શકતું ન હતું.

Ewr3

વર્ષ 2013-14માં કાલરવાંઢ ગામ લોકોની આ સમસ્યાના નિરાકરણ માટે વાસ્મો સાથે જોડાવવાનું નક્કી કરવામાં આવ્યું. વાસ્મોની ટીમ દ્વારા ગામમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તમામ લોકોને સાથે રાખીને ગામની વાસ્મો પુરસ્કૃત પાણી યોજના અમલીકૃત કરવામાં આવી. યોજનાના યોગ્ય અમલીકરણમાં પાણી સમિતિના તત્કાલિન પ્રમુખ  થાવરભાઈ માલાભાઈ રબારીએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

આ યોજના અંતર્ગત ઘરો – ઘર નળ કનેક્શનની કામગીરી, પાણીનો ટાંકો અને ડીટીએચ બોરની કામગીરી કરવામાં આવેલ. સંતોષ સાથે પાણી સમિતિ પ્રમુખ  થાવરભાઈ રબારી કહે છે કે ગામમાં 100 % ઘરોમાં નળ કનેક્શન છે. દરેકના ઘરે પૂરતા પ્રેસરથી 24 કલાક પાણી મળે છે. ગામના પશુઓ તેમજ ગ્રામજનોને પીવાના પાણીની કાયમી સમસ્યાનું નિરાકરણ થઈ ગયું.

આ વાત તો થઈ ગામની અગાઉની પરિસ્થિતિ અને ત્યાર બાદ થયેલ વાસ્મો પુરસ્કૃત પાણી યોજનાની કામગીરીની, હવે વાત કરીએ વાસ્મો પુરસ્કૃત યોજનાની તો પાણી માટે કુલ કિંમત રૂ. 8.27 લાખ થયા છે.. ગામમાં સઘળી પાણી યોજના ચલાવવા પ્રતિ ઘર રૂ. 200/- પ્રતિ વર્ષ વેરા પેટે વસૂલવામાં આવે છે. હર્ષાબેન રબારી આજે પોતાના ગામની વ્યક્તિગત યોજના સૂચારૂ રીતે સંભાળી રહ્યા છે.

આજે કાલરવાંઢમાં દરેક ઘરે પીવાનું પાણી સમયસર પહોચાડવાની કામગીરી કરતા કુ. હર્ષાબેન થાવરભાઈ રબારી  માટે કહી શકાય કે દરેક ગામમાં જો એક હર્ષા હશે તો ત્યાં પાણીની હમેશાં વર્ષા હશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.