Abtak Media Google News
લગ્ન પછી તરત  જ ગાયોના રક્ષણ માટે  યુધ્ધે ચઢયા અને વિજય પણ થયા: દુ:શ્મનોએ દગાથી માથુ ઉતારી લીધું છતા જશરાજદાદાનું ધડ ઝનુનથી લડયું

અબતક,રાજકોટ

શોર્યભૂમિ મનાતી એવી ભારત ભૂમિ પર અવતરિત એક શુરવીર યોધ્ધા સુર્યવંશનાં વંશજ લોહરાણા કુળમા જન્મેલા લોહરગઢનાં મહારાણા વીરદાદા જશરાજનો 22 જાન્યુઆરીનાં રોજ શોર્ય દિન છે. દાદા જશરાજનો જન્મ લોહર કોટમાં થયો હતો. લોહ એટલે લોખંડ જેવા મજબુત. લોહરાણાઓ કે જેમણે ત્રણસો વર્ષ પર્યન્ત ભારત દેશની ચોકીદારી કરી. શુરવીરતા, સમર્પણ, કરુણા અને કોઇના દુ:ખમાં ભાગ લેવો એ વર્ષોથી લોહરાણાઓની પરંપરા રહી છે. રાજા વસ્તુપાળ અને રાણી વીરકોરના પાટવી કુંવર મોટા પુત્ર વસ્તરાજ ઉર્ફે વચ્છરાજ દાદા અને નાના પુત્ર વીર જસરાજ જેમનો જન્મ ઇ.સ. 1032, વિક્રમ સવંત 1087, હીજરી સન 422માં થયો. બંને ભાઇ બાલ્યાવસ્થાથી જ વીર, તેજસ્વી અને ઘોડેસવારીમાં નિપુણ હતા અને વીર યોધ્ધા તરીકે ઓળખાતા હતા. તા. 15-01-1048ને શુક્રવાર વિક્રમ સવંત 1103, હીજરી સન 439નાં દીને કુવંર વચ્છરાજ ને લોહર કોટનાં નવા મહારાણા તરીકે સ્થાપિત કરાયા. પરંતુ એક પગે અપંગતા હોવાથી દીલાવર દીલનાં વચ્છરાજ દાદાએ જાતે પોતાના નાના ભાઇ જસરાજ ને રાજતીલક કરી લોહર કોટનાં નવા મહારાણાની જાહેરાત કરી. તેમણે વિધર્મીઓનો અંત કરીને કાબુલનાં કિલ્લા ઉપર વિજય ધ્વજ ફરકાવ્યો એવું કહેવાય છે કે જેટલો ત્યાગ ગુરુ ગોવિન્દ સિંહમાં હતો, જેટલો શોર્ય મહારાણા પ્રતાપમાં હતું કે જેટલુ સાહસ વીર શિવાજીમાં હતુ તેટલી જ શક્તિ , સાહસ અને શોર્ય સુર્યવંશી રાણા જસરાજમાં હતુ. રામ રાજયના સમયમાં ભગવાન શ્રીરામની આજ્ઞાથી ભરત મહારાજે તે વખતના ગાંધાર(હાલ અફઘાનિસ્તાન)પ્રદેશમાં જાગેલા વિદ્રોહને પરાજિત કરી તે પ્રદેશમાં તક્ષશીલા અને કોંકણપુર(પેશાવર) શહેરો વસાવ્યા હતા અને સમસ્ત રઘુવંશી રાજયની સ્થાપના કરી હતી. અત્યારના પાકિસ્તાનની ઉતરભ્રમી અને અફઘાનિસ્તાનની દક્ષીણી ભુમી પર હિમાલયની ગિરિમાળા વચ્ચે લોહર પ્રદેશ હતો. આ રાજય હોવાથી તે વખતના ભારતના રાજય મંડળે લોહ રાજવીને લોહરાણાનો શીરપાવ એનાયત ક્યો હતો. તે સમયે મોગલશાહ ચંગીઝખાન અને મહંમદ ગઝનીએ અવારનવાર કરેલી ચઢાઈઓને લોહરાણાઓએ મારી હટાવી હતી. ઈસવીસન પૂર્વે સિકંદર કૂચ અટકાવનાર લોહરાણા પોરસની જેમ જશરાજે ઈરાનીઓ અને અફઘાનિસ્તાનીઓની કૂચને અટકાવી હતી.

કુંવર જસરાજની સગાઈ ઉનડકોટનાં રાણા રઘુપાલ ઉનડકોટની દીકરી સાથે થઈ હતી. વસંતપંચમીના દિવસે જયારે જસરાજજીના લગ્નનો દિવસ હતો એ દિવસે જ મલેચ્છ સેનાએ કંદહાર અને હિંદુકુશના રસ્તેથી આવી ઉનડકોટની નજીક જ આવેલ લાતુરગઢ ઉપર હુમલો કર્યો. ઉનડકોટમાં મહારાણા જસરાજનાં લગ્નમાં બઘા મગ્ન હતા. મલ્લેછોએ ઉનડકોટની ગાયોનું હરણ કરી લીધું હતુ. એક ગોવાળે આ સમાચાર સેનાપતિ સિંધુદેવ શર્માને આપ્યા. તેઓએ પોતાના અંગત સાથીદારોને સાથે લઇ વિધર્મીઓની સામે બાથે ભીડ્યા. આ યુદ્ધમાં વિધર્મીઓએ ગાયોને સામે રાખી હતી હવે જો તેઓ શસ્ત્ર ઉપાડે, સામો પ્રહાર કરે તો ગાયોનુ મૃત્યુ થાય માટે તેઓએ હાથબળથી યુધ્ધ કર્યુ અને વિરગતી પામ્યા. જયારે સેનાપતિ સિંધુદેવ શર્માનુ શવ ઘોડા ઉપર આવે છે. દાદા જસરાજ સહિત બધાની આંખોમા આંસુ આવી જાય છે. તેમની મોટી બહેન હરકૌર પોબારુની વિનંતીથી દાદા લગ્નવેદીનાં ચાર ફેરા તો ફરે છે પરંતુ પોતાની પત્નીની સંમતિથી જ લગ્ન પછી તરત જ ગાયોના રક્ષણ માટે યુધ્ધે ચડે છે. જેમાં તેની બહેન હરકૌર પણ મદદ કરી હતી. આખરે કાબુલનાં દુશ્મન પરાજિત થયા, અને જશરાજ વિજયી થયા.

લોહર સૈનિકનાં વેશમાં આવેલ એક શત્રુએ લગ્નની ખુશાલીમાં જસરાજ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી વંદન કરી દગાથી જસરાજની ગરદન ઉપર સાંગ મારી માથું ઉતારી દીધું. જસરાજનું માથા વિનાનું ધડ પણ ઝનૂનથી લડે છે ત્યારથી તેઓ લોહાણા અને ભાનુશાલીઓ દ્વારા વીરદાદા જશરાજ કુળદેવતા તરીકે પૂજાતા આવ્યા છે અને તેની બહેન હરકૌરની લોહાણા કુળ દ્વારા કુળદેવી તરીકે પૂજા કરવામાં આવે છે. મહારાણા પ્રતાપનાં ચેતક ઘોડાની જેમ દાદા જસરાજનો પ્રિય અશ્વ લાલુ હતો જેમની ખાંભી આજે પણ ઉનડકોટમાં જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.